ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ચોમાસામાં બીટી કપાસનું વાવેતર થાય છે. પરંતુ ચાલુ સાલે અતિ ભારે અને સતત પડલ વરસાદના કારણે ૫૦ ટકા કરતાં પણ વધારે બીટી કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. અને જેમાં પાક બચ્ચો હતો એવા વિસ્તારોમાં લાલ જીવાતના ઉપદ્રવને કારણે ખેડુતોને ના છુટકે કપાસનો પાક અન્ય પાક માટે વાવેતર કરવાની ફરજ પડી છે.
ઉ.ગુ.ના ચાણસ્મા અને બહુચરાજી સહિતના તાલુકાઓમાં ખૂબ જ મોટા પ્રમાણે બીટી કપાસનું વાવેતર થાય છે.અને એક વીઘાએ સરેરાશ ૪૦ થી ૫૦ મણ રૂ નું ઉત્પાદન થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતાં નોંધપાત્ર આવક થાય છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદના પ્રકોપના કારણે બીટી કપાસનું વાવેતર કરનાર ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને એક વીઘાએ ઉત્પાદનમાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળતાં ખેડુતોને કરેલા વાવેતરનો ખર્ચ પણ ઊભો થઈ શકે તેમ નથી.બજારમાં પણ પ્રતિ ૨૦ કિલો રૂ (ફોલ) ના સરેરાશ રૂ.૯૦૦ થી ૧૦૦૦ જેટલો ભાવ મળતાં ખેડુતોને પોસાય તેમ નથી. હાલમાં રવિ ખેતી માટે ખેડ ખાતર બિયારણ દવાઓ પાણી સહિતના ખર્ચાઓ આવતાં ખેડુતોને ના છુટકે બજારમાં બીટી કપાસના ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે.
ચાણસ્મા બહુચરાજી વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બીટી કપાસનું વાવેતર નિષ્ફળ ગયું હતું. અને જે ખેતરોમાં પાક બચ્યો હતો તે ખેતરોમાં લાલ જીવાત ના ઉપદ્રવ ના કારણે કપાસ સુકાઈને પીળો પડી ગયો છે. એક વખત રૂની વીણી ગયા બાદ નવી આવકમાં ફાયદો ન જણાતાં ખેડુતોઅે બીટી કપાસની જગ્યાઅે હવે રવિ સિઝનમાં અન્ય પાક વાવેતર કરવા મજબૂર થવું પડ્યું છે.
જેઠી નિલેશ પાટણ