પ્રશાંત વાળા : પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ, ગુજરાત ભાજપા
નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓને ભૂલી ગયેલી કોંગ્રેસ આજે ક્યા મોઢે વિદ્યાર્થીહિતની વાત કરે છે ? પ્રશાંત વાળા
- Advertisement -
લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ વિરોધના નામે ઇતિહાસને ભૂલી જવો કે પસંદગીપૂર્વક યાદ કરવો એ રાજકીય પ્રમાણિકતા નથી. રાજકીય પક્ષો પોતાના રાજકીય લાભ માટે વિદ્યાર્થીહિતની વાતો કરી વિધાર્થીઓને ગુમરાહ કરવાનાં કાવતરા કરે, તો દેશની જનતા તેમને તેમનો ભૂતકાળ યાદ કરાવે એ સ્વાભાવિક છે. દિલ્હીના જંતર-મંતર ખાતે બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે દુષ્પ્રચાર કરી રહ્યા છે. પરંતુ એ જ કોંગ્રેસે ક્યારેય પોતાના ઇતિહાસના સૌથી કાળા અધ્યાય-ગુજરાતના નવનિર્માણ આંદોલન-વિશે આત્મચિંતન કર્યું છે? વાસ્તવિકતા એ છે કે,નવનિર્માણ આંદોલનમાં શહીદ થયેલાં વિદ્યાર્થીઓના પરિવારની કોંગ્રેસે કે ગાંધી પરિવારે આજદિન સુધી ક્યારેય માફી પણ માંગી નથી. ગુજરાતના નવનિર્માણ આંદોલનને ભારતના ઇતિહાસના સૌથી મોટા વિદ્યાર્થીઆંદોલનોમાં સ્થાન મળ્યું છે. સાલ ૧૯૭૩ના ડીસેમ્બર મહિનામાં સૌ પ્રથમ મોરબી એન્જીનીયરીંગ કોલેજ અને ત્યારબાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ભોજનના વધારેલા દર સામે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો. શરૂઆતમાં આ માત્ર વિદ્યાર્થી આંદોલન હતું, પરંતુ ટૂંક સમયમાં જ તે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટચાર, મોંઘવારી અને કુશાસન સામેના જનઆંદોલનમાં પરિવર્તિત થયું. તે સમયે ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. સરકાર સામે ભ્રષ્ટચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો હતો.વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ, મધ્યમવર્ગ, મહિલાઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાતા ગયા અને સમગ્ર ગુજરાતમાં વિરોધની જવાળા પ્રસરી ગઈ.શાળા-કોલજો બંધનું એલાન આપવામાં આવ્યું. ઠેર-ઠેર દેખાવો શરુ થયા. જોતજોતામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. શિક્ષણમંત્રી આયેશા બેગમે વિદ્યાર્થીઓના આંદોલનને રાષ્ટ્રવિરોધી આંદોલન જાહેર કર્યું. આંદોલન વધુ ઉગ્ર બની ગુજરાતના ૩૩ જેટલાં શહેરોમાં ફેલાય ગયું હતું. કોંગ્રેસ સરકારે અમદાવાદ, વડોદરા તેમજ પાલનપુર જેવા નાના શહેરોમાં પણ કકર્યું લગાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ કોંગ્રેસ કાર્યાલયો પર જઈને બંગડીઓ ફેંકી ઉગ્ર દેખાવો કર્યા. વિદ્યાર્થીઓની ધરપકડનો દૌર શરુ થયો. આંદોલનનો વ્યાપ વધતો ગયો. વિદ્યાર્થીઓની એક જ માંગ હતી કે, મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે. પરંતુ ચીમનભાઈ કોઈપણ સંજોગોમાં રાજીનામું આપવા માંગતા નહોતા. લોકશાહીમાં જનતાનો અવાજ સાંભળવાને બદલે કોંગ્રેસ સરકારે કડક પોલીસ કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો. વિદ્યાર્થીઓને કાબૂમાં રાખવા માટે સૈન્ય બોલાવવામાં આવ્યું. પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ગોળીબારની ઘટનાઓ બની.
– નવનિર્માણ આંદોલન ૭૩ દિવસ ચાલ્યું
– પોલીસ ગોળીબારમાં ૧૦૫ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે.
– ૮,૦૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી.
– ૧૮૪ લોકોને મીસા (MISA) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા.
– ૧,૬૫૪ વખત લાઠીચાર્જ થયો .
– ૪,૩૪૨ અશ્રુગેસના ગોળા છોડવામાં આવ્યા.
– ૧,૪૦૫ રાઉન્ડ ગોળીબાર થયો.
– ૩૧૦ લોકો ઘાયલ થયા.
આ આંકડા દર્શાવે છે કે તે સમયની પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને કોંગ્રેસ સરકાર દ્વારા મોટા પાયે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. કારમી પીડા, યાતનાઓ અને ૧૦૫ વિદ્યાર્થીઓની શહીદી બાદ અંતે ચીમનભાઈ અને તેની સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. આજે કોંગ્રેસ દરેક ઘટનામાં માનવાધિકાર, વિદ્યાર્થીહિત, બંધારણ અને લોકશાહીની વાત કરે છે.
- Advertisement -
પરંતુ પ્રશ્ન એ છે-
– નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસે ક્યારેય આત્મચિંતન કર્યું?
– શું કોંગ્રેસે ક્યારેય જાહેરમાં સ્વીકાર્યું કે તે સમયની પરિસ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હતી?
– શું કોંગ્રેસે ક્યારેય તે પરિવારો પાસે માફી માંગી?
– જો જવાબ “ના” હોય. તો આજે નૈતિકતાના ઉપદેશ આપવાનો અધિકાર કોંગ્રેસને કેવી રીતે મળે ?
નવનિર્માણના શહીદો કોઈ એક પક્ષના નહોતા.તેઓ ગુજરાતના યુવાનો હતા.તેમનું બલિદાન ભ્રષ્ટચાર અને કુશાસન સામેની લડતનું પ્રતિક હતું. નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓની ખાંભીઓ આજે પણ રાહ જોઈ રહી છે કે, કોઈ કોંગ્રેસીના મનમાં રામ વસે અને ખાંભીએ આવીને પ્રાયશ્ચિત્તરૂપે એક દીવો કરે. શહીદ વિદ્યાર્થીઓના બલિદાનને રાજકીય સુવિધા માટે ભૂલવામાં ન આવે અને દેશની નવી પેઢીને કોંગ્રેસના આ કાળા અધ્યાયથી અવગત કરાવવામાં આવે તે જ સાચી શ્રધ્ધાંજલિ.
105 વિદ્યાર્થીઓને ગોળીએ વિંધનાર કોંગ્રેસ માફી ક્યારે માંગશે ? : પ્રશાંત વાળા




