પાટીલની સુપર લીડર તરીકેની ઓળખ ઉભી કરવાનો નીતિગત પ્રયાસ
જગદીશ આચાર્ય
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલની રાજકોટ અને સૌરાષ્ટ્રની યાત્રાએ ભાજપમાં ઊંડા ઊંડા આંતરિક વમળો સર્જ્યા છે.અત્યાર સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલી સંગઠન પાંખને તેમણે આપેલું મહત્વ “સતા પાંખ”ની પાંખો ઉપર કાતર અને કરવત સમાન માનવામાં આવે છે.પાટીલનું જે દબદબાભર્યું સ્વાગત કરાયું તે અને તે ઉપરાંત આ યાત્રા દરમિયાન તેમણે કરેલા ઉચ્ચારણોના ગુઢાર્થો એવું સૂચવે છે કે પાછલે બારણેથી પાટીલને ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત કરવાની નીતિ અખત્યાર કરાઈ રહી છે.
આખી ક્રોનોલોજી સમજવા જેવી છે.પહેલાં તો હાઇકમાન્ડે અહીં ગુજરાત ભાજપમાં કોઈને ગંધ પણ આવે એ પહેલાં તેમને પ્રમુખ જાહેર કરી દીધા.કોઈને આવી ધારણા પણ નહોતી.આ પહેલો નિર્દેશ હતો કે હાઇકમાંડે ગુજરાતનો મામલો પોતાના હાથમાં લઈ લીધો છે.સીધા જ ઉપરના આશિર્વાદથી પ્રમુખ બનેલા પાટીલનું કદ અત્યાર સુધીના તમામ પ્રમુખો કરતાં અચાનક જ અનેકગણું મોટું થઈ ગયું.રાષ્ટ્રિય સ્તરે પ્રમુખ તરીકે અમિતભાઇ શાહનું જે કદ હતું તે કદ પાટીલદાદાનું ગુજરાતમાં થઈ ગયું. ભાજપમાં આ પહેલાં પણ અનેક પ્રમુખો થઈ ગયા.હમણાં છેલ્લે જે ભાઈ પ્રમુખ હતાં તેમનું નામ પણ ભુલાઈ ગયું છે.પણ પાટીલને જે મહત્વ મળ્યું તે બીજા કોઈને મળ્યું નથી.
- Advertisement -
સોમનાથથી છેક રાજકોટ સુધી કોરોનાકાળના પ્રવર્તમાન કાયદાનો ઉલાળીયો કરી તેમનું ભવ્ય સ્વાગત કરાયું. કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, રસ્તા પર રાસ ગરબા કર્યા. નાની બાળાઓ બેડા લઈને ઉભી રહી. અગાઉ રાજા મહારાજાઓ રસ્તે નીકળે અને રૈયત બન્ને બાજુ ઉભી રહીને પુષ્પવર્ષા કરે એ રીતે કાર્યકરોએ ફૂલો વરસાવ્યા.બેન્ડ વાજા વગાડ્યા. બાઇક રેલીઓ કાઢી.વફાદાર પોલીસે એક તરફના રસ્તા બંધ કરી દીધી.ચોકે ચોકે સ્વાગત કર્યા. એક નેતાએ નિવેદન આપ્યું કે પાટીલજી ને આવકારવા રાજકોટની પ્રજા થનગની રહી છે.એમની મુલાકાતને તેમણે લોકોનો ઉત્સવ ગણાવ્યો. હમણાં ભગવાન રામ અને તે પછી કૃષ્ણના જન્મદિવસ ગયા.એ એકે’ય લોકોત્સવ નહોતા પણ પાટીલદાદાનું આગમન લોકોત્સવ હતો! કહેવાનું તાંતપર્ય એ છે કે આ પહેલાં કોઈ પ્રમુખનું આવું ભવ્ય સ્વાગત નહોતું થયુંઆવો તાલ માલને તાશિરો નહોતો થયો.રાજકીય નિરીક્ષકો માને છે કે પાટીલની એક મજબૂત નેતાની ઇમેજ ઉભી કરવાની આ સમજપૂર્વકની રણનીતિ છે.ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલને બાદ કરતાં આખા રાજ્યની પ્રજાને અપીલ કરે એ કદના કોઈ નેતા નથી.પાટીલદાદા પણ અગાઉ કદી આખા રાજ્યના દિગગજ નેતાની ઓળખ નહોતા ધરાવતા. પણ હવે અચાનક જ તેઓ રાજ્યનેતાના રૂપમાં ઉભરી આવ્યા છે.
સી.આર. પાટીલે એમના સંબોધનમાં પણ ગર્ભિત રીતે સતાપાંખને પડકાર આપ્યો છે એવું અર્થઘટન થઈ રહ્યું છે. સતા આસપાસ ગોઠવાઈ ગયેલા મુઠ્ઠીભર નેતાઓની મનમાની હવે નહીં ચાલે અને સાચા અને વફાદાર કાર્યકરોની કદર થશે એવું એમણે ગર્ભિત રીતે જણાવી દીધું. મુખ્યમંત્રીના શહેરમાં જ આવીને તેમણે કહ્યું કે વિજયભાઈ સાથે તમારે સબંધ છે એટલે ટીકીટ મળી જશે એવું માનશો નહીં. તેમણે સીધા જ કાર્યકરોને સંબોધીને કહ્યું કે કોઈ નેતાને ગોડફાધર માનીને જૂથબંધીમાં પડતાં નહીં. સંગઠન અને બોર્ડ નિગમમાં પક્ષને વફાદાર હોય તેને જ સ્થાન મળશે, વ્યક્તિને વફાદાર હોય તેને નહીં. કાર્યકરોને પોતાના વિચારો અને ફરિયાદો નિર્ભિકપણે રજૂ કરવાનું આહવાન કરી તેમણે મમરો મુક્યો કે કોઈ ફરીયાદ હોય તો વિજયભાઈને કહેતા નહીં, તેઓ ખૂબ સજ્જન છે એટલે પગલાં નહીં લે. ફરિયાદ મારી પાસે કરજો. આવું કહીને એમણે વિજયભાઈની સરળતાની પ્રશંસા કરી, ટીકા કરી, મજાક કરી કે પછી “આપણા વિરુદ્ધની કોઈ ફરિયાદ વિજયભાઈ નહીં સાંભળે” એવા વિશ્વાસમાં રાચતા તત્વોને એમણે ચીમકી આપી એ કોઈને સમજાયું નહીં. બધા માથું ખંજવાળે છે.
રાજકીય નેતાઓ દરેક શબ્દ તોળી તોળી ને બોલતા હોય છે.એમના દરેક શબ્દ પાછળ કોઈ સંદેશો હોય છે.આ અગાઉ કોઈ પક્ષપ્રમુખે આવા નિવેદન આપ્યા હોય એવું કોઈની સ્મૃતિમાં નથી. કાર્યકરોને સંબોધીને તેમણે કહેલી ઘણી વાતોનું મૂળ નિશાન સતા પાંખ તરફ હતું તેવું માનવામાં આવે છે.એવા નક્કર અને મજબૂત નિર્દેશ મળી રહ્યા છે કે ગુજરાત ભાજપમાં એક તદ્દન નવી વૈકલ્પીક અને સમાંતર નેતાગીરીના મંડાણ થઈ રહ્યા છે.