રાજકોટ સહિત જિલ્લામાં શ્ર્વાનના અનહદ ત્રાસથી લોકો ભયભીત: રાત્રે તો ઠીક બપોરે પણ નીકળતા લોકો ડરે છે!
છેલ્લા 4 મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 13,269 લોકોને શ્ર્વાને શિકાર બનાવ્યા
- Advertisement -
જાન્યુઆરીમાં કૂતરાંઓ વધુ આક્રમક બને છે, તેથી ડોગ બાઈટના કિસ્સામાં ચોંકાવનારો વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની સર્વોચ્ચ અદાલતે બાળકો સહિત લોકો ઉપર જાહેર સ્થળોએ શ્વાનોના જીવલેણના હુમલા બાદ કુતરાઓને અંકુશમાં લેવા માટે કોર્ટે જાહેર સ્થળોએ શ્વાન હટાવવા અને હિંસક કુતરાઓને ઈન્જેકશન આપી મૃત્યુ આપવાનો ચુકાદો આપ્યો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં રોજ 111 લોકોને કુતરાઓ બચકા ભરતા હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં છેલ્લા ચાર મહિના દરમિયાન કુલ 5,999 લોકોને કુતરાઓએ બટકા ભર્યા હોવાથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આમ ચાર મહિનામાં રોજ રાજકોટમાં 50 લોકો કુતરાઓનો શિકાર બને છે. જ્યારે રાજકાટના ગ્રામ્ય વિસ્તારમાં કુલ 7,270 લોકોને ચાર મહિનામાં કુતરા કરડતા ગ્રામ્ય વિસ્તારમાં રોજ 61 લોકો હોસ્પિટલના બીછાને પડે છે. ગત વર્ષની તુલના કરતા આ વર્ષે રાજકોટ શહેરમાં ડોગબાઈટના કેસમાં વધારો થયો છે. ગત વર્ષે જાન્યુઆરીથી એપ્રિલમાં 5770 કેસ નોંધાયા હતા તેની સામે આ વર્ષે 5999 કેસ નોંધાયા છે આમ આ વર્ષે 229 કેસનો વધારો થયો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2025માં 1644 કેસ સામે 2026માં 1695 કેસ નોંધાતા 51 કેસ વધુ નોંધાયા છે. ફેબ્રુઆરી-25માં 1363 કેસ સામે 2026માં 1372 કેસ થતા 9 કેસનો વધારો, માર્ચ-2025માં 1377 કેસ સામે 2026માં 1379 કેસ થતા 2 કેસનો વધારો અને એપ્રિલ-25માં 1386 કેસ સામે 2026માં 1553 કેસ થતા 167કેસનો સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં રાજકોટમાં ગરમીનો પારો 43-44 ડિગ્રીએ પહોચી જતા શ્વાન વધુ આક્રમક બન્યા છે તેના કારણે બાળકો સહિત લોકો ઉપર હુમલાના બનાવ વધ્યા છે. તબીબોએ જણાવ્યું હતું કે, આકરી ગરમીના કારણે શ્વાનમાં ડિહાઈડ્રેશન અને ચીડીયાપણુ વધે છે પાણી અને છાંયડાની શોધમાં લોકોને વગર વાંકે નિશાન બનાવે છે. તેના કારણે શહેરીજનો રાત્રે તો ઠીક બપોરે પણ વિસ્તારમાંથી નીકળતા ડર અનુભવે છે.
- Advertisement -
જિલ્લાના ત્રણ તાલુકામાં સૌથી વધુ શ્ર્વાનનો ત્રાસ
રાજકોટ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કુતરા કરડવાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા ચાર મહિના દરમિયાન જિલ્લાના 11 તાલુકામાં કુલ 7270 લોકોને કુતરાઓએ બચકા ભર્યા છે. જેમાં સૌથી વધુ ગોંડલ, જેતપુર અને કોટડાસાંગાણી પંથકમાં કુતરાઓનો અસહ્ય ત્રાસ છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ચાર મહિના દરમિયાન રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુતરાઓનો અનહદ ત્રાસ વધ્યો છે. માત્ર ત્રણ તાલુકામાં ચાર મહિનામાં એક હજારથી વધુ લોકોને શિકાર બનાવ્યા છે. તેમાં સૌથી વધુ ગોંડલમાં 1547, જેતપુરમાં 1197 અને કોટડાસાંગાણીમાં 1102 લોકોને કુતરાઓએ બચકા ભર્યા છે. જ્યારે સૌથી ઓછા જામકંડોરણા, પડધરીમાં કેસ નોંધાયા છે.
શહેરમાં છેલ્લા ચાર મહિનામાં નોંધાયેલ કેસ
મહિનો મનપા સિવિલ પદ્મકુંવરબા કુલ
જાન્યુઆરી 664 713 138 1695
ફેબ્રુઆરી 582 476 314 1372
માર્ચ 521 516 342 1379
એપ્રિલ 685 519 349 1553
કુલ 2452 2224 1323 5999
4 મહિનામાં ક્યાં તાલુકામાં કેટલાને કુતરા કરડયા ?
તાલુકો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કુલ
ધોરાજી 229 256 217 193 895
ગોંડલ 485 376 396 290 1547
જામકંડોરણા 52 38 43 28 161
જસદણ 198 143 84 85 510
જેતપુર 429 302 294 172 1197
કોટડાસાંગાણી 343 269 260 230 1102
લોધીકા 104 106 85 72 367
પડધરી 54 43 35 53 185
રાજકોટ 177 96 110 118 501
ઉપલેટા 188 113 92 96 479
વિંછીયા 188 84 55 64 316
કુલ 2372 1826 1671 1401 7270
ગત વર્ષની સરખામણીમાં 2026માં 4% કેસ વધ્યાં
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં વર્ષ 2025માં જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન 5,766 કેસ નોંધાયા હતા. તેની સામે વર્ષ 2026માં ચાર મહિનામાં 5,999 કેસ નોંધાયા છે એટલે કે, 2026માં 4 ટકાનો વધારો થયો છે.



