સૌની યોજના થકી ત્રણ તાલુકાના 45 ગામોને પાણી આપવાની જાહેરાત થઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો સમૃધ્ધ બને તે માટે નર્મદાના નીરને છેવાડાના ગામો સુધી પહોચાડવા માટે કેનાલ અને પાઇપ લાઇન થકી પાણી પહોંચાડવાની યોજના શરૂ કરી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા તાલુકાના 45 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક વર્ષ પૂર્વે સૌની યોજના થકી તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટેની જાહેરાત કરી હતી જે યોજના થકી પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ થયું છે પરંતુ છેલ્લા એક વર્ષથી કરેલી જાહેરાત માત્ર કાગળો પર જ રહી ગઈ હોય તેની માફક પાઇપ લાઇન નાખવાનું કામ હજુય પૂર્ણ થયું નથી અને ખેડૂતોને સિંચાઈનું પાણી આજદિન સુધી મળતું નથી. ત્યારે સૌની યોજના થકી પાઇપ લાઇન નાખવાનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા આ મામલે જણાવ્યું હતું કે ” મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક વર્ષ પૂર્વે કરેલી જાહેરાતને લઈને તળાવોને પાણીથી ભરવાનું કામ શરૂ કરી પાઇપ લાઇન તો નાગવાની શરૂ થઈ છે પરંતુ આ કામ એકદમ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જે ગતિએ ચાલતા આગની ત્રણ વર્ષમાં પણ આ કામ પૂર્ણ થાય તેવું લાગતું નથી એક તરફ ખેડૂતો સિંચાઇના પાણી માટે રાહ જોઈને બેઠા છે અને બીજી તરફ સાવ ધીમીગતિએ પાઇપ લાઇન નાખવાના કામને લઈને હવે ખેડૂતોને પણ પાણીની આશા નહીવત રહી ચૂકી છે ત્યારે સરકાર દ્વારા આ કામ ઝડપી અને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.