ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને આગામી તા. ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલનાર આ હસ્તકલા પ્રદર્શનમાં માટી તથા ગાયનાં ગોબરમાંથી બનાવેલ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ સહિતની અનેક ભાતીગળ વસ્તુઓનું વેચાણ થશે
ડો. વલ્લભભાઈ કથીરિયાના હસ્તે નાના મવા સર્કલ પાસે હસ્તકલા સેતુ પ્રદર્શન ખુલ્લુ મુકાયું

- Advertisement -
રાજકોટ – કમિશ્નર , કુટીર અને ગ્રામદ્યોગ વિભાગ, ગાંધીનગર દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને મદદ મળી રહે તેવા હેતુથી ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને આગામી તા. ૧૦, સપ્ટેમ્બર – ૨૦૨૧ સુધી રાજકોટ સ્થિત નાના મવા સર્કલ કોર્નર, ૧૫૦ ફુટ રીંગરોડ, ખાતે હસ્તકલા પ્રદર્શન-મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ગઈકાલે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાના હસ્તે આ હસ્તકલા સેતુ પ્રદર્શનના સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના કુલ ૧૩ જેટલા કારીગરો અને મહિલા ઉદ્યમીઓ દ્વારા ગૃહ સજાવટની વસ્તુઓ વેંચાણ માટે પ્રદર્શિત કરવામાં આવી છે.

આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે ગાય માત્ર દૂધ આપતી નથી પરંતુ ગૌમુત્ર અને ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તેમજ ગૃહ સજાવટની અનેક વસ્તુઓ બનાવી બહેનો પગભર થઈ શકે છે. તેઓએ ઢોલરા ગામની બહેનો દ્વારા ગોબરમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ નિહાળી હજુ વધુ ગામોમાં આ પ્રકારની વસ્તુઓ બને અને બહેનો પગભર બને તેમ જ તેમને ગુજરાત કુટીર ઉદ્યોગ વિકાસ કેન્દ્ર તેમજ ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થાન દ્વારા પ્લેટફોર્મ મળી રહે તે માટે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. એમએસએમઇ સેકેટરમાં પણ કાઉ બેઝ ગોબર ગૌમુત્રમાંથી બનતી હસ્તકલાની વસ્તુની નોંધણી થાય અને કોડનંબરીંગ મળે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયા છે.
- Advertisement -

આ પ્રદર્શન-મેળામાં ભાતીગળ હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ માટી તથા ગાયનાં છાણમાંથી બનાવવામાં આવેલ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ, તોરણ, સિંહાસન તથા ગૃહ સુશોભનની આધુનિક શૈલીની વસ્તુઓ જે માટીમાંથી તૈયાર કરવામાં આવેલ છે, તેનું વેચાણ કરવામાં આવનાર છે.

આ હસ્તકલા સેતુ યોજનાનો ઉદ્દેશ લોકલ ફોર વોકલને અનુસરીને હસ્તકલાના કારીગરોને વધુમાં વધુ રોજગારી અપાવવામાં મદદ કરવાનો છે જેને ધ્યાને લઈ આપણી ભાતીગળ હસ્તકલા જળવાય રહે અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજકોટના સૌ હસ્તકલા પ્રેમીઓને ભાગ લેવા જિલ્લા હસ્તકલા સેતુ યોજનાના જિલ્લા અધિકારી ગિરીશ જોશીએ જણાવ્યુ હતું

હસ્તકલા સેતુ યોજના અંતર્ગત પ્રદર્શન સ્ટોલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.ડી.મોરી, ગીરીશભાઇ , ભરતભાઈ ભુવા, નેહાબેન અને હસ્તકલાના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.




