સી.આર.પાટીલની જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે. તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરીને તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનો પણ દાટ વાળવામાં આવી રહ્યો હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી. જે હવે સાચી પડવા લાગી છે. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા છે, ત્યારે આજે સી.આર. પાટીલ નબળાઈ જણાતા એપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. તે પછી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો છે. જો કે આમ છતાં તેમનો RT-PCRનો ટેસ્ટ કરાવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલ તેઓ ઓબ્ઝર્વેશનમાં એપોલો હોસ્પિટલમાં દાખલ થયેલા છે.
પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સામેલ થયેલા 3 MLA અને એક MP કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 21 અને 22 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. સી.આર.પાટીલના આ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. જે હવે સાચો પડી રહ્યો છે. પાટીલના આ પ્રવાસમાં સામેલ થયેલા અનેક નેતાઓ સંક્રમિત થવા લાગ્યા છે. જેમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે પાટીલના લીંબડી પ્રવાસ દરમિયાન તેની સાથે રહેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણા અને તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલને કોરોના સંક્રમણ લાગ્યું છે.
કમલમમાં પણ 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
તો બીજી બાજુ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ થતાં તેમને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા નેતાઓ, મંત્રીઓ સહિત કાર્યકરોમાં ભયનો માહોલ છે. નોંધનીય છેકે, આજે કમલમમાં પણ 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.