ઉનાળાની ઋતુનો અંત આવવાના આરે છે અને ચોમાસુ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં હોય ત્યારે મનપા હવે માત્ર એક વર્ષ માટે શહેરમાં પાઈપલાઈનની સુવિધાવિહોણા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેકટર દ્વારા અધધધ… રૂા. 6,50,00,000 (સાડા છ કરોડ)ના ખર્ચે પાણીનું વિતરણ કરશે જે વિચારવા જેવું ખરૂં. રાજકોટના અનેક એવા વિસ્તારો છે કે જેમાં પાણીના આ ટેન્કરો ઉનાળો પૂરો થવા પર છે છતાં પહોંચ્યા નથી અને લોકોને સ્વખર્ચે પાણી વેચાતુ મંગાવવું પડે છે અથવા તો જેટલા ટેન્કરો પહોંચાડવા જોઈએ તેનાથી ઓછા ટેન્કરો પહોંચતા કરી મનપાના અધિકારીઓ શું તેમના ખિસ્સા ભરે છે? તેવા પ્રશ્ર્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
મનપા જે પાણીના વિતરણ માટે સાડા છ કરોડ ખર્ચ કરશે તો શું લોકોને પૂરતુ પાણી મળશે? પૂરતા ટેન્કરો પાઈપલાઈનની સુવિધાવિહોણા વિસ્તારોમાં પહોંચશે? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. આમ મનપા ઉનાળો હવે પૂર્ણતાના આરે છે ત્યારે પાણીના ટેન્કરો માટે સાડા છ કરોડનો ખર્ચ કરશે.