છેલ્લાં બે અંકોમાં વાંચકોના પ્રશ્ર્નોના ઉત્તર આપી શકાયા ન હતા તેથી આ વખતે શક્ય એટલા પ્રશ્ર્નોના જવાબોનો અહીં સમાવેશ કરેલ છે.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
પ્રશ્ર્ન 1: અમો એક જ્વેલરી શોરૂમ બનાવી રહ્યા છીએ તો વાસ્તુ મુજબ અમારે તિજોરી કે સ્ટ્રોંગરૂમ કઈ જગ્યાએ બનાવવો?
જવાબ: વાસ્તુની અંદર ભારે વજનવાળી વસ્તુની વ્યવસ્થા વિશે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. પહેલાંના સમયમાં સોની ભાઈઓ ભારે વજનદાર તિજોરી રાખતા પરંતુ સમય જતાં હવે શોરૂમની અંદર આરસીસી વોલથી સ્ટ્રોંગરૂમ બનાવવાથી સગવડતા ઘણી સચવાય જાય છે. વાસ્તુ મુજબ સ્ટ્રોંગરૂમ કે તિજોરીની ગોઠવણી શોરૂમના નૈઋત્યખૂણામાં કરવી, તથા તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તેમ રાખવો. જો દરવાજો ઉત્તર દિશામાં ન ખુલી શકે તેમ હોય તો પૂર્વ દિશા તરફ પણ ખોલી શકાય. નૈઋત્યખૂણામાં તિજોરી કે સ્ટ્રોંગરૂમનું ફ્લોરીંગ લેવલ શોપના ફ્લોરીંગ લેવલ કરતા થોડું ઊંચું રાખવું.
- Advertisement -
પ્રશ્ર્ન 2: અમારે ગામડે ઘર છે જ્યાં ટોઈલેટ બાથરૂમ બનાવવાના છે, ત્યાં ભૂગર્ભ ગટરની લાઈન હજુ આવેલ નથી, તો શોષખાડો કઈ જગ્યાએ બનાવી શકાય?
જવાબ: વાસ્તુ મુજબ ડ્રેનેજ લાઈનના નિકાસ અથવા શોષખાડો બનાવવો હોય તો અગ્નિખૂણા અથવા વાયવ્યખૂણામાં બનાવવો.
પ્રશ્ર્ન 3: હું એક ફ્લેટમાં 11 મહિનાથી રહું છું અને જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યો છું ત્યારથી કોઈ ને કોઈ શારીરિક સમસ્યા રહે છે, શું કારણ હોઈ શકે?
જવાબ: જો આપને 11 મહિનાની અંદર જ વધારે પ્રમાણમાં શારીરિક પીડા થઈ રહી છે તો આપના ફ્લેટના પ્લોટની ઊર્જા નકારાત્મક હોઈ શકે અથવા આપના ફ્લેટના ઈશાન ખૂણાની અંદર પણ કોઈ સમસ્યા હોવાની સંભાવના રહેલી છે. આપના નજીકના કોઈ વાસ્તુ સલાહકારની મદદ લઈ આપ જગ્યા ચેક કરાવશો.
પ્રશ્ર્ન 4: રાજેશભાઈ, નમસ્તે. હું વાસ્તુશાસ્ત્રમાં ઘણી શ્રદ્ધા ધરાવું છું તથા મારા ઘરની ગોઠવણી પણ મેં વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલ અને તેનો સારો લાભ પણ મળેલ. પરંતુ મારા એવા ઘણા મિત્રો છે જેની જગ્યામાં વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરૂદ્ધ બાંધકામ થયેલ છે, પરંતુ તેને કોઈ એવી મોટી પીડા આવેલ નથી. ઘણા મિત્રો એવું પણ કહેતા હોય છે કે જાતમહેનત કરો તો બધું મળી જશે. મારો પ્રશ્ર્ન એ છે કે સર, જીવનમાં વાસ્તુશાસ્ત્રને મહત્ત્વ કેટલું આપવું તથા જે લોકો નથી માનતા તેને તેની અસર થાય કે નહિં?
