ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષા તા. ૧૫ જુલાઈથી શરૂ થતી હોય તેના સુચારૂ આયોજન અને અમલીકરણ અર્થે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને એક બેઠક કલેકટર કચેરી ખાતે સબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દરેક પરીક્ષા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા, પી.જી.વી.સી.એલ. તરફથી તમામ પરીક્ષા કેન્દ્રોના સ્થળે સંપૂર્ણ સમય દરમિયાન વીજ પૂરવઠો જળવાઈ રહે તે માટેની સૂચના કલેકટર દ્વારા અપાઇ હતી.
- Advertisement -
વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી અવરજવર કરી શકે તે હેતુસર એસટી બસની વ્યવસ્થાઓનું પણ સુચારૂ સંચાલન કરવા તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શિકાનો અન્વયે થર્મલ ગન-સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા કરવાની સુચના પણ કલેકટરએ આપી હતી.
સમગ્ર પરીક્ષાની કામગીરીનું મોનીટરીંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થશે. આ ઉપરાંત વહીવટી તંત્રના અધિકારીઓ પણ સમગ્ર પરીક્ષા દરમ્યાન મોનીટરીંગ કરશે. પરિક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કરણસિંહજી હાઇસ્કુલ ખાતે કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જયાં વિદ્યાર્થીઓને વહીવટી તથા અન્ય માર્ગદર્શન મળી રહેશે. આ કંટ્રોલરૂમ તારીખ ૧૪ જુલાઈથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. જેનો સંપર્ક નંબર ૦૨૮૧-૨૨૨૬૮૮૯ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કેતન ઠકકર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તથા વેબિનારથી જોડાયેલા પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
- Advertisement -
વધુમાં હોસ્પિટલ ચોકમાં હાલમાં ઓવરબ્રિજનું કામ ચાલુ હોય આઇ.પી.મિશન શાળામાં જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની થતી હોય તેઓએ તેમની બાજુમાં આવેલી ચર્ચમાંથી પ્રવેશ મેળવવાનો રહેશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી ભરત કૈલાની યાદીમાં જણાવાયું છે.


