લવ જેહાદનું એપી સેન્ટર બન્યું વડોદરા
વડોદરાની ઘટના: લગ્ન પછી પતિ મોહિબ સાવ બદલાઈ ગયો, યુવતીને બુરખો પહેરવા-નમાઝ પઢવા દબાણ કરતો
લવ જેહાદ કાનૂન લાગુ પડતાં જ પીડિતાઓની હિંમત ખૂલી…
ખાસ-ખબર સંવાદદાતા
વડોદરા લવ જેહાદના કેસમાં એ.પી. સેન્ટર બની રહ્યું છે. ભુતકાળમાં 6 મહિનામાં લવ જેહાદના 6 કિસ્સા બાદ 6 દિવસે બીજો ગુનો નોંધાયો છે. 23 વર્ષીય પાટીદાર યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપૂર્વક નિકાહ કર્યા હતાં. તેનું નામ પણ માહિરા રાખી હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. મોહિબ પઠાણ અને તેના ભાઈ અને પિતાએ પણ તેની પર ત્રાસ ગુજાર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિબ પઠાણ પથા તેના ભાઈ મોહસીન અને પિતા ઇમ્તીયાઝની ગુરુવારે અટકાયત કરી હતી. યુવતીએ વાતચીતમાં બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરાતું હોવાનું કહ્યું હતું.
શહેરના જુના છાણી રોડ પર રહેતી 23 વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે અભિલાષા ચાર રસ્તા પાસેની સોસાયટીમાં રહે છે. 2018માં તેનો સંતોક નગરના મોહિબ પઠાણ સાથે પરિચય થયો હતો ત્યારબાદ તેને વાતોમાં ફસાવી 2020માં તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતાં. લગ્ન બાદ મોહિબ પઠાણે તેની સાથે અશ્ર્લિલ ચેષ્ટાઓ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યુ હતું.
- Advertisement -
ત્યારબાદ તે લગ્ન બાદ મોહિબના ઘેર રહેવા આવી ત્યારે તે સાથે માતાજીના ફોટા અને શિવજીની મૂર્તિ લાવી હતી અને તે ઘરમાં પૂજા પાઠ કરતી ત્યારે મોહિબે તે મારી સાથે નિકાહ કર્યા છે તો હવે તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે તેમ જણાવી મોહિબ ઉશ્કેરાયો હતો અને માતાજીના ફોટા ફાડી નાખ્યા હતા અને શિવજીની મૂર્તિ નીચે નાખી દીધી હતી. મોહિબ તેને અવારનવાર મારઝુડ કરતો હતો. યુવતીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેનું નામકરણ કરી તેનું નામ શિવ રાખતા મોહિબ ઉશ્કેરાયો હતો અને આ છોકરો મારો છે અને તેનું નામ હું મુસ્લિમ ધર્મ મુજબ રાખીશ તેમ જણાવ્યું હતું. તે પુત્રને શિવ કહીને બોલાવે ત્યારે મોહિબ તેને મારઝુડ કરતો હતો ત્યારબાદ મોહિબના ભાઈ અને તેના પિતાએ પણ તેને ત્રાસ ગુજાર્યો હતો. પતિ, જેઠ અને સસરાના ત્રાસથી કંટાળેલી યુવતીએ તેની માતાના ઘેર જવાનું કહેતાં મોહિબે તેને માર માર્યો હતો. યુવતીએ આખરે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસીન પઠાણ તથા પિતા ઇમ્તીયાઝની ધરપકડ કરી હતી.
યુવતીને કેવી રીતે ફસાવી શૈતાન મોહિબે?
