121 નકલી કામોને મંજૂરી અપાવી અને છેતરપિંડીપૂર્વક સરકારી ભંડોળ મેળવ્યું
દાહોદ ખાતે ઊભી કરાયેલી સરકારી કચેરી કૌંભાડમાં EDએ ₹22.70 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી
- Advertisement -
નકલી કચેરીઓના નામે ખોલાયેલા 9 બેંક ખાતાઓમાં જમા કરાતા
ગુજરાતભરમાં ચકચાર જગાવનારા દાહોદ સ્થિત નકલી સરકારી કચેરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), અમદાવાદ ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ૨૦૦૨ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી
છે. તપાસ એજન્સીએ મુખ્ય આરોપી અબુબકર જાકિરઅલી સૈયદ તેમજ તેના પરિવારના સભ્યો અને સહયોગીઓની ₹૨૨.૭૦ કરોડની કિંમતની જંગમ અને સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે જપ્ત કરી છે. આ હાઈ-પ્રોફાઇલ
કૌભાંડમાં ED દ્વારા હજુ પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. દાહોદ ટાઉન ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે ED દ્વારા મની લોન્ડરિંગનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓએ સરકારી અધિકારીઓ તરીકેની ખોટી ઓળખ ઊભી કરી, બનાવટી સહી-સિક્કા અને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેમણે દાહોદ જિલ્લામાં સિંચાઈ અને
જળસંપત્તિ વિભાગની ૬ જેટલી નકલી કચેરીઓ ઊભી કરી પરસ્પર ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. આ બોગસ કચેરીઓ મારફતે ૧૨૧ નકલી પ્રોજેક્ટ્સને મંજૂરી અપાવી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને ભંડોળ
છેતરપિંડીપૂર્વક મેળવી લેવામાં આવ્યું હતું.
છેતરપિંડીથી મેળવેલા આ સરકારી ભંડોળની હેરાફેરી કરવા માટે આરોપીઓએ બેંક ખાતાઓના અત્યંત જટિલ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આ નાણાં સૌપ્રથમ નકલી કચેરીઓના નામે ખોલાયેલા ૯
બેંક ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા, ત્યારપછી તેને ૧૮ મધ્યવર્તી ખાતાઓ મારફતે આગળ ટ્રાન્સફર કરી અંતે આરોપીઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓના ૧૧૮ અન્ય બેંક ખાતાઓમાં વહેંચી દેવાયા હતા.
આ રીતે મની લોન્ડરિંગ દ્વારા મેળવેલા ગેરકાયદે નાણાંનો ઉપયોગ આરોપીઓએ જમીન-મિલકતો ખરીદવા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા તથા અન્ય અંગત હેતુઓ માટે કર્યો હતો.




