ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.13
રાજુલા વનવિભાગે મોટી ખેરાળી ગામ નજીક નેવડા વિસ્તારમાં એક ઈજાગ્રસ્ત સિંહનું રેસ્કયુ કરી સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. દેશની શાન સમા એશિયાન્ટીક સિંહો એકમાત્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સિંહો માટે વનવિભાગ હંમેશા ખડેપગે રહેતું આવ્યું છે. શેત્રુંજી ડિવિઝનના રાજુલા રેન્જના મોટી ખેરાળી ગામે એક ઇજાગસ્ત સિંહની જાણ વનવિભાગને થતાં ગઇકાલે મોડીરાતે વનવિભાગ દ્વારા સિંહને બચાવવા માટે રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને જવલ્લે જ જોવા મળતી ઘટના વનવિભાગને જોવા મળી હતી. સામાન્ય રીતે સિંહબાળ હંમેશા માતા સિંહણ જોડે જ રહેતું હોય છે. પરંતુ અહીંયા ઈજાગ્રસ્ત સિંહ જોડે સિંહબાળ જોવા મળ્યું હતું. અને જો સિંહને પકડીને પાંજરે પુરવામા આવે તો તો સિંહબાળ એકલું રહે છે. અન્ય સિંહો દ્વારા સિંહબાળને મોતને ઘાટ ઉતારે તેવુ બની શકે છે. ત્યારબાદ રાજુલા વનવિભાગ દ્વારા મોટી ખેરાળી ગામના રેવન્યુ વિસ્તારમાં બે થી ત્રણ વર્ષના નર સિંહને પાંજરે પુરવામાં આવ્યો હતો. બે થી ત્રણ વર્ષનો સિંહના પાછળના જમણા પગે ઇજાગસ્ત થયો હતો. સાથે સાથે સિંહબાળને પાંજરે પૂરીને ઈજાગ્રસ્ત સિંહને સારવાર અર્થ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. સિંહબાળને પણ તેની સાથે ખસેડવામાં આવ્યું હતું. રાજુલા વાઇલ્ડ લાઇફ આર.એફ.ઓ યોગરાજસિંહ રાઠોડ સહિત ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ત્યારે ઇજાગસ્ત સિંહને બચાવવામાં માટે રાજુલા વનવિભાગ સફળ રહ્યુ હતું.