કોરોના કેસ વધતા ફરી રસીકરણ ઝુંબેશ શરૂ થવાના નિર્દેશ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ત્રણ મહિનાના સૌથી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકોના રસીકરણના આંકડા ચકાસવામાં આવે તો માત્ર 1.29 ટકા લોકોએ ત્રીજો બુસ્ટર ડોઝ લીધો છે. ગુજરાતમાં ગઇકાલે કોરોનાના નવા 117 કેસ નોંધાયા હતા. કેટલાક દિવસોથી દૈનિક કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા મહિનાઓમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઇ હોવાથી માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં લોકો ત્રીજો બુસ્ટર ડોઝ લેવા પ્રત્યે પણ ગંભીર રહ્યા ન હતા હવે મહામારી ફરી વધવા લાગતા રસીકરણ તરફ લક્ષ્ય વધારવામાં આવે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે બે મહિના પૂર્વે 18 થી 59 વર્ષના લોકોને બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યમાં 79.5 લાખ લોકો 10 એપ્રિલથી 9 જૂન દરમિયાન પાત્ર ઠર્યા હતા પરંતુ તેમાંથી માત્ર 1.03 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે.
- Advertisement -
દેશમાં 9.53 કરોડ લોકોએ બીજો ‘ડોઝ’ પણ નથી લીધો !!
દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે 9.53 કરોડ લોકોએ હજુ કોરોના રસીનો બીજો ડોઝ લીધો ન હોવાનું બહાર આવ્યું છે તેમાં 12 થી 18 વર્ષની વયજૂથના 2.1 કરોડ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 80 ટકા લોકોએ ત્રીજો બુસ્ટર ડોઝ પણ લીધો નથી. કેન્દ્ર સરકાર દ્વારા 60 વર્ષથી નીચેના લોકો માટે ખાનગી હોસ્પિટલોમાં પેઇડ બુસ્ટર ડોઝની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે ત્યારે આરોગ્ય વર્કરો, ફ્રન્ટલાઇન વર્કરો અને 60 વર્ષથી વધુની વયના લોકોને સરકારી સેવાઓમાં ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની વ્યવસ્થા છે. 60 વર્ષથી વધુની વયના અને આરોગ્ય ફ્રન્ટલાઇન વર્કરો એવા 55.41 લાખ લોકોમાંથી 34.10 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.