ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત લોકો હવે કુદરતી નિ:શુલ્ક ગેસ મેળવી શકશે. ગ્રામ્ય વિસ્તારમાં બે કે તેથી વધુ પશુધન ધરાવતા કુટુંબો આ યોજનાનો લાભ લઇ શકશે. સરકાર દ્વારા ગોબરધન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે કે તેથી વધુ પશુધન ધરાવતા કુટુંબોને આપવામાં આવે છે.
લાભાર્થી રૂપિયા 5 હજારનો લોક ફાળો ભરી આ યોજનાનો લાભ લઇ શકશે. ગોબરધન યોજના થી લાંબા સમય સુધી કુદરતી નિ:શુલ્ક રાંધણ ગેસ મેળવી શકાય છે. આમ આ કુદરતી ગેસ સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે.
ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમ દ્વારા માંગરોળ, મેંદરડા અને જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોમાં મુલાકાત લઈ ગ્રામજનોને ગોબરધન પ્રોજેક્ટનો વધુમાં વધુ લાભ લેવા માહિતગાર કરવામાં આવ્યા હતા.જૂનાગઢ જિલ્લામાં આ પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની ટીમ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને ડીઆરડીએના નિયામકના માર્ગદર્શન હેઠળ હાલ કામગીરી કરી રહી છે.
- Advertisement -
તેમજ આ પ્લાન્ટની કિંમત રૂપિયા 30,000 અને સ્લરી એકત્રીકરણ કુંડ રૂા.12,000 સહિત કુલ રૂપિયા 42000નો ખર્ચ થાય છે. જેમાં લાભાર્થીઓને રૂપિયા 37,000ની સબસીડી આપવામાં આવે છે. આથી માત્ર રૂપિયા 5000ના રોકાણમાં બાયોગેસ પ્લાન્ટનો અઢળ કાયદો મળશે.આ યોજનાના લાભાર્થી દર મહિને 1 થી 2 ગેસની બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. જેથી ગેસની બોટલ પાછળ થતા ખર્ચની બચત થાય છે તથા 10,000 કિલો જેટલું ઓર્ગેનીક ખાતરનું ઉત્પાદન કરી વાર્ષિક રૂપિયા 40,000 થી રૂપિયા 50,000ની બચત તથા આવક મેળવી શકાય છે.