પરમિટધારકો જાણે ઓર્ગેનાઇઝ્ડ ગેન્ગ ચલાવી રહ્યાં હોય તેવું સરકારનું વલણ
આ નિર્ણયથી લોકો ધરાહાર બ્લેક માર્કેટમાં વેચાતા નકલી ઝેરીલા શરાબ તરફ વળશે
- Advertisement -
ગુજરાતમાં વાઇન શોપ્સ પરથી હાલ પૂરતું આયાતી દારૂ અને બીયરનું વેચાણ સ્થગિત કરાયુ છે. રાજ્ય સરકાર દ્વારા આયાતી વિદેશી દારૂ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી, વેટમાં ધરખમ વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
લેવાયો છે. જેથી આયાતી બ્રાન્ડ્સની કિંમતોમાં મોટો વધારો થશે. આ ફેરફાર બાદ નવા દરો અનુસાર સુધારેલું ભાવપત્રક તૈયાર કરવાની અને તેને સિસ્ટમમાં અપડેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જૂના સ્ટોક અને નવી કિંમતો
વચ્ચે કોઈ વિસંગતતા ઊભી ન થાય તે માટે વાઇન શોપ્સમાં હાલ પૂરતું આયાતી વિદેશી દારૂ અને બીયરનો પુરવઠો અટકાવ્યો છે. નવી કિંમતો સત્તાવાર રીતે અમલમાં આવ્યા પછી જ આયાતી દારૂ-બીયરનું વેચાણ પુનઃ શરૂ
કરાશે.
આયાતી વિદેશી દારૂ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી તથા વેટમાં કરાયેલા ભારે વધારાથી પરમિટધારકોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી પરમિટધારકો સાથે જાણે તેઓ કોઈ ઓર્ગેનાઇઝ્ડ ગેન્ગ
ચલાવતા હોય તેવું વલણ અપનાવ્યું હોવાની ચર્ચા છે. ભાવવધારાની સૌથી મોટી અસર લોકપ્રિય આયાતી બ્રાન્ડ્સ પર પડી છે. અગાઉ આશરે રૂ. 3900માં મળતી રેડ લેબલની બોટલ હવે અંદાજે રૂ. 5000માં મળવાની સ્થિતિ
સર્જાઈ છે. આ ભાવવધારાથી બૂટલેગરોને ફાયદો થવાની અને ગેરકાયદે દારૂના વેપારને પ્રોત્સાહન મળવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. વધુ પડતા ભાવના કારણે લોકો બ્લેક માર્કેટમાં મળતા સસ્તા પરંતુ નકલી અને ઝેરીલા
શરાબ તરફ વળે તેવી ભીતિ છે.
નવી એક્સાઇઝ ડ્યુટી અને વેટના વધારાની સીધી અસર પરમિટધારકોના ખિસ્સા પર પડશે. ઉદાહરણ તરીકે, અગાઉ રૂ. 3100માં ઉપલબ્ધ આયાતી ‘રેડ લેબલ’ વિસ્કીની કિંમત વધીને અંદાજે રૂ. 5000 સુધી પહોંચવાની છે.
એટલે કે, એક જ બોટલ માટે ગ્રાહકોએ અગાઉ કરતાં રૂ. 1900 વધુ ચૂકવવા પડશે. આવી જ રીતે અન્ય જાણીતી આયાતી વિસ્કી, વાઇન અને બીયરની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં કુલ 801
પ્રકારના સ્પિરિટનું અધિકૃત વેચાણ થાય છે, જેમાં વિવિધ પ્રકારની વિસ્કી, વોડકા, રમ, જિન સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 226 પ્રકારના બીયર અને 636 પ્રકારના વાઇનનું અધિકૃત વેચાણ કરવામાં આવે છે.
પરમિટધારકોમાં વિદેશી અને આયાતી બ્રાન્ડ્સની માંગ નોંધપાત્ર રહેતી હોય છે. પરંતુ નવા ભાવવધારા બાદ આ બ્રાન્ડ્સ સામાન્ય પરમિટધારકોની પહોંચથી દૂર જવાની શક્યતા છે.
- Advertisement -
આયાતી દારૂના ભાવ આસમાને પહોંચતા હવે ઘણા પરમિટધારકો સ્થાનિક અથવા અન્ય પ્રમાણમાં સસ્તા વિકલ્પો તરફ વળે તેવી શક્યતા છે. વાઇન શોપના સંચાલકોના જણાવ્યા મુજબ હાલમાં નવી કિંમત વ્યવસ્થા અમલમાં
મૂકવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આયાતી દારૂ અને બીયરના વેચાણ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. જેના કારણે આયાતી બ્રાન્ડ્સ પસંદ કરતા પરમિટધારકોને થોડા સમય માટે રાહ જોવી પડશે. કેટલાક
પરમિટધારકો માટે રાજ્ય બહારથી આયાતી દારૂ ખરીદવાના વિકલ્પો તરફ વળવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
હવે વાઇન શોપમાં નહીં મળે નાની ‘ક્વાર્ટર’ બોટલ!
નવી નીતિમાં સૌથી મોટો ફેરફાર આયાતી દારૂના નાના પેકિંગને લઈને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અધિકૃત વાઇન શોપ્સ પરથી હવે આયાતી વિદેશી દારૂની નાની ‘ક્વાર્ટર’ બોટલો ઉપલબ્ધ નહીં રહે તેવી સ્થિતિ
સર્જાઈ છે. નવા નિર્ણય હેઠળ નાના ક્વાર્ટર પેકિંગ માટેનો અગાઉનો ટેક્સ સ્લેબ નાબૂદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેના પરિણામે રૂ. 500થી રૂ. 2000 સુધીની કિંમતમાં વેચાતી નાની આયાતી બોટલોનું વેચાણ બંધ
થવાની સ્થિતિ ઊભી થઈ છે. નવી એક્સાઇઝ નીતિ અનુસાર હવે રૂ. 2000થી વધુ કિંમત ધરાવતી આયાતી વિદેશી દારૂની બોટલોનું જ વેચાણ ચાલુ રાખવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ નાની
બોટલ ખરીદતા ગ્રાહકોને હવે મોટી અને વધુ કિંમત ધરાવતી બોટલ ખરીદવાની ફરજ પડશે. હેલ્થ પરમિટધારકો તેમજ બહારથી ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ નિર્ણયની સીધી આર્થિક અસર જોવા મળશે.
નવું ભાવપત્રક લાગુ થયા બાદ વેચાણ શરૂ થશે
હાલમાં રાજ્યભરની તમામ સંલગ્ન લિકર અને વાઇન શોપ્સમાં આયાતી દારૂ અને બીયરના નવા ટેક્સ દરો તથા સુધારેલી કિંમતો સિસ્ટમમાં અમલી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સત્તાવાર નવું ભાવપત્રક જાહેર થયા બાદ
અને સરકાર દ્વારા નવી કિંમતોને મંજૂરી મળ્યા પછી રાજ્યભરની અધિકૃત વાઇન શોપ્સ પરથી આયાતી દારૂ અને બીયરનું નિયમિત વેચાણ પુનઃ શરૂ થવાની શક્યતા છે. આમ, એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં કરાયેલા વધારા તથા
ટેક્સ માળખામાં આવેલા મોટા ફેરફારને કારણે ગુજરાતના પરમિટધારકો માટે આયાતી દારૂ અને બીયર હવે વધુ મોંઘા બનવાના છે. ખાસ કરીને નાની ક્વાટર બોટલના વિકલ્પના અભાવ અને લોકપ્રિય આયાતી બ્રાન્ડ્સના
ભાવમાં થયેલા મસમોટા વધારાથી પરમિટધારકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.




