રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે.
હવે જૂની AAP નથી રહી
- Advertisement -
ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
15 વર્ષના સમર્પણનો અંત
પોતાની ભાવનાત્મક વાત રજૂ કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, મેં મારા યુવાનીના કિંમતી 15 વર્ષ આ પાર્ટીને આપ્યા છે. હું સ્થાપક સભ્યોમાંનો એક હતો અને લોહી-પરસેવો એક કરીને પાર્ટીને ઊભી કરવામાં મદદ કરી હતી. હું અહીં કરિયર બનાવવા નથી આવ્યો, પણ હવે ત્યાં રહેવું અશક્ય હતું.”
- Advertisement -
સાચો માણસ, ખોટી પાર્ટી
પોતાના નિર્ણયને વાજબી ઠેરવતા તેમણે એક મોટું નિવેદન આપ્યું કે, તેઓ પોતાને રાઈટ મેન ઇન રોંગ પાર્ટી અનુભવતા હતા. તેમણે સ્વીકાર્યું કે, તેઓ રાજકારણ છોડવા અથવા પાર્ટીની અંદર સુધારો કરવાના વિકલ્પો વિચારી રહ્યા હતા, પરંતુ અંતે બીજો રાજકીય મંચ (BJP) પસંદ કરવો યોગ્ય લાગ્યો.
7 સાંસદોના સામૂહિક રાજીનામાંનો તર્ક
નોંધનીય છે કે, રાઘવ ચઢ્ઢા એકલા નથી જેમણે AAP સાથે છેડો ફાડ્યો છે. તેમની સાથે અશોક કુમાર મિત્તલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, વિક્રમજીત સિંહ સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તા એમ કુલ 7 રાજ્યસભા સાંસદો હવે ભાજપમાં જોડાયા છે. ચઢ્ઢાએ કહ્યું, એક-બે વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત-સાત સાંસદોનો નિર્ણય ખોટો ન હોઈ શકે.
ભય નહીં, પણ નિરાશાનું કારણ
ભાજપના ડર કે દબાણને કારણે પક્ષ બદલ્યો હોવાની અટકળોને નકારી કાઢતા ચઢ્ઢાએ કહ્યું, અમે ડરને કારણે પક્ષ નથી છોડ્યો, પરંતુ ડિસપોઈન્ટમેન્ટ (નિરાશા), ડિસએન્ચેન્ટમેન્ટ (મોહભંગ) અને ડિસગસ્ટ (ધૃણા) ને કારણે આ નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પર મોટું નુકસાન
રાઘવ ચઢ્ઢાના આ નિર્ણયની અસર તેમના સોશિયલ મીડિયા પર પણ જોવા મળી છે. ઇન્સ્ટાગ્રામ પર એક જ દિવસમાં તેમના 10 લાખ (1 મિલિયન) ફોલોઅર્સ ઘટી ગયા છે. જનરેશન Z (Gen Z) મતદારોમાં તેમની લોકપ્રિયતાનો આ ગ્રાફ ઘટતા હવે તેઓ વીડિયો દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે.
ભવિષ્યની રણનીતિ
ચઢ્ઢાએ ખાતરી આપી છે કે, AAP છોડવાનો અર્થ એ નથી કે તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ હવે ભાજપના પ્લેટફોર્મ પરથી વધુ ઉત્સાહ અને ઉર્જા સાથે જનતાના પ્રશ્નો ઉઠાવતા રહેશે.




