રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
બામણબોર પાસે એસઓજીનો દરોડો : મોબાઈલ સહીત 1.26 લાખનો મુદામાલ કબ્જે
- Advertisement -
ફ્રૂટ અને શાકભાજીનો વેપાર કરતી બેલડી અગાઉ પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે બામણબોર પાસે વોચ ગોઠવી રાજકોટ અને જૂનાગઢના બે પેડલરોને 1.16 લાખના 38.67 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ રાજસ્થાન પંથકમાંથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. રાજકોટમાં say no to drugs અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી બસીયાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એન બી ચૌધરી અને પીએસઆઈ વી વી ધ્રાંગુની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના હાર્દિકસિંહ પરમાર અને દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના બામણબોર પાસે વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા બે શખ્સોને અટકાવી જડતી લેતા 38.67 ગ્રામ એમડી ડ્રગ મળી આવતા બંનેના નામઠામ પૂછતાં રાજકોટના ભગવતીપરા અને જંગલેશ્વરમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા ઇબ્રાહિમ ઉર્ફે ટીકડો ઉર્ફે શાહબાઝ રજાકભાઈ શેખ ઉ.23 અને જૂનાગઢ રહેતા અને યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા ઈરફાન ઉર્ફે બમ ઇબ્રાહીમભાઇ કુરેશી ઉ.36 હોવાનું જણાવતા પોલીસે 1,16,010 રૂપિયાનું ડ્રગ, બે મોબાઈલ અને રોકડ સહીત 1,26,610 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો બંને સામે એરપોર્ટ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ અર્થે સ્થાનિક પોલીસને સોંપી દીધા હતા પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બંને રાજસ્થનથી ખેપ મારીને લાવ્યા હોવાની કબૂલાત આપી હતી પકડાયેલ ઇબ્રાહિમ રાજકોટમાં એનડીપીએસ, રાયોટીંગ સહિતના ત્રણ ગુનામાં પકડાઈ ચુક્યો છે જયારે ઈરફાન જૂનાગઢમાં જુગારના બે ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાસાવડમાંથી લાયસન્સ વિના ફટાકડા વેંચતા વેપારીની ધરપકડ : 3.22 લાખના ફટાકડા કબ્જે
- Advertisement -
અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલ જીવલેણ વિસ્ફોટ બાદ રાજકોટ રૂરલ પોલીસ એક્શનમાં આવી ગઈ છે ગ્રામ્ય એસઓજીએ વાસાવડ ગામમાં દરોડો પાડી લાયસન્સ વગર વેંચાણ અર્થે રાખેલા 3.22 લાખના ફટાકડા જપ્ત કરી વેપારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ જીલ્લામાં ગેરકાયદે ફટાકડા રાખી વેચાણ કરતા શખ્સો ઉપર અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી. જે.ઝાલા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ વિપુલભાઇ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પુથ્વીરાજસિંહ ડોડીયા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ગોંડલના વાસાવડ ગામમાં મઢી બજારમાં આવેલ ન્યુ રાજ આઇસ્ક્રીમ પાર્લરમાં દરોડો પાડી તપાસ કરતાં ત્યાંથી અલગ અલગ પ્રકારના સ્ફોટક ફટાકડા, જમીનમાં ઘડાકાથી ફુટી શકે તેવા અલગ અલગ પ્રકારના 3,22,800ના ફટાકડા સહીતનો મુદ્દામાલ કોઇપણ પ્રકારના લાયસન્સ કે આધાર વગર વેચાણ અર્થે રાખી અને કોઇ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકી બેદરકારી દાખવી મળી આવતા તમામ કબ્જે કરી સુલતાનપુર પોલીસમાં વાસાવડના વેપારી જાકીર અઝીઝ સાકરીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
દેવપરામાંથી 192 બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉમેશભાઈ ચાવડા, વિશાલભાઈ દવે અને દિલીપભાઈ બોરીચાને મળેલી બાતમી આધારે દેવપરાથી આગળ મહાત્મા ગાંધી સોસાયટીમાં દરોડો પાડી દારૂ ભરેલી કાર અટકાવી જડતી લેતા કારમાંથી દારૂની 1,15,728 રૂપિયાની 192 બોટલ મળી આવતા આ જ વિસ્તારમાં રહેતા ધર્મેશ ઉર્ફે બબલુ કનુભાઈ વાઘેલાની ધરપકડ કરી 6,15,728 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલો બબલુ અગાઉ રાજકોટ, કાલાવડ અને માળીયા મિયાણામાં દારૂના 14 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં ધો.11ની છાત્રાને ફસાવી ગોંડલના શખ્સે આચર્યું દુષ્કર્મ : સોશિયલ મીડિયા પરિચય કેળવી મારી નાખવાની ધમકી આપી હતી
રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી પરીચયથી ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વયની એક સગીરાને ગોંડલના યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ થતા પ્રદ્યુમનનગર પોલીસે – પોક્સો સહિતનો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી સગીરાને સાત માસ પૂર્વે ગોંડલમાં રહેતા ધવલ દિલીપ રાવરાણી નામના શખ્સ સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો. આ ઓળખાણ ધીમે-ધીમે પ્રેમસંબંધમાં પરિણમી હતી. દરમિયાન સગીરાના માતા-પિતા વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અલગ-અલગ રહેતા હતા અને સગીરા તેના પિતા સાથે રહેતી હતી. બનાવના દિવસે સગીરાના પિતા કામે ગયા હતા અને સગીરા ઘરમાં એકલી હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપી ધવલ રાવરાણી સગીરાના ઘરે પહોંચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું બાદમાં તેણે સગીરાને ધમકી આપી હતી કે જો તે તેની સાથે સંબંધ નહીં રાખે તો તેને જાનથી મારી નાખશે. આરોપીની સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી ગભરાયેલી સગીરાએ અંતે પરિવારને વાત કરતા બનાવની ગંભીરતા સમજી પિતાએ પ્રનગર પોલીસમાં ફરીયાદ કરતા પીઆઈ મકવાણા સહીતની ટીમે પોકસો સહીતનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી છે.
શાપરના લેન્ડગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ આરોપીની પાળની વાડીમાંથી ધરપકડ
શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઝડપી લઇ શાપર પોલીસના હવાલે કર્યો છે આરોપી પાળ ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાં હોવાની માહિતી મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા વિવિધ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢી અને તેની સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ રેન્જ પીઆઇ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી માહિતી મેળવી તેના ઉપર વર્કઆઉટ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહ્યા હતા દરમિયાન પીએઅસાઇ બી.સી.મીયાત્રા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ તથા અનિરુધ્ધસિહ જાડેજાને મળેલી હકિકત આધારે શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગંભીર ગુન્હાના કામે ફરાર આરોપી વેરાવળના હિતેષ વાલજી કોરાટને ગોવિંદભાઇ ઉર્ફે ગાંડુભાઇ મેઘાણીની માલીકીની પાળ ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાંથી ઝડપી લઇ શાપર પોલીસ હવાલે કર્યો હતો.
ઉપલેટામાંથી 4 લાખની 2520 નશાકારક સીરપ ઝડપાઇ
રાજકોટ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ અટકાવવા એસપીએ આપેલી સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે ઉપલેટાના એક ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી 4,03,200ની કિંમતની 2520 નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરી વેપારી સામે કાર્યવાહી કરી હતી પોલીસે છોટા હાથી સહીત 5,03,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે આ પ્રોડક્ટનું ઉત્પાદન હરિયાણામાં થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં આયુર્વેદના નામે નશાકારક સિરપણું વેચાણ થતું હોય તે સદંતર નાબૂદ કરવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપલેટામાં એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ગ્રીન એનર્જી અશ્વ, સેફ ઇફેક્ટિવ હર્બલ ટોનિક નામની નશાકારક સિરપની 2520 બોટલ મળી આવતા પોલીસે 4,03,200 રૂપિયાની આ સીરપ અને 1 છોટા હાથી સહીત 5,03,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ઉપલેટા પોલીસ લાઈન પાછળ રહેતા વેપારી દિવ્યેશ માલદેભાઇ કનારા સામે જાણવાજોગ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં જુગારના બે દરોડામાં 13 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે મવડીમાં બાપાસીતારામ ચોકમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા અશોક ભગવાનજીભાઈ નંદેસરીયા, આરીફ સાબાનખાન પઠાણ, નિલેશ કેશવભાઈ ચૌહાણ, સંજય ચીમનલાલ પાઉ, અક્ષય ધીરજલાલ પરમાર, ધર્મેશ હેમંતસિંહ પરમાર અને સંદીપ મહેન્દ્રભાઈ ડોડીયાની ધરપકડ કરી રોકડા 44,200 કબ્જે કર્યા છે જયારે ભક્તિનગર પોલીસે બાતમી આધારે લાલ પાર્ક મેઈન રોડ શ્રદ્ધાપુરી સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા રસિક વશરામભાઇ કલોલા, કલ્પેશ પ્રવીણભાઈ સાઇજા, હિતેશ ભુપતભાઇ કારેટીયા, પ્રવીણ પ્રાગજીભાઈ કંસાગવા, ભરત ડાયાભાઇ ઇંદ્રોડા અને મનીષ ગોરધનભાઈ જાટકીયાની ધરપકડ કરી રોકડા 26,250 કબ્જે કર્યા છે.
ચામુંડા સોસાયટીમાં ભત્રીજાએ ગાળો ભાંડી કાકા ઉપર કર્યો હુમલો
રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ચામુંડા સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા મુકેશભાઇ મનુભાઇ ચેખલીયા ઉ.54એ પાડોશમાં જ રહેતા ભત્રીજા આશિષ અરવિંદભાઈ ચેખલિયા સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે એક મહિના પૂર્વે એટલે કે તારીખ 23 જૂનના રોજ રાત્રીના ઘરે હતો ત્યારે મારી બાજુમા રહેતા મારા નાનાભાઇ અરવીંદભાઇના ઘરે મકાનનુ રીનોવેશનનુ કામ ચાલુ હતુ અને મારો નાનો દીકરો યશ ત્યા ઇટોના કટકા વેવરાવતો હોય જેથી મે દીકરા યશને કામ કરાવવાની ના પાડેલ અને આ અરવીંદભાઇ તથા તેના દીકરા આશીષને કહેલ કે, મારો દીકરો નાનો છે જેથી તમે એક વધારે મજુર રાખી લ્યો તેની પાસે કામ નો કરાવો તેમ કહેતા મારો ભત્રીજો આશીષ એકદમ ઉશ્કેરાઇને મારી સાથે બોલાચાલી ઝધડો કરી ભુંડી ગાળો આપી મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને લાકડાનો ડંડો લઇ ડંડા વડે પણ મને આડેધડ માર માર્યો હતો જેથી આજુબાજુના માણસો ભેગા થઈ જતા મને છોડાવ્યો હતો અને આ મારો ભત્રીજો આશીષ ત્યાથી જતા જતા મને કહેતો ગયેલ કે હવે પછી તારા દીકરાને મારે ત્યાં કામ કરવાની ના પાડીશ તો તને જાનથી મારી નાખીશ ત્યાર બાદ રાજકોટ સરકારી હોસ્પીટલ સારવારમાં દાખલ થઇ રીપોર્ટ કરાવતા જાણવા મળેલ કે પેટમા આતરડાના ભાગે ગંભીર ઇજા થયેલ છે જેથી મારુ ઓપરેશન કરેલ અને થોડા દિવસ બાદ મારી તબીયત સારી થઈ જતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
રૈયાધારમાં વકીલના ઘરે ખાડો ખોદવા આવેલો શખ્સ વકીલનું પાકીટ ચોરી ગયો
રાજકોટના રૈયાધાર સ્લ્મ ક્વાર્ટરમાં રહેતા અને વકીલાત કરતા અશોકભાઈ ગોવીંદભાઈ વાઘેલા ઉ.29એ રૈયાધાર સ્લ્મ ક્વાર્ટર જ રહેતા રાજુ ઉર્ફે રાજ્યો સામે ચોરી અંગે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 25 જૂનના રોજ હુ મારી કરીયાણાની દુકાન જે અમારા ઘરની થોડે દુર હોય ત્યાથી ઘરે આવેલ અને મે મારો ફોન અને મારૂ પાકીટ શોધેલ તો મને પાકીટ મળેલ નહી જેથી મે મારી માતા જયાબેનને કહેલ કે મારૂ પાકીટ મળતુ નથી બાદ મારી માતાએ મને કહેલ કે આપડા ઘરે ખાડો ખોદવા જે રાજુ ઉર્ફે રાજ્યો આવે છે તેને આજ સવારે મને કહેલ કે મારે મારી પત્નિ સાથે વાત કરવી છે મને ફોન આપો જેથી તારા પિતા ગોવીંદભાઈ સુતા હોય અને તેમનો ફોન મે આ રાજુને આપ્યો હતો બાદ તે ઘરની અંદર ફોનમાં વાત કરતો હોય તો મે આ રાજુને કહેલ કે તુ થોડો દુર જઈ વાત કર બાદ તે દુર જઈ વાત કરવા લાગેલ બાદ ફોન રૂમમા રહેલ ફ્રીજ ઉપર મુક્યો હતો ફ્રિજ ઉપર રાખેલ તારૂ પાકીટ લઈ ગયો હશે તેવી મને શંકા છે આ રાજુ ઉર્ફે રાજ્યો તા.23થી ખાડો ખોદવા માટે આવતો હતો જેને ગઈ તા.25ના રોજ ફ્રીજ ઉપર રાખેલ મારૂ કાળા કલરનુ પાકીટ જેમા આશરે રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- જેટલા તથા મારા જરૂરી અસલ ડોક્યુમેન્ટ જેમા આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, વકીલનુ સનદકાર્ડ હતા તે પાકીટ આ રાજુ ઉર્ફે રાજ્યો ચોરી કરી લઈ ગયો હોય તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
