અઠવાડિયામાં પાંચ જ દિવસ બેન્ક શરૂ રાખવાની માંગ : ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ફરી હડતાળ
એક દિવસ કામગીરી બંધ રહેતાં ૧૫ હજાર કરોડના બેન્કિંગ વ્યવહારને અસર થશે
- Advertisement -
બેન્કિંગની કામગીરી અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ શરૂ રાખવામાં આવે તેવી માંગ સાથે રાજ્યભરમાંથી ૭૫ હજાર બેન્ક કર્મીઓ શુક્રવારના રોજ હડતાળ પર ઉતરવાના છે. આ અંગે બે વર્ષ અગાઉ જ એમઓયુ થઈ ગયા હોવા છતાં સરકાર તેનો અમલ ન કરતી હોવાથી કર્મચારીઓએ આંદોલનનું આહ્વાન કર્યું છે. આ બેકિંગ કામગીરી ક્ષેત્રમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામગીરી રાખવાની માંગ સાથે આગામી ૧૧ સપ્ટેમ્બર એટલે કે કાલે ગુજરાતમાં ૭૫ હજાર બેન્ક કર્મીઓ એક દિવસની હડતાળ પર ઉતરવાના છે. જેથી રાજ્યભરમાં ૫૪૦૦ શાખાની કામગીરી અટકી પડશે. જેમાં આશરે ૧૫ હજાર કરોડના બેન્કિંગ વ્યવહાર ખોરવાશે તેવું અનુમાન છે. ત્યારબાદ પણ કોઈ ઉકેલ નહીં આવે તો ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી કર્મચારીઓ ફરી હડતાળ પર ઉતરશે. જો ત્યારબાદ પણ કોઈ પગલાં નહીં લેવાય તો ૨૬ ઓક્ટોબરથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરશે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન હોવાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આશરે ૭ લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.
કર્મચારીઓની માગણી અનુસાર, અઠવાડિયામાં પાંચ દિવસની એટલે કે સોમવારથી શુક્રવાર સુધી જ બેન્કિંગ કામગીરી શરૂ રાખવામાં આવે, જ્યારે શનિવાર અને રવિવારે કામ સંપૂર્ણપણે બંધ કરાય. સામે કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ કામની સાથે જ દરરોજ ઓફિસ અવર્સથી ૪૦ મિનિટ વધુ કામ કરવા તૈયારી બતાવી હતી. જેથી માર્ચ 2024માં આ માગણી સ્વીકારવામાં આવી હતી. પરંતુ બે વર્ષ વીતિ ગયા બાદ પણ આ નિયમ અમલ કરાયા નથી. જેથી હાલ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જ્યારે બાકીના શનિવારે કામગીરી યથાવત્ જ રહે છે. પડતર માગણી માટે બેંન્ક કર્મચારીઓના યુનિયન દ્વારા દિલ્હી સ્થિત લેબર કમિશનર સાથે પણ સતત બે દિવસ બેઠક યોજવામાં આવી હતી. પરંતુ તેમાં પણ સંતોષકારક જવાબ ન મળતાં આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગુ ફૂંક્યું છે.
ક્યાં યુનિયન હડતાલમાં જોડાશે
– ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ
– ઓલ ઈન્ડિયા બેન્કઓફિસર્સ કોન્ફેડરેશન
– નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઈઝ
– બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા
– ઈન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ
-ઈન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન
– ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ અસોસિએશન
- Advertisement -
રાજકોટમાં પરાબજારને બદલે નાનામવા રોડ પર થશે દેખાવો
રાજકોટ, બુધવાર પાંચ દિવસના સપ્તાહ અર્થાત્ મહિનાના તમામ શનિવારે બેન્કોમાં રજા સહિતની માંગણી સાથે શુક્રવાર તા. ૧૧ સપ્ટેમ્બરે બેન્ક હડતાળ જાહેરકરાઈ છે જે અન્વયે રાજકોટમાં બેન્ક કર્મચારીઓ જે સામાન્ય રીતે હડતાળ વખતે પરાબજાર ખાતે દેખાવો યોજતા રહ્યા છે તે હવે વિરોધ પ્રદર્શનમાં સંખ્યા વધવાની સાથે આ વખતે નાનામવા રોડ પર પંજાબ નેશનલ બેન્ક પાસે સવારે ૧૧ વાગ્યે દેખાવો યોજાશે.




