કાયદાના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કાનૂની શિક્ષણનું અનોખું મંચ
‘ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026 – પ્રથમ આવૃત્તિ’માં ગુજરાતભરની 14 ટીમ જોડાશે
- Advertisement -
મેમોરિયલ મૂલ્યાંકન બાદ 8 ટીમો મૌખિક રાઉન્ડમાં પહોંચી : વિજેતા ટીમને 10 હજારનું રોકડ ઇનામ
બૌદ્ધિક સંપદા અધિકાર અંગે કાયદાના વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક સમજ, કાનૂની સંશોધન અને એડવોકસી કૌશલ્ય વિકસાવવાના હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આગામી 5 ઓગસ્ટ, 2026ના રોજ ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026 – પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સંચાલિત SPRIHA યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના DPIIT IPR Chair અને સમાજકાર્ય ભવનના સંયુક્ત ઉપક્રમે આ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. રાજકોટ, અમદાવાદ, આણંદ, જૂનાગઢ અને પોરબંદર સહિતના વિસ્તારોમાંથી કુલ 14 ટીમોએ નોંધણી કરાવી હતી. સ્પર્ધાના પ્રથમ તબક્કામાં તમામ ટીમો દ્વારા તૈયાર કરાયેલા મેમોરિયલ્સ (લેખિત કાનૂની દલીલો)નું નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કાનૂની સંશોધન, કેસ લૉનો ઉપયોગ, દલીલોની ગુણવત્તા, કાયદાની સમજ અને રજૂઆતના આધારે 14માંથી 8 શ્રેષ્ઠ ટીમોને મૌખિક રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી છે.
5 ઓગસ્ટે યોજાનારા મૌખિક રાઉન્ડમાં પસંદગી પામેલી ટીમો નિષ્ણાત કાનૂની વ્યવસાયિકો સમક્ષ પોતાની દલીલો રજૂ કરશે. પ્રથમ તબક્કામાં વરિષ્ઠ એડવોકેટ અમન સોરટિયા, દર્શિત આહિયા, જય જસાણી અને કલ્પેશ દવડા ન્યાયાધીશ તરીકે ઉપસ્થિત રહી સ્પર્ધકોની કાનૂની સમજ, દલીલ કરવાની ક્ષમતા, પ્રશ્નોના જવાબ અને એડવોકસી સ્કિલ્સનું મૂલ્યાંકન કરશે. ત્યારબાદ પસંદગી પામેલી ટીમો ડબલ બેન્ચ સમક્ષ દલીલો રજૂ કરશે અને ત્યાંથી બે શ્રેષ્ઠ ટીમો અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કરશે. સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અંતિમ બે ટીમો ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ એ. પી. ઠાકર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ જોશી તથા ભૂતપૂર્વ કુલપતિ પ્રો. (ડૉ.) કમલેશ જોશીપુરા સમક્ષ પોતાની અંતિમ કાનૂની દલીલો રજૂ કરશે. અનુભવી ન્યાયવિદો અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પોતાની દલીલો રજૂ કરવાની તક મળવાથી આ સ્પર્ધા વધુ પ્રેરણાદાયી અને શૈક્ષણિક બની રહેશે.
- Advertisement -
મૂટ કોર્ટ કાયદાના વિદ્યાર્થીઓ માટે માત્ર સ્પર્ધા નથી, પરંતુ વાસ્તવિક અદાલતી કાર્યવાહીની નજીકનો પ્રાયોગિક અનુભવ છે. તેમાં વિદ્યાર્થીઓને એક કાલ્પનિક પરંતુ કાયદાકીય રીતે જટિલ કેસ આપવામાં આવે છે. ત્યારબાદ તેઓ સંબંધિત કાયદા, ચુકાદા અને કાનૂની મુદ્દાઓનું સંશોધન કરી લેખિત મેમોરિયલ તૈયાર કરે છે અને ન્યાયાધીશોની પેનલ સમક્ષ વકીલ તરીકે મૌખિક દલીલો રજૂ કરે છે. આ વર્ષની સ્પર્ધાને ખાસ કરીને બૌદ્ધિક સંપદા અધિકારો સાથે જોડવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને અન્ય આઇપીઆર સંબંધિત કાયદાઓની માત્ર સૈદ્ધાંતિક જ નહીં પરંતુ વ્યવહારિક સમજ પણ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા દ્વારા કાનૂની સંશોધન, મેમોરિયલ ડ્રાફ્ટિંગ, કોર્ટરૂમ એટિકેટ, કેસ લૉ એનાલિસિસ, કાનૂની તર્કશક્તિ અને સમયમર્યાદામાં અસરકારક દલીલો રજૂ કરવાની ક્ષમતાનો વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વિજેતા ટીમને 10,000, ઉપવિજેતા ટીમને 5,000 તથા શ્રેષ્ઠ મેમોરિયલ માટે 1,500નું વિશેષ રોકડ ઇનામ આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ, મેમોરિયલ તૈયાર કરવાથી લઈને અંતિમ મૌખિક દલીલો સુધીની સમગ્ર પ્રક્રિયા વિદ્યાર્થીઓને આઇપીઆર કાયદાઓને ઊંડાણપૂર્વક સમજવાની અને ભાવિ કાનૂની કારકિર્દી માટે જરૂરી કૌશલ્ય વિકસાવવાની ઉત્તમ તક પૂરી પાડશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક સંપત્તિ અધિકારો પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. જ્ઞાન અને ટેક્નોલોજી આધારિત અર્થતંત્રમાં પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપદા અધિકારોનું મહત્વ સતત વધી રહ્યું છે. આવા સમયમાં ભાવિ કાનૂની વ્યવસાયિકોને આઇપીઆર કાયદાની વ્યવહારિક સમજ મળે તે માટે “હિમાયત દ્વારા શિક્ષણ”ના અભિગમ સાથે આ મૂટ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકારની બૌદ્ધિક સંપત્તિ અધિકારો યોજના હેઠળ કાર્યરત DPIIT આઇપીઆર Chair દ્વારા બૌદ્ધિક સંપદા અધિકારો અંગે શિક્ષણ, સંશોધન, જાગૃતિ અને ક્ષમતાવર્ધન માટે સતત વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. “ધ લીગલ એરેના મૂટ કોર્ટ 2026 – પ્રથમ આવૃત્તિ” પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે, જે કાયદાના વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનથી આગળ વધીને વાસ્તવિક કાનૂની પ્રક્રિયાનો અનુભવ કરાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ જોશીના માર્ગદર્શન અને કુલસચિવ ડૉ. એ. કે. જાડેજાના સહયોગથી યોજાઈ રહેલા આ કાર્યક્રમનું સંકલન ડૉ. મહેશ જીવાણી, ડૉ. રાજેશ દવે, ડૉ. મિનલ રાવલ, ડૉ. વિમલ પરમાર અને પાર્થ સેજપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે એડવાઇઝરી કમિટીમાં ડૉ. અરુંધતી દાસાણી, ડૉ. પૂર્વી સોનેજી, ડૉ. ઉર્વી શાહ અને એડવોકેટ સાગર બાવરીયા માર્ગદર્શન અને સલાહકાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.