યુવતીએ જણાવ્યું હતું કે મોહિબ તેને લગ્ન કરવાનું જણાવતો હતો અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ અને જો તું મારી ના થઈ તો કોઈની થવા નહીં દઉં અને આ પ્રકારે તેણે લગ્નનું દબાણ કરી મોહિબે તું તારી મરજીથી હિન્દુ ધર્મ પાળી શકીશ તેમ કહ્યું હતું. 2018માં યુવતી ધોરણ 12ની પરીક્ષા આપવા ગઈ ત્યારે મોહિબ તેના નાના ભાઈને આ જ સ્કૂલમાં પરીક્ષા આપવા મૂકવા આવતો હતો. બંને વચ્ચે સ્કૂલ ગેટ પાસે પરિચય થતાં મોબાઈલ નંબરની આપ-લે કરી હતી ત્યારબાદ મોહિબે સતત સંપર્કમાં રહી પ્રેમજાળમાં ફસાવી હતી.
- Advertisement -
અગાઉ મોહિબે વચન આપ્યું હતું કે ‘તને હિન્દુ ધર્મ પાળવા દઈશ!’ પણ પછી ફરી ગયો
પૂર્વનિયોજિત ષડયંત્ર?: તપાસ થશે
વડોદરામાં ગુરુવારે નોંધાયેલા લવ-જેહાદના કિસ્સામાં સંતોકનગરના મોહિબ પઠાણ તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. શહેરના જૂના છાણી રોડની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફતેગંજ પોલીસ મથકની સામે સંતોકનગરમાં રહેતા બેકાર મોહિબ પઠાણે 2020માં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલાં હિન્દુ યુવતીને તેનો ધર્મ અને રિવાજ પાળવાની ખાતરી આપનારા મોહિબે લગ્નના એક જ મહિનામાં તેનો રંગ બદલ્યો હતો. તેણે યુવતીને બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, મોહિબનો મોટો ભાઈ મોહસિન પણ તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો.
પુત્રના જન્મ બાદ શિવ નામ રાખ્યા બાદ પણ મોહિબે નામ બાબતે મારઝૂડ કરી હતી. અંતે, યુવતીએ હિંમત દાખવી હતી અને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે મોહિબ પઠાણ, તેના ભાઈ મોહસિન અને પિતા ઈમ્તિયાઝની અટકાયત કરી હતી. તેમના કોરોના ટેસ્ટ કર્યા બાદ શુક્રવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આ એક સુવ્યવસ્થિત ષડયંત્ર છે કે કેમ એ અંગેની તપાસ માટે તેમજ આ કૃત્યમાં અન્ય કોઈ ઇસમની ચઢામણી કે સંડોવણી છે કે કેમ એ સહિતના મુદ્દે રિમાન્ડ માગતાં કોર્ટે બંનેના 2 દિવસના મંજૂર કર્યા હતા.
લવ-જેહાદનો કાયદો અમલમાં આવતાં 6 દિવસમાં લવ-જેહાદના બે કિસ્સા સામે આવ્યા છે. બે યુવતીઓ અને તેમના પરિવારોએ વિધર્મીઓ સામે હિંમત દાખવતાં હવે લવ-જેહાદ જેવી ઘટનાઓથી પીડિત યુવતીઓના પરિવારોએ હિન્દુ સંગઠનોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે. અન્ય 4 યુવતીનાં માતા પિતા હાલમાં હિન્દુ સંગઠનો સાથે વાતચીત કરી રહ્યાં છે, જેને પગલે વધુ કિસ્સા બહાર આવે તેવી વકી છે.
ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલી લવ-જેહાદની ઘટનામાં યુવતીના પતિ મોહિબે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તદુપરાંત યુવતીની અનેક મેડિકલ તપાસ કરવાની હોવાથી તેને ગુરુવારે સવારે 11 વાગે સયાજી હોસ્પિટલમાં ચેકઅપ માટે મોકલવામાં આવી હતી, જયાં તેણે ઇનકાર કર્યો હતો, જેના કારણે રિપોર્ટમાં મોડું થતાં એસીપી સયાજીમાં પહોંચ્યા હતા. ત્યાં એમએલઓ સાથે ચકમક ઝરી હતી. અગાઉ ના કહેનાર યુવતીનું આખરે શુક્રવારે બપોરે ચેકઅપ કરાયું હતું.
