રાજકોટમાં ડેન્ગ્યુ-મેલેરિયા સામે મહાઅભિયાન
કાલથી ‘વન-ડે-વન-વોર્ડ’ હેઠળ તમામ 18 વોર્ડમાં સઘન વાહક નિયંત્રણ ઝુંબેશ શરૂ
- Advertisement -
ચોમાસાની ઋતુમાં મચ્છરોના પ્રજનનમાં વધારો થતાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરભરમાં ‘વન-ડે-વન-વોર્ડ’ કાર્યક્રમ અંતર્ગત તમામ 18 વોર્ડમાં વાહક નિયંત્રણની સઘન ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીને વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત દરરોજ શહેરના એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમો સંયુક્ત રીતે કામગીરી કરશે. ટીમ વર્કના આધારે એક જ વોર્ડમાં કેન્દ્રિત રીતે કામગીરી હાથ ધરાશે, જેથી ઓછા સમયમાં વધુ અસરકારક પરિણામ પ્રાપ્ત થઈ શકે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં કાર્યરત કુલ 518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની સરેરાશ 162 ટીમ સંબંધિત ઝોન મુજબ દરરોજ એક જ વોર્ડમાં કામગીરી કરશે. તમામ ટીમો સંકલનપૂર્વક વાહક નિયંત્રણ માટેની વિવિધ કામગીરી અમલમાં મૂકી મચ્છરજન્ય રોગોના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરશે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા, પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય વિભાગની ટીમોને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગનું માનવું છે કે નાગરિકોના સહકારથી જ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
મચ્છરના ઉત્પત્તિ સ્થળો પર રહેશે ખાસ નજર
અભિયાન દરમિયાન ઘરોની અંદર અને આસપાસ આવેલા પાણી ભરાયેલા ટાંકા, ટાંકીઓ, બેરલ, પાણીની કુંડીઓ, પક્ષીકુંજ સહિતના મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થળોની તપાસ કરવામાં આવશે. નાગરિકોને આવા સ્થળોએ પાણી જમા ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ભંગાર અને બિનજરૂરી પાણી ભરાઈ શકે તેવા પાત્રોનો નાશ કરાવવામાં આવશે તેમજ જરૂરી સ્થળોએ લાર્વીસાઇડ દવાનો છંટકાવ પણ