કલમ 370થી લઇ ડિજિટલ ઇન્ડિયા સુધીના પગલાંને ઐતિહાસિક ગણાવ્યા, મહિલા સશક્તિકરણ અને ડબલ એન્જિન સરકારના પ્રયાસોની પ્રશંસા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વાંગી પ્રગતિ નોંધાવી છે અને દાયકાઓ જૂની અનેક સમસ્યાઓના ઉકેલ તરફ મક્કમ પગલાં ભર્યા છે. આ સિદ્ધિઓને બિરદાવતા ભાજપના અગ્રણી મહિલા નેતા કાશ્મીરાબેન નથવાણીએ કેન્દ્ર સરકારના વિવિધ નિર્ણયો અને યોજનાઓને ઐતિહાસિક ગણાવ્યા છે. કાશ્મીરાબેનના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2019માં કલમ 370ને દૂર કરવાનો નિર્ણય દેશ માટે માઈલસ્ટોન સાબિત થયો હતો. આ પગલાંથી જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ એકીકરણ શક્ય બન્યું છે અને આજે ત્યાં શાંતિનો માહોલ મજબૂત બન્યો છે. આતંકવાદ અને પથ્થરબાજીની ઘટનાઓમાં ઘટાડો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું, જ્યારે પ્રવાસનમાં નોંધાયેલ વધારો સ્થાનિક લોકો માટે નવી આશાઓ લઈને આવ્યો છે. સામાજિક સુધારણા મુદ્દે તેમણે ટ્રીપલ તલાક કાયદાને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, આ કાયદાએ મુસ્લિમ મહિલાઓને સન્માન અને સુરક્ષા આપી છે. સાથે જ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી ભારતનું સાંસ્કૃતિક ગૌરવ પુન:સ્થાપિત થયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રે થયેલા પરિવર્તનો અંગે કાશ્મીરાબેને જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઇ જેવી વ્યવસ્થાઓએ દેશને ડિજિટલ ક્રાંતિ તરફ આગળ ધપાવ્યો છે. ગામડાના નાના વેપારીઓ સુધી ડિજિટલ પેમેન્ટ પહોંચતા અર્થતંત્ર વધુ પારદર્શક બન્યું છે. સાથે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દ્વારા ‘એક દેશ, એક ટેક્સ’નો અમલ થઈ આર્થિક માળખામાં સુધારો થયો છે, જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા ભારતે વૈશ્વિક સ્તરે પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું છે. જનકલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્યમાન ભારત જેવી પહેલોને ગરીબોના જીવનમાં ગુણાત્મક ફેરફાર લાવનાર ગણાવી છે. મહિલા સશક્તિકરણ મુદ્દે કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘ડબલ એન્જિન સરકાર’ મહિલાઓને નીતિ ઘડતરમાં યોગ્ય સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ છે. નારી શક્તિ વંદન અધિનિયમ જેવા પગલાંઓએ મહિલાઓ માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવી તકો ઉભી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને દેશના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. આવા નિર્ણયો ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
મોદી સરકારના ઐતિહાસિક પગલાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સર્વાંગી પ્રગતિ
- Advertisement -
કલમ 370 દૂર થતાં જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ એકીકરણ અને શાંતિમાં વધારો
ત્રિપલ તલાક કાયદાથી મુસ્લિમ મહિલાઓને સન્માન અને સુરક્ષા
અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી સાંસ્કૃતિક ગૌરવનું પુન:સ્થાપન
ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ દ્વારા ડિજિટલ વ્યવહારોમાં વધારો
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સથી ‘એક દેશ, એક કર’ની વ્યવસ્થા અમલમાં
સર્જિકલ હુમલાઓ દ્વારા દેશની સૈન્ય શક્તિનું પ્રદર્શન
સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્યમાન ભારતથી ગરીબોના જીવનમાં ગુણાત્મક સુધારો
નારી શક્તિ વંદન અધિનિયમથી મહિલાઓને રાજકીય સશક્તિકરણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહકારથી ‘ડબલ એન્જિન સરકાર’ દ્વારા મહિલા શક્તિ મજબૂત
2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો



