હજી પણ ધરતી ધ્રુજે છે: આગાહી મુજબ આગામી 30 વર્ષમાં 3 લાખ જીવ સંભવિત ખતરામાં
ખાસ-ખબર ન્યૂઝ જાપાન, તા.4
છેલ્લા બે અઠવાડિયામાં જાપાનના ટોકારા ટાપુઓની આસપાસ એક હજારથી વધુ ભૂકંપ આવ્યા છે. જાપાન હવામાન એજન્સી અનુસાર, આ ભૂકંપ 21 જૂનથી શરૂૂ થયા હતા અને હજુ પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે.
બુધવારે રાત્રે લગભગ 3 વાગ્યે અહીં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ એજન્સીએ ભારે ભૂકંપની ચેતવણી જાહેર કરી છે. આ સાથે, લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે.
જાપાન વિશ્ર્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. તે ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો પર વસેલું છે અને પેસિફિક મહાસાગરના ’રિંગ ઓફ ફાયર’નો ભાગ છે. દર વર્ષે, અહીં લગભગ 1,500 ભૂકંપ આવે છે, જેમાંથી મોટાભાગના હળવા હોય છે.
ટોકારા ટાપુ પર માત્ર બે અઠવાડિયામાં આટલા બધા ભૂકંપ કેમ આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી.
ટોકારા ટાપુઓ પર, 21 થી 30 જુલાઈ દરમિયાન 740 ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ભૂકંપ 5 કે તેથી વધુ તીવ્રતાના હતા. ટોકારાના 12 ટાપુઓમાંથી 7 પર લગભગ 700 લોકો રહે છે.
માહિતી અનુસાર, 23 જૂને 183 ભૂકંપ આવ્યા હતા, જે એક જ દિવસમાં આવેલા ભૂકંપની સૌથી વધુ સંખ્યા હતી. 26 જૂને 15 અને 27 જૂને 16 ભૂકંપ આવ્યા હતા. પરંતુ આ સંખ્યા ફરી વધીને 28 જૂને 34 અને 29 જૂને 98 થઈ ગઈ. 30 જૂને 62 ભૂકંપ નોંધાયા હતા.
2024માં જાપાનના નોટો ટાપુ પર આવેલા ભૂકંપમાં લગભગ 600 લોકો માર્યા ગયા હતા. 2011માં 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામીમાં 18 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
જાપાન સરકારે ચેતવણી આપી છે કે આગામી 30 વર્ષમાં અહીં ભૂકંપની તીવ્રતા 75-82 ટકા વધી શકે છે. જો આવું થાય તો 2.98 લાખ લોકો મૃત્યુ પામી શકે છે અને 2 ટ્રિલિયન ડોલર (167 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં ક્યાંયથી કોઈ નુકસાનના સમાચાર નથી અને ભૂકંપને કારણે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ જરૂર પડ્યે લોકોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
એક સ્થાનિક રહેવાસીએ મીડિયાને જણાવ્યું કે રાત્રે અહીં સૂવું ખૂબ જ ડરામણું બની ગયું છે. એવું લાગે છે કે ઘર હંમેશા ધ્રુજતું રહે છે.
સ્થાનિક લોકો કહે છે કે તેઓ ડરના કારણે સૂઈ શકતા નથી. એક વ્યક્તિએ કહ્યું, “પૃથ્વી હંમેશા ધ્રુજી રહી છે, આ ભૂકંપ એક દુ:સ્વપ્ન જેવો છે.” બીજા રહેવાસીએ કહ્યું, “મને ખબર નથી કે આ ક્યારે બંધ થશે. મારે મારા બાળકોને સલામત સ્થળે લઈ જવા છે.”