વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસમાં ‘મિશન 2022’નું રણશિંગુ ફૂંકશે
બે દિવસના કાર્યક્રમોનું આખું શિડ્યુલ જાહેર થયું : ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી કમલમ ખાતે યોજશે મહત્વની બેઠક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં રહેશે હાજર
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્ય અને ભાજપ તેમને આવકારવા તૈયાર છે. તેઓ 11 માર્ચે સવારે 10 કલાકે એરપોર્ટ આવી પહોંચશે, એરપોર્ટથી ભવ્ય રોડ શો દ્વારા કમલમ સુધી પહોંચશે. જ્યાં રસ્તામાં અનેક સ્થળોએ તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ પીએમ મોદીના બે દિવસના પ્રવાસનું શિડ્યુલ પણ આવી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે તેઓ માતા હીરાબાને મળવા જતા હોય છે. ત્યારે આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન મોદી માતા હીરા બા સાથે મુલાકાત કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તૈયારી અંગે મંગળવારે રાત્રે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમના રૂપરેખા અંગે ચર્ચા થઈ હતી. પીએમ મોદીની પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે, 2014માં ચૂંટણી જીત્યા બાદ પીએમની પ્રદેશ કાર્યાલય કમલમની આ ત્રીજી મુલાકાત હશે. આ સાથે જ કમલથી પીએમ મોદી ‘મિશન 2022’નું બ્યુગલ ફૂંકશે. પીએમની કમલમની બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠકને સંબોધન કરવાના છે. સાથે જ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે. બેઠકમાં પીએમ મોદી ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદી ગુજરાતના કાર્યકરોને સંબોધન કરવાના છે, ત્યારે મિશન 2022ના રોડમેપ અંગે પીએમ વાત કરશે.
વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસનાં પહેલા દિવસનું શિડ્યુલ
11 માર્ચે સવારે 10 વાગ્યે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે
એરપોર્ટથી કમલમ સુધી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. જેના બાદ 10.45થી 1.30 વાગ્યા સુધી વાગે કમલમ પર બેઠક મળશે. પીએમ સાથેની આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશે
બપોરે 4 વાગ્યા સુધી રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રોકાણ કરશે
સાંજે 4 થી 5.30 GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે
સાંજે 6 થી 8 સુધી પીએમ મોદી રાજભવનમાં બેઠકો યોજશે
11 માર્ચે રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બીજા દિવસનું શિડ્યુલ
12 માર્ચે સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે
સવારે 11થી 1 વાગ્યા સુધી યુનિવર્સિટીનો પદવીદાન કાર્યક્રમમાં હાજર આપશે
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજ સુધી રાજભવનમાં રોકાશે
સાંજે 6.30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે, જ્યાં હજારોની જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે
12 માર્ચે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે.
એરપોર્ટથી કમલમ સુધી PMનો ભવ્ય રોડ શો યોજાશે : નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમથી વડાપ્રધાન ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે


