મહામુકાબલો
અભિષેકની જગ્યાએ કુલદીપ યાદવને સ્થાન મળે તેવી ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ઝ20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફારનો સંકેત છે. ખરાબ ફોર્મના સામનો કરી રહેલા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માને ડ્રોપ કરવામાં આવી શકે છે, જેના કારણે ઈશાન કિશનને ઓપનિંગની તક મળશે. બોલિંગને મજબૂતી આપવા માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવ કુલદીપ યાદવને ‘ટ્રમ્પ કાર્ડ’ તરીકે સામેલ કરી શકે છે. શું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મહામુકાબલામાં ભારત ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનશે?
ક્રિકેટના મહાકુંભ ઝ20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો મુકાબલો હવે નજીક જ છે. રવિવાર 8 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. પરંતુ આ ‘કરો યા મરો’ મેચ પહેલા ભારતીય ટીમમાં મોટા ફેરફારની અફવાઓ તેજ થઈ ગઈ છે. અહેવાલ પ્રમાણે ટીમ મેનેજમેન્ટ ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા અભિષેક શર્માને ડ્રોપ કરીને પ્લેઇંગ ઈલેવનમાં મોટો દાવ ખેલવાની તૈયારીમાં છે.
વિશ્ર્વના નંબર વન ઝ20 બેટ્સમેન ગણાતા અભિષેક શર્મા માટે આ વર્લ્ડ કપ એક ખરાબ સ્વપ્ન સમાન રહ્યો છે. તે ટુર્નામેન્ટની સાત મેચમાં માત્ર 89 રન બનાવી શક્યો છે. આવી સ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફાઈનલ જેવી નિર્ણાયક મેચમાં કોઈ ‘આઉટ ઓફ ફોર્મ’ ખેલાડી સાથે જોખમ ઉઠાવવા નહીં માગશે. જો અભિષેકને બહાર કરવામાં આવે, તો ઓપનિંગ ઈશાન કિશન કરશે. અભિષેકના સ્થાને ટીમમાં સામેલ થવાની રેસમાં રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવના નામ સામેલ છે, પરંતુ કુલદીપ યાદવનું પલડુ સૌથી ભારે છે. મોટી મેચોમાં તેનો અનુભવ તેને રિંકુ અથવા સુંદરથી આગળ રાખે છે.



