27મીથી નવા નિયમો લાગુ : ધંધા-રોજગારને રાત્રે 9 વાગ્યા સુધીની છુટ
રાજ્યના 18 શહેરોમાંથી રાત્રી કર્ફ્યુ હટાવાયો
રાજ્યના કુલ 18 જિલ્લામાંથી રાત્રી કર્ફ્યુ હટાવાયો છે. તેમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી અને બોટાદને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત રાજ્યના આણંદ, દાહોદ, ગાંધીધામ, નડિયાદ, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મોડાસા, રાધનપુર, કડી, વીસનગર, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ, અંકલેશ્વર અને વાપીમાંથી પણ રાત્રી કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લેવાયો છે.
હવે રાત્રીના 10થી સવારે 6 સુધી અમલી રહેશે કફર્યૂ
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં લાગુ નિયંત્રણો અંગે ચર્ચા થઈ હતી અને હવે જ્યારે કોરોના કેસો તળીયે પહોંચી ગયા છે ત્યારે નિયંત્રણોમાં રાહત અપાવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુંનો સમય એક કલાક ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. હવે રાત્રે 9 ના બદલે રાત્રે 10 વાગ્યાથી રાત્રી કરફ્યુ શરૂ થશે. આ ઉપરાંત પહેલા 36 શહેરોમાં રાત્રી કરફ્યુની અમલવારી થતી હતી પરંતુ હવે 18 શહેરોમાં જ રાત્રી કરફ્યુનો નિયમ લાગુ પડશે. બીજા 18 શહેરોને આમાંથી મુક્તિ અપાઈ છે. આ તમામ નિર્ણયો આગામી તા.27 જૂનથી અમલમાં આવશે.
- Advertisement -
ગઈકાલે સરકારે લીધેલા નિર્ણયોમાં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરનારો નિર્ણય ફરજીયાત વેક્સિનેશનનો હતો. સરકારે તમામ વેપારીઓ, લારી ગલ્લા વાળા અને વ્યવસાયકારો માટે વેક્સિન ફરજિયાત લેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સિનેમા હોલ, મલ્ટિપ્લેકસ, ઓડિટોરિયમને 50% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.
આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
આ સિવાય લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. સામાજિક – રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત જીએસઆરટીસીની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ છે.
- Advertisement -
પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.