નજીકના મિત્રે લખ્યું- અમિતાભ ફટાફટ સાજા થવા માગે છે પણ આ સ્થિતિમાં હલન ચલન ટાળવું જોઇએ
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ કે’ ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયા ત્યારથી તેઓ બેડ રેસ્ટ પર છે. હાલમાં જ તેમના એક નજીકના મિત્રએ મીડિયાને તેમનું હેલ્થ-અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચને લગભગ એક અઠવાડિયા પહેલાં ડોક્ટરની સલાહ વિરુદ્ધ એક એડ શૂટ કરી હતી. આ દરમિયાન અમિતાભજી ઇજા બાદ પહેલીવાર ઘરની બહાર આવ્યા હતા.
- Advertisement -
ઈજાગ્રસ્ત થયા પછી અમિતાભજીને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચને જાહેરાત શૂટ કરવાનું કમિટમેન્ટ આપ્યું હતું, પરંતુ શૂટિંગમાં વિલંબ થવાને કારણે અમિતાભજી સ્વસ્થ ન થયા હોવા છતાં શૂટિંગ ચાલુ રાખ્યું.
થોડા દિવસ પહેલાં હૈદરાબાદમાં ફિલ્મ ’પ્રોજેક્ટ કે’ના સેટ પર શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા હતા. તેમની પાંસળી તૂટી ગઈ હતી અને સ્નાયુઓમાં પણ દબાણ થયું હતું.
રિપોર્ટ અનુસાર તેમના નજીકના મિત્રે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન ફટાફટ સાજા થવા માગે છે, પરંતુ તેમની રિકવરીની પ્રક્રિયા ઘણી ધીમી છે. આવી સ્થિતિમાં તેમણે વધુ હલનચલન અને જોખમ લેવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી નિયમિત શૂટિંગ કરવાની વાત છે તો હજુ એમાં થોડો સમય લાગશે.’
- Advertisement -
થોડા દિવસ પહેલાં અમિતાભ બચ્ચને હોમમેડ સ્લિંગ બેગ પહેરીને જલસામાંથી તેમના ચાહકોનું અભિવાદન કરતાં પોતાની તસવીરો શેર કરી હતી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે ‘ઈજા ઘણી ઊંડી છે, પરંતુ ટૂંક સમયમાં પરત ફરીશ, ઘા ધીમે ધીમે રુઝાઈ રહ્યો છે. મને આશા છે કે આજે હું બોર્ડ પર ચઢી જઈશ અને ગેટ પર જઈશ, તેમને મળીશ, તેમને જોઈશ, જેઓ મને ખૂબ પ્રેમ કરે છે. ’મારા શુભચિંતકોનું જીવન એ જ મારું જીવન છે, તેઓ છે તો હું છું.’ બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે ’પાંસળી તૂટી ગઈ છે, સ્નાયુ પણ ફાટી ગયા છે’
હાલપૂરતું ફિલ્મનું કામ અટકાવવું પડશે. સ્વસ્થ થયા પછી જ સેટ પર પાછા આવીશ. હું જલસામાં આરામ લઉં છું અને રોજ માત્ર મારા મહત્ત્વનાં કામો માટે જ પથારીમાંથી ઊભો થાઉં છું.’