જવાબ: ભાઈ, આપનો પ્રશ્ર્ન બહુ જ સરસ છે. વાસ્તુશાસ્ત્ર એ વાતાવરણમાં રહેલી ઊર્જાઓ જેવી કે સૂર્યપ્રકાશ, પૃથ્વીનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, પંચતત્ત્વને ધ્યાન રાખીને વર્ષોના અવલોકન પછી વાસ્તુશાસ્ત્રની રચના કરવામાં આવેલ છે. આપણે તેને ઉદાહરણથી સરળતાથી સમજીએ. જો બહાર વરસાદ વરસતો હોય તો આપણે વરસાદ બંધ ન કરી શકીએ, પણ છત્રી અથવા રેઈનકોટથી આપણી જાતને વરસાદથી બચાવી શકીએ. તેવી જ રીતે ઉનાળામાં બહાર ખૂબ જ ગરમી હોય તો આપણે બહાર ગરમી ઓછી કરી શકતાં નથી પણ આપણને ગરમી ઓછી થાય તે માટે આપણે જે જગ્યા પર હોય ત્યાં પંખો અથવા એ.સી.નો ઉપયોગ કરીને ગરમી ઓછી કરવા પ્રયત્ન કરી શકીએ. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય પ્રકૃત્તિની સાથે સંતુલન જાળવી સુખરૂપ જીવન જીવવા માટે ચોક્કસ પ્રકારની બાંધકામ શૈલીને અનુસરી શકે તે માટે આ શાસ્ત્રોની રચના કરવામાં આવી. બીજી વાત આપણે સૌ જાણીએ છીએ કે તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે, તેવું મેડિકલ સાયન્સ પણ કહે છે અને કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે. પરંતુ જેમ દરેક સિગારેટ પીવાવાળાને કેન્સર થતું નથી તેમ કેટલી માત્રામાં તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી કેન્સર થઈ શકે છે તે કહી શકાતું નથી તેનો મતલબ એ નથી કે તમાકુનું સેવન અથવા સિગારેટનું સેવન સતત ચાલુ રાખવું. કારણ કે દરેક વ્યક્તિની અલગ-અલગ તાસીર, અલગ-અલગ જીવનશૈલી અને અલગ-અલગ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ તેના સ્વાસ્થ્ય પર મોટોભાગ ભજવે છે. તેથી જ તમાકુના વ્યસનની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ પડે છે. આવું જ કંઈક જગ્યાના પ્રભાવનું છે. જીવનમાં વાસ્તુશાસ્ત્રની સાથોસાથ વ્યક્તિનું ભાગ્ય પણ ચોક્કસ ભાગ ભજવે છે એટલે કે બળવાન ભાગ્યને નબળા વાસ્તુની અસર થોડી મોડી થાય તેમ કહી શકાય. પણ ચોક્કસપણે તેના જીવનમાં જે જગ્યામાં રહે છે તેની અસર તો આવે જ. બીજો એક મહત્ત્વનો મુદ્દો વ્યક્તિ ભાગ્યને બદલી શકતો નથી, પરંતુ તે તેના કામકાજ કરવાની જગ્યા, રહેવાની જગ્યા, સુવા-બેસવાની જગ્યામાં ફેરફાર કરી જીવનમાં ચોક્કસપણે ઘણા ફેરફારો લાવી શકે છે. મહેનતના સંદર્ભમાં કહીએ તો ખાલી મહેનતથી બધું મળતું હોય તો ઘોડા કરતાં ગધેડો ઘણી વધુ મહેનત કરે છે, પણ તે ઘોડા જેટલો લાભ મેળવી શકતો નથી. જીવનમાં નીતિમત્તા, ભાગ્ય, મહેનતની સાથોસાથ રહેવાની અને કામ કરવાની જગ્યા જો સકારાત્મક ઊર્જાવાળી હશે તો આપ જીવનમાં વિશેષ લાભ મેળવી શકશો. અહીં કહેવાનો આશય એ છે કે જીવનમાં આપનું ભાગ્ય, આપની મહેનત, નિષ્ઠા, વૃત્તિ તથા આપની રહેવાની અને કામ કરવાની જગ્યા દરેકનું આપની સફળતામાં યોગદાન છે તેમ તેમાંથી કોઈ એકને પણ તમે અવગણી ન શકો.
- Advertisement -
પ્રશ્ર્ન 5: મારૂં ઘર દક્ષિણમુખી છે તથા પાણીની અંડરગ્રાઉન્ડ વોટરટેન્ક ઘરના અગ્નિખૂણામાં છે, તો તેનો કોઈ ઉપાય બતાવશો.
જવાબ: વાસ્તુ પ્રમાણે અગ્નિખૂણામાં રહેલ અંદર ગ્રાઉન્ડ વોટરટેન્ક વાસ્તુદોષ આપે છે. અગ્નિખૂણામાં રહેલ અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક આર્થિક બાબતોને અસર કરે છે તથા પૈસાની બચત થવામાં ઘણા અવરોધો આપે છે. નાના-મોટા અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહે છે તેથી આપ તે ટાંકી મોરમ નાખી બંધ કરવી અને નવી અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક ઈશાન ખૂણામાં અને પૂર્વ દિશા વચ્ચે બનાવશો.
પ્રશ્ર્ન 6: નમસ્તે સર, મારા પુત્રના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તે ઘરના અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરી શકે?
જવાબ: વાસ્તુ મુજબ નવવિવાહિત દંપતિએ અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરવો નહિં. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ, તણાવ કે મતભેદ કરાવી શકે. સાથોસાથ પ્રેગનન્સી દરમિયાન પણ સ્ત્રીના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમનો ઉપયોગ ગેસ્ટરૂમ તરીકે કરવો વધારે યોગ્ય રહેશે.
પ્રશ્ર્ન 7: મારા ઘરમાં હાલમાં ફર્નિચર કામ ચાલી રહ્યું છે. મારે ઘરમાં ચિત્રો રાખતી વખતે શું કાળજી રાખવી? તે જણાવશો.
જવાબ: વાચક મિત્ર, જ્યારે આપ ઘરમાં ચિત્રો રાખવા માગતાં હોય તો યુદ્ધના ચિત્રો, રડતાં બાળક અને રડતી સ્ત્રીના ચિત્રો, હિંસક પશુઓના ચિત્રો, ઘરમાં ભય ઉદ્ભવે તેવા ચિત્રો, હિંસક પશુઓના મસ્તિષ્કના ચિત્રો, ખંડિત થયેલ મૂર્તિના ચિત્રો, અર્ધ અંગના ચિત્રો ન રાખવા.