ચાલુ વરસાદમાં પણ નગરજનોએ ઠેર-ઠેર સ્વાગત કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
અષાઢી બીજના પાવન દિવસે જૂનાગઢમાં આવેલ પૌરાણિક જગન્નાથજી ભગવાનના મંદિરે સવારે અષાઢી બીજ નિમિત્તે શાહી સ્નાનથી ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ધ્વજારોહણ, હાંડી ભોગ પ્રસાદ અને મહાઆરતી સહિતના કાર્યક્રમમાં યોજાયેલ જેમાં આસ્થાભેર ભક્તો જોડાયા હતા.રથયાત્રામાં પ્રથમ ભગવાન જગન્નાથનો રથ બાદ બહેન સુભદ્રાના રથ અને ત્યારબાદ ઘોડા પર બિરાજમાન ભાઈ બલભદ્રના રથ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રામાં ભગવાન જગન્નાથજી તથા બલભદ્રના રથોને પુરુષો દ્વારા તથા સુભદ્રા માતાજીના રથને બ્રહ્મ સમાજની બહેનો ઉપરાંત વિવિધ મહિલા મંડળોની બહેનો દ્વારા દોરડા ખેંચી માર્ગો પર પ્રસ્થાન કરાવ્યુ હતુ. શહેરના માર્ગો પર રથયાત્રા ફરી રહેલ તે સમયે જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શહેરમાં નગરચર્યા દરમ્યાન ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા. ભગવાન જગન્નાથજી રથયાત્રા સ્વરૂપે નગરચર્યાએ ફરી રહેલ તે સમયે મેઘરાજાએ પણ મુકામ કરી ઝરમર અમી છાંટા વરસાવી રહેલ હતા. વરસાદમાં પણ શહેરના માર્ગો પર રથયાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા તથા ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.