કુંભમેળામાં ભાગદોડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જુનાગઢ ગિરનારી ગ્રુપના સમીરભાઈ દત્તાણી તથા સંજયભાઈ બુહેચાની યાદીમાં જણાવવામાં આવે છે કે, ભારતી આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતીબાપુની સમાધિ ખાતે મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજી મહારાજના શિષ્ય ભારતી આશ્રમના લઘુમંંત મહાદેવ ભારતી બાપુને પ્રયાગરાજ મહાકુંભ ખાતે શ્રીપંચ દશનામ જૂના અખાડામાં મહામંડલેશ્વરના પદની નિયુક્તિ કરવામાં આવેલ હતી. જે બદલ જૂનાગઢનું ગિરનારી ગ્રુપ ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી સાથે મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુને સાલ ઓઢાડીને ફુલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવેલ હતા.
- Advertisement -
આ પ્રસંગે મહાદેવ ભારતી બાપુએ પ્રયાગરાજ મહાકુંભના મેળાની પ્રતિકૃતિઓ અંગેનુ વર્ણન કરીને જણાવેલ હતું કે, આ મહાકુંભ મેળામાં ચારેયપીઠના શંકરાચાર્ય, મહારાજશ્રીઓ, જગતગુરુશ્રીઓ, તેરેય અખાડાના આચાર્ય મંડલેશ્વર, મહામંડલેશ્વરો, નાગા સન્યાસીઓ, સનાતન ધર્મના તમામ સંપ્રદાયના સંતો મહંતો સહિત કરોડો ધર્મ પ્રેમી લોકોએ સ્વયંભૂ પધારીને આ કુંભમેળામાં યજ્ઞ, અનુષ્ઠાનો, કથાઓ સહિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈને ત્રિવેણી સંગમ સમા ગંગા નદીમાં શાહી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધેલ હતું. જ્યારે આ મહાકુંભ મેળામાં પધારતા ભક્તગણો માટે ભારતી આશ્રમ દ્વારા સેક્ટર નંબર 16, હર્ષવર્ધન રોડ, મંડલેશ્વરનગર ખાતે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં રોજના અંદાજિત 1000 થી 1200 જેટલા ભક્તગણો ભોજન પ્રસાદનો લાભ લેતા હતા. જ્યારે કરોડોની જન મેદની વચ્ચે પણ પ્રશાસન દ્વારા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી તેમને બિરદાવવામાં આવેલ હતી. મહાકુંભ મેળામાં અનિવાર્ય સંજોગોનુસાર લોકોમાં જે ભાગદોડ મચી એમાં ઘણા ભક્તગણો મૃત્યુને ભેટ્યા હતા. એ વાતનું ખુબ જ દુ:ખ વ્યક્ત કરીને બે મિનિટનું મૌન પાળીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.