વિધાનસભા ચૂંટણી અગાઉ પહેલી ફ્લાઈટ ઉડાન ભરશે
રાજકોટમાં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી શક્યતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું રૂ.572 કરોડનું કામ પૂર્ણતાના આરે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવા વડાપ્રધાન કાર્યાલય તરફથી કલેક્ટરને સ્પષ્ટ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ થશે એ નક્કી છે. અત્યારે રાજકોટ કલેક્ટરના નિરીક્ષણમાં આખું તંત્ર કામે લાગી ગયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હીરાસર પ્રોજેક્ટના જનરલ મેનેજર લોકનાથ પાંધીએ જણાવ્યું છે કે એરપોર્ટ તૈયાર થવા પર છે અને હાલ 95 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે તેવું રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.
આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (અ 320-200), બોઇંગ (ઇ 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, ખછઘ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બનવા જઈ રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે.
કલાકમાં 14 ફલાઇટ ઉડાન ભરી શકશે
રાજ્યનું આ પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે,ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે જે સ્થળે કોઇ એરપોર્ટ ન હોય અને પ્રથમ પાયાથી તેનું કામ થતું હોય.2500 એકરમાં નિર્માણ થનાર આ એરપોર્ટમાં એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે જેના કારણે એક કલાકમાં 14 જેટલી ફલાઇટ ઉડાન ભરી શકશે અને ફલાઇટ લેન્ડ થાય તેની બે જ મિનીટમાં રન વે ખાલી પણ થઇ શકશે.
- Advertisement -
સૌરાષ્ટ્રના ઉઘોગને બુસ્ટ મળશે, અમદાવાદનો 50% ટ્રાફિક ડાયવર્ટ થશે
ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટમાં આવવાથી મોરબી, રાજકોટ, જામનગરમાં આવેલા ઔઘોગિક એકમોને બુસ્ટ મળશે અને લોકો સીધા જ વિદેશથી રાજકોટ પહોંચી શકશે. આ ઉપરાંત કચ્છ, ભાવનગર તરફનો ટ્રાફિક પણ અહીં જોવા મળશે. રાજકોટ-અમદાવાદ હાઇ વે પર સિક્સલેઇન રોડ તૈયાર થઇ રહ્યો છે જેથી રાજકોટથી અમદાવાદનું અંતર પણ ચાર કલાકથી ઘટી અઢીથી ત્રણ કલાક થવાનું છે જેથી અમદાવાદનો 50 ટકા જેટલો ટ્રાફિક અહીં ડાયવર્ટ થાય તેવી શક્યતા છે.