યુવતીની દાસ્તાન તેની જુબાને…
અમે 2018માં એકબીજાને મળ્યા હતાં. હું 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જતી હતી, ત્યાં તેની સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન અમે એકબીજાનો મોબાઈલ નંબર લીધો હતો અને અમારી વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ અમે રિલેશનશીપમાં જોડાયા હતા. અમારૂં રિલેશનશીપ 1-2 વર્ષ ચાલ્યા હતાં. તેને મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી કહ્યું હતું કે તું મારી લગ્ન નહીં કરે તો હું આપઘાત કરી લઈશ. તું લગ્ન બાદ તારો ધર્મ અપનાવી શકે છે, મારા કે મારા પરિવારને તારા ધર્મને લઈને કોઈ જ સમસ્યા નથી. તારે લગ્ન બાદ ઘરમાં મંદિર પૂજા કરવી હોય તો પણ તું કરી શકે છે. તારા ઘરમાં તું જે રીતે રહેતી હતી જેવા કપડાં પહેરતી હતી તેવા કપડા પણ પહેરી શકે છે. લગ્ન થયા બાદ 1 મહિનાની અંદર જ યુવક અને તેના પરિવારનું વર્તન બદલાઈ ગયું હતું. તેમણે મને જણાવ્યું કે હવે તારે અમારા ધર્મ મુજબ નમાઝ પઢવી પડશે. બુરખો પહેરવો પડશે તેવી જબરજસ્તી કરવા લાગ્યા હતા. મારૂ નામ બદલી દેવાયું. હું આ બધું નહીં કરૂં તો પોલીસ હેરાન કરશે તેમ પણ જણાવ્યું હતું. મેં આ બાબતનો વિરોધ કર્યો હતો. પરંતુ મારા પતિએ મને માર માર્યો હતો. દરમિયાન હું ગર્ભવતી થતાં 8માં મહિને મારા સાસુએ મને માર પણ માર્યો હતો. મારૂ બાળક આવી ગયા બાદ તેમના વર્તનમાં વધારે પરિવર્તન આવ્યું હતું. મારા પિતાના અવસાન બાદ માતાની સાથે મળવાનું અને વાત કરવાનું બંધ કરી દેવાયું હતું. મેં પતિને કહ્યું કે મારી માતા સાથે અડધો કલાક મળવા જવા દો, ત્યારે મારા પતિએ મને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે મને પ્રેમ હતો, પરંતુ તે પ્રેમ ન હતો એ કંઈક બીજું જ હતું. પછી તો યુઝ એન્ડ થ્રો જેવું વર્તન મારી સાથે થયું હતું. હું અન્ય યુવતીઓને મેસેજ આપવા માગું છું કે આ લોકો પર વિશ્ર્વાસ રાખવા જેવો નથી. આ લોકો દગો આપે છે. જરા પણ દયા ભાવના નથી રાખતા. મારી તો જીંદગી ખરાબ થઈ છે. હું ચાહુ છું કે બીજી કોઈ યુવતીની જીંદગી ખરાબ ન થાય.
– (નિરવ કનોજીયા સાથે યુવતીની વાતચીતના આધારે)
જેઠ મોહસીન પણ લખ્ખણ ઝળકાવતો હતો
યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે ઘરમાં કોઈ ન હતું ત્યારે મોહિબના ભાઈ મોહસીને તેનો હાથ પકડી લીધો હતો અને તમારા હિન્દુ ધર્મમાં આવુ બધું ચાલ્યા કરે છે જેથી યુવતીએ વિરોધ કરતાં તેણે હાથ છોડી દીધો હતો. તમામે તું ઘરમાં આવી ત્યારબાદ મારી દશા બેઠી છે તેમ કહી ભેગા મળી તેને માર માર્યો હતો. મોહિબે યુવતી પાસે વારંવાર અપ્રાકૃતિક સેક્સની માગણી કરતાં યુવતી થાકી ગઈ હતી અને તે માંગ ના સ્વીકારે તો તે મારઝુડ કરતો હતો. તેના પિતા ઈમ્તીયાઝે પણ આ બાબતે મોહિબને ટેકો આપ્યો હતો.