આર્થિક સંકડામણ, પારિવારિક સમસ્યા સહિતના કારણો જવાબદાર: આપઘાતની ઘટનાઓમાં
અમદાવાદ અને સુરત ટોચ ઉપર: ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહ વિભાગે આંકડા જાહેર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં 31મી માર્ચ 2023ની સ્થિતિએ છેલ્લાં ત્રણ વર્ષમાં 25,478 જેટલા લોકોએ વિવિધ કારણસર આપઘાત કરીને જિંદગી ટૂંકાવી છે જ્યારે 6,890 લોકોએ આપઘાતની કોશિશ કરી છે. આપઘાત કરવા કે આપઘાતની કોશિશ કરવા માટેના કારણોમાં આર્થિક સંકડામણ, માનસિક બીમારી, પારિવારિક સમસ્યાઓ, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પરીક્ષામાં નાપાસ થવાનો ડર વગેરે જેવી બાબતો સામેલ છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આપઘાતનો સિલસિલો વધી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહ વિભાગે આ આંકડા જાહેર કર્યા છે.
- Advertisement -
અમદાવાદ શહેરમાં આપઘાત કરનારાની સંખ્યા વધી રહી છે, વર્ષ 2020-21માં 1053, 2021-22માં 1108 અને 2022-23માં 1119 વ્યક્તિએ એક યા બીજા કારણસર પોતાની જિંદગી ટૂંકાવી છે. સુરત શહેરમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં દર વર્ષે 900થી વધુ લોકોએ આપઘાત કર્યા છે જ્યારે સુરત ગ્રામ્યમાં વર્ષે 270થી વધુ લોકોએ આપઘાત કર્યા છે. રાજકોટ શહેરમાં વર્ષ 2020-21માં 434, 2021-22માં 410 અને 2022-23માં 443 લોકોએ આપઘાત કર્યા છે,
વડોદરા શહેરમાં 2020-21માં 300, 2021-22માં 292 અને 2022-23માં 244 લોકોએ આપઘાત કર્યા છે, આપઘાતના કિસ્સા ઘટે તે માટે રાજ્ય સરકારે શું પગલાં લીધા તેવા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું છે કે, સરકાર દ્વારા અભયમ હેલ્પ લાઈન નંબર 181, જિંદગી હેલ્પ લાઈન 1096 ચલાવવામાં આવે છે, પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત શી ટીમ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે.