સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી, સમગ્ર જગતના કલ્યાણની કરી કામના – આત્મજ્ઞાની દીપકભાઈએ આપ્યું જ્ઞાનપ્રવચન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબી શહેરમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવાર સાથે સહભાગી બન્યા હતા. આ અવસરે તેમણે આત્મજ્ઞાની દીપકભાઈના સત્સંગમાં હાજરી આપી આત્મજ્ઞાનનું પ્રવચન ગ્રહણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સીમંધર સ્વામી તથા દાદા ભગવાનની આરતી ઉતારી જગતનાં કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
- Advertisement -
આ ભવ્ય મહોત્સવનો શુભારંભ તા. 3 નવેમ્બરે થયો હતો, જેનું આયોજન આગામી 9 નવેમ્બર સુધી મોરબી ખાતે ચાલુ રહેશે. દ્વિતીય દિવસે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા સત્સંગ દરમિયાન તેમણે પૂજા-આરતી તેમજ દર્શનનો લ્હાવો લીધો હતો અને સર્વ જીવમાત્રને સાચા સુખની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું.
આત્મજ્ઞાની દીપકભાઈએ પોતાના પ્રવચનમાં આત્મા અને શરીરનો ભેદ, શુદ્ધ આત્માની અનુભૂતિ, કર્મ અને કર્તૃત્વની ભાવના, અહમ્ પર નિયંત્રણ, પુરુષાર્થ અને કર્તવ્ય પરાયણતાનો માર્ગ સમજાવ્યો હતો. તેમણે આધુનિક ટેકનોલોજી અને આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ (અઈં)ના ઉદાહરણથી માનવીની જાગૃતિ વધારવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે – જગત કલ્યાણના કાર્યોમાં સહયોગ આપવો એ માનવજીવનનું સાચું ધ્યેય છે. અંતે દીપકભાઈએ જણાવ્યું કે આવતા વર્ષે દાદા ભગવાનની 119મી જન્મજયંતિ ઉજવણી ચરોતર પ્રદેશમાં યોજાશે.
આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મહાનગરપાલિકા કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તેમજ દાદા ભગવાનના હજારો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.