14.74 લાખના ચેક રિટર્નના ગુનામા આરોપીનો નિર્દોષ છુટકારો
આ કામના આરોપી દ્વારા આ કામના ફરીયાદીને રૂપીયા ૧૪.૭૪ લાખ ક્વોરીમાંથી લીધેલ કપચીના આપવાના થતા હતા જે પેટે આરોપીએ ફરીયાદીને ૧૪.૭૪ લાખ રૂપીયાનો ચેક આપેલ હતો જે ચેક પરત ફરતા ફરીયાદીએ સુરતના માંગરોળ મુકામે ચેક બાઉન્સ થયા અંગે ધી નેગોસીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદ ચાલી જતા તમામ પુરાવાઓ તેમજ આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામની ટુક હકીકત એવી છે કે આ કામના ફરીયાદી હરેશભાઈ ખીમજીભાઈ સેંજલીયા કે જેઓ મારૂતી ક્રશરના ભાગીદાર છે અને સુરત મુકામે રહે છે તે ટ્રકોમાં કપચી ભરી સપ્લાય કરવાનો વેપાર કરે છે અને આરોપી દેવકુંભાઈ સોમાભાઈ ગીડા તેમજ અજકુમાર રામચંદ બીંદ અસ્વમેઘ સપ્લાયર્સના માલીક છે અને સુરેન્દ્રનગર ખાતે રહે છે એક જ સરખા વ્યવસાય સાથે સંકળાયેલ હોય બંનેની ઓળખાણ થયેલ અને મીત્રતા બંધાયેલ હતી જેથી આરોપી ફરીયાદીની ક્વોરીએ કાયમી જતાં હોય અને ટ્રકમાં કપચી ભરી જતાં હોય અને રેગ્યુલર તેનું પેમેન્ટ પણ કરી દેતાં હતા. છેલ્લે આરોપી દ્વારા ૩૧૬૧.૩૮૦ ટન કપચી કે જેની કિમત રૂ.૧૨,૯૬,૧૬૬/- થાય છે તે તથા ૧૦ એમ. એમ ગ્રીટ જેનો વજન ૪૮૦.૧૫૦ ટન તેમજ કિમત રૂ.૧૪,૭૪,૪૧૦/- પુરાનો માલ ઉધાર લીધેલ હતો અને આરોપી દ્વારા ફરીયાદીને રૂ.૧૪,૭૪,૪૧૦/- પુરાનો ચેક આપેલ હતો અને બેંકમા આ ચેક રજુ કર્યે આ રકમ ફરેયાદીને મળી જસે તેવો વિશ્વાસ અને ભરોસો આપેલ હતો. પરંતુ આ ચેક ફરીયાદી દ્વારા તેમના કોસંબાના એચ.ડી.એફ.સી ના બેંક ખાતામા ડીપોઝીટ કરતા આ ચેક પરત ફરેલ હતો. તે પરત ફરતા ફરીયાદી દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ ધી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી તેમજ ચાલુ કામે આરોપી નં ૨ અજકુમાર રામચંદ બીંદ મળી ના આવતા આરોપી તરીકે તેને ડીલેટ કરવા રજૂઆત કરતાં આરોપી નં ૨ ને હાલના કામે ડીલેટ કરી આરોપી નં .૧ દેવકુંભાઈ સોમાભાઈ ગીડાં સામે ટ્રાયલ ચાલેલ હતી જેમાં હાલના કામે બંને પક્ષે રજુ થયેલ પુરાવાઓની વિસ્ત્રુત છણાવટ અને બચાવ પક્ષે કરવામા આવેલ વિગતવારની ઉલટ તપાસ અને દલીલને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી ઉપરોક્ત્ત ગુનાના કામે આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી વતી એડવોકેટ રણજીતભાઈ એમ.પટગીર, સાહિસતાબેન એસ. ખોખર, તેમજ માંગરોળના ગૌરભાઈ શાહ રોકાયા હતા.




