વસ્તી નિયંત્રણના કાયદા અંગે નીતિન પટેલનું મહત્ત્વનું નિવેદન
અન્ય રાજ્યોના વસ્તી નિયંત્રણ અંગેના કાયદાઓ અંગે અમે અભ્યાસ કરીશું
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે વસ્તી નિયંત્રણ માટે નવી નીતિ જાહેર કર્યા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ત્યારે નીતિન પટેલે પણ આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે વસ્તી નિયંત્રણ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘બેથી વધુ બાળક ધરાવતા વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં અને સભ્ય બનશે નહીં તેવો નિર્ણય વર્ષો પહેલા કરેલ છે.’
વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘દેશના અન્ય રાજ્યો વસ્તીવધારા મુદ્દે પગલાં ભરી રહ્યાં છે અને નવા નિયમો અમલી કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેનો અભ્યાસ કરશે. અન્ય રાજ્યોના વસ્તી નિયંત્રણ અંગેના કાયદાઓ અંગે અમે અભ્યાસ કરીશું. સરકારને યોગ્ય લાગશે તો પોલિસીમાં બદલાવ કરશે.’
ઉલ્લેખનીય છે કે, જનસંખ્યા નિયંત્રણને લઇને ઉત્તર પ્રદેશ સરકારની નવી નીતિની ચર્ચા બાદ કેન્દ્ર સરકાર પણ હવે આ મામલે કાયદો લાવવાની તૈયારીમાં છે. કાયદો બનાવતા પહેલા ભારતીય જનતા પાર્ટીનું ટોચનું નેતૃત્વ આ મુદ્દે હવે ધીમે ધીમે આગળ વધી
રહ્યું છે.
- Advertisement -
ભાજપ શાસિત રાજ્યોને આ મુદ્દે નીતિઓ રજૂ કરવા કહેવાયું છે કે જેથી જનસંખ્યા નિયંત્રણ મુદ્દે દેશભરમાં એક માહોલ બનાવી શકાય. આ કડીમાં ઉત્તર પ્રદેશ સરકારે જનસંખ્યા નિયંત્રણ નીતિ રજૂ કરી છે.


