ડૉ.વણઝારા પાસે સારવાર કરાવતાં પહેલાં સાવધાન
દર્દીના ઓપરેશન વખતે ડૉ.પ્રશાંત વણઝારા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા: હાલ વૉકહાર્ટ હોસ્પિટલમાં ફરજ પર
- Advertisement -
ડૉ. વણઝારાની બેદરકારીના કારણે પ્રૌઢાને બે વર્ષ સુધી પીડાવું પડ્યું
ઓપરેશન બાદ રેડિએશન આપ્યા, દવા બંધ થતાં જ પ્રૌઢાને બ્રેસ્ટમાં રસી થતાં ભાંડો ફૂટ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અનિલાબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.57)ને બ્રેસ્ટ કેન્સર હોવાનું બે વર્ષ પૂર્વે નિદાન થતા પુત્ર સંદીપ ત્રિવેદી 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં માતાને લઇ ગયો હતો અને ત્યાં ઓપરેશન કરવાનું નક્કી થયું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તત્કાલીન સમયે ફરજ બજાવતાં ડૉ.પ્રશાંત વણઝારા અને તેની ટીમે ઓપરેશન કર્યું હતું. થોડા દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ પ્રૌઢાને રજા આપી દેવામાં આવી હતી અને રેડિએશનનો તબક્કો પણ પૂરો કરી દેવાયો હતો. ઓપરેશન, રેડિએશન બાદ દવા ચાલુ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા દવા પૂરી થતાં અનિલાબેન અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. જેથી તબીબનો સંપર્ક કરતાં તબીબે એક પાઉડર લખી આપ્યો હતો અને તેનો છંટકાવ કરવાનું કહ્યું હતું. ત્રિવેદી પરિવારની મહિલા સભ્યએ અનિલાબેનને પાઉડર લગાવવાનું શરૂ કર્યું તો તેમના બ્રેસ્ટ પર પિન દેખાઇ હતી. આ દૃશ્ર્ય જોઇ ત્રિવેદી પરિવાર થોડીવાર માટે સ્તબ્ધ થઇ ગયો હતો અને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં તબીબ પાસે અનિલાબેનને લઇ જવાતા ડૉ.પ્રશાંત વણઝારાની લાપરવાહીનો ભાંડો ફૂટી ગયો હતો.
- Advertisement -
અનિલાબેનના પુત્ર સંદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઓપરેશન વખતે સ્કિનક્લોઝિંગ માટે સર્જિકલ સ્ટેપ્લર પિનનો ઉપયોગ ડોક્ટર વણઝારા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દર્દીની સ્થિતિ મુજબ 10, 15 કે 20 દિવસ બાદ એ પિન દૂર કરવાની હોય છે, પરંતુ ડૉ.પ્રશાંત વણઝારા એ ભૂલી ગયા હતા એટલું જ નહીં રેડિએશન આપનાર ટીમના પણ ધ્યાને નહીં આવતા પ્રૌઢાની હાલત કફોડી બની હતી. ડૉ.પ્રશાંત વણઝારાએ સ્ટર્લિંગ હોસ્પિટલમાં અનિલાબેનનું ઓપરેશન કર્યું હતું હાલમાં ડૉ.વણઝારા વોકહાર્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનું સંદીપે જણાવ્યું હતું.
સંદીપ ત્રિવેદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઓપરેશન અને રેડિએશન આપ્યાના થોડા દિવસો બાદ તેમની માતા અનિલાબેન ફરિયાદ કરતા હતા કે ઓપરેશન કર્યું તે જગ્યાએ કંઇક ખૂંચે છે. આ અંગે થોડા દિવસ બાદ ડૉ.પ્રશાંત વણઝારાને બતાવવા ગયા હતા ત્યારે ડૉ. પ્રશાંત વણઝારાએ યોગ્ય તપાસ કરવાને બદલે થોડા દિવસમાં સરખું થઇ જશે તેમ કહી યોગ્ય નિદાન કરવાનું પણ ટાળ્યું હતું.