ડે.મેયરના દક્ષાબેન વસાણીનો ફ્લેટ 6 લાખમાં ખરીદ્યાનો આલાભાઈ સભાડનો દાવો
સામાપક્ષે દક્ષાબેન વસાણીનો પણ ચોંકાવનારો બચાવ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. આ વખતે સવાલોના કેન્દ્રમાં રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર અને વોર્ડ-૯ના કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઈ વસાણીનું નામ સામે આવ્યું છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા નટરાજનગરની આવાસ યોજનાના ફ્લેટ નં. ૧૧૯ને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ૧૧૯ નંબરનો આવાસ યોજનાનો ફ્લેટ દક્ષાબેન વસાણીના નામે હતો પરંતુ હાલ આ મકાનમાં દક્ષાબેન નહીં, આલાભાઈ સભાડ નામના વ્યક્તિ રહે છે. મીડિયા સાથેની વાતચીતમાં આલભાઈ સભાડે દાવો કર્યો છે કે, તેમણે આ મકાન દક્ષાબેન વસાણી પાસેથી રૂ. ૬ લાખમાં ખરીદ્યું છે. આલાભાઈ સભાડના કહેવા પ્રમાણે આ મકાન તેમણે આશરે છ-આઠ મહિના પહેલાં લીધું હતું. આલભાઈના દાવા મુજબ વાત માત્ર ફ્લેટ નંબર ૧૧૯ પૂરતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે ફ્લેટ નંબર ૧૨૦ પણ તેમનો જ છે. જોકે, સમગ્ર આક્ષેપોને લઈને ડે.મેયર દક્ષાબેન વસાણીએ અલગ જ સ્પષ્ટતા કરી છે. દક્ષાબેન વસાણીના જણાવ્યા પ્રમાણે તેમણે આવાસ યોજનામાં કોઈ ફોર્મ ભર્યું નહોતું. ગોપાલચોકમાં આવેલી તેમની દુકાનનું મનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તેના બદલામાં મનપા દ્વારા તેમને આ ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. દક્ષાબેને વધુમાં સ્વીકાર્યું કે, આશરે આઠ મહિના પહેલાં તેમણે આ ક્વાર્ટર રૂ.૬ લાખમાં વેચ્યું હતું. બીજી તરફ સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જો દક્ષાબેનની દુકાન કપાતમાં ગઈ હોય તો તેના બદલામાં દુકાન અથવા વળતર મેળવી શકાય પરંતુ ગરીબો માટેની આવાસ યોજનામાંથી મકાન મેળવવું યોગ્ય નથી. તેમણે ચૂંટણી સમયે રજૂ કરાયેલા સોગંદનામામાં આવાસની વિગતો છુપાવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે મનપાના કમિશનર તથા મેયર દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારની પાસે પણ આવાસ હોવાનું બહાર આવ્યું
રાજકોટ શહેર ભાજપના વોર્ડ નં.૬ના કોર્પોરેટરે આવાસ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબને પરમારની પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે વર્ષ ૨૦૧૪માં જ્યારે પોતે કોર્પોરેટર નહોતા એ સમયે આ આવાસ લાગ્યું હોવાનો બચાવ કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, મારા પતિ ખાનગી નોકરી કરે છે. જે-તે સમયે અમારી પાસે રહેઠાણ નહીં હોવાથી નિયમ મુજબ આવાસ માટે અરજી કરતા આ આવાસ લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધર્મિષ્ઠાબેન પરમારે ચૂંટણી ઉમેદવારી પત્ર ભર્યું એ સમયે તેઓ સોગંદનામામાં દોઢ લાખ રૂપિયાની રોકડ, બે લાખનું મચ્યુઅલ ફંડમાં રોકાણ, રૂ. ૩૩ લાખની કિંમતના બાવીસ તોલા ઝવેરાત, મોરબીના મકનસર ગામે સંયુક્ત નામે જમીન, પતિ પાસે માધાપર ગામે સંયુક્ત નામે ફ્લેટ અને શહેરનાં કાલાવડ રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર હોવાનું જાહેર કર્યું હતું.
અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ
જ લાભાર્થીનું આ સમગ્ર મામલામાં માત્ર લાભાર્થીનું નામ જ નહીં પરંતુ જે-તે સમયના મનપાના તંત્રની ભૂમિકા અંગે પણ સવાલ ઊભા થાય છે. કયા અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી હતી? પાત્રતા કેવી રીતે નક્કી થઈ? સ્થળ તપાસ કોણે કરી? અને લાભાર્થી તરીકે નામ મંજૂર કોણે કર્યું? આ તમામ સવાલોના જવાબ તંત્ર પાસેથી મેળવવા જરૂરી બની જાય છે. જો વર્ષ ૨૦૧૪-૧૫માં ફ્લેટ દક્ષાબેન વસાણીને ફાળવાયો હતો, તો ત્યારબાદ આ મકાનનો વપરાશ કેવી રીતે થયો? શું તેઓ તેમાં રહેતા હતા? કે મકાન લાંબા સમય સુધી બંધ રહ્યું? અને જો તે અન્ય વ્યક્તિને આપવામાં આવ્યું હોય તો કયા કાયદાકીય દસ્તાવેજો અને મંજૂરીના આધારે? હાલ ફ્લેટમાં રહેતા આલાભાઈ સભાડના નિવેદનથી તો એટલું ચોક્કસ સામે આવે છે કે તેઓ આ મકાન દક્ષાબેન પાસેથી રૂ. ૬ લાખમાં લીધું હોવાનો દાવો કરે છે પરંતુ આ દાવાની ‘ સત્તાવાર દસ્તાવેજોથી ચકાસણી થવી બાકી છે.
- Advertisement -
RMCની આવાસ યોજનાઓમાં બેફામ ગેરરીતિનો પર્દાફાશ : ‘ખાસ-ખબર’નાં સ્ફોટક અહેવાલોનો પડઘોઃ આવાસનો ડ્રો રદ્દ કરાયો
રાજકોટની વિવિધ આવાસ યોજનાની ફાળવણીમાં થયેલી ગેરીરીતિ મામલે ‘ખાસ-ખબર’ના અહેવાલનો જબરદસ્ત પડઘો પડયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનના ૪૨ અસરગ્રસ્તો સહિત અલગ અલગ વિસ્તારોના વિસ્થાપિતોને ૩ સપ્ટેમ્બરે ૧૬૩ આવાસની ફાળવણી કરાઈ હતી, જેમાં વિસંગગતા જણાતા મેયર ડો. નેહલ શુકલએ ફાળવણી રદ કરવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ અહેવાલો બાદ આવાસ યોજનામાં ચાલતા કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા હતા ત્યારે હાલમાં જ થયેલો આવાસ યોજનોનો ડ્રો પણ માત્ર નાટક પુરતો જ હોવાની ફરિયાદો મેયર ડો. નેહલ શુકલને મળી હતી. મેયર દ્વારા આ અંગે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કેટલીક વિસંગતતા સામે આવી હતી. જેને લઈ તેમણે આવાસ ફાળવણીનો આ ડ્રો રદ કરવાનો આદેશ કરતાં મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે. મેયર ડો. નેહલ શુકલે એક બે આવાસોને બદલે તમામ ૧૬૩ આવાસોનો આખો ડ્રો જ રદ કરવાનો હુકમ કરતાં ભાજપના કોર્પોરેટરો સહિત અધિકારીઓમાં પણ સોંપો પડી ગયો છે.
નિષ્પક્ષ તપાસ થાય તો રાજયનો સૌથી મોટો આવાસ ભ્રષ્ટાચાર રાજકોટમાં ઉજાગર થઈ શકેઃ કૉંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ડ્રો કરવામાં આવેલા ૧૬૫ આવાસ મેયર દ્વારા રદ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શાસક પક્ષ ભાજપ અને વહીવટી તંત્ર પર આકરા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને શહેરોમાં પોતાની છત મળી રહે તેવા ઉદ્દેશથી આવાસો બનાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાજપના સંગઠન સાથે જોડાયેલા લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવાસો મેળવીને ગરીબ લોકોના હક છીનવી રહ્યા છે. આવાસોના ડ્રો રદ થવા અંગે તેમણે કહ્યું કે, કદાચ મેયરના ધ્યાને પણ ભ્રષ્ટાચારની આ બાબત આવી હોવાથી તેમણે આ નિર્ણય લેવાની ફરજ પડી હશે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પણ પત્રકાર પરિષદો કરીને કડક કાર્યવાહીના દાવા કરાયા બાદ ફાઇલો દબાવી દેવાઈ હતી. તેથી આ વખતે મેયર પોતાની હિંમત પર અડગ રહીને આવાસ ફાળવણીના ભ્રષ્યચાર સામે પૂર્ણ કાર્યવાહી કરે તે જરૂરી છે. આ સાથે તેમણે મ્યુનિસિપલ કમિશનર અને મેયર બંને જાતે સ્થળ તપાસ કરવા નીકળે તેવી માગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે તંત્ર ‘રોબોટ’ની જેમ માત્ર “તપાસ થશે. તેવા નિવેદનો આપે છે, પરંતુ ભૂતકાળમાં એસઆઈટી કે વિજિલન્સ તપાસના કોઈ રિપોર્ટ જાહેર કરાયા નથી. જો તંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરે તો ‘નાયક’ ફિલ્મ જેવો રાજ્યનો સૌથી મોટો આવાસ ભ્રષ્યચાર રાજકોટમાં ઉજાગર થઈ શકે તેમ છે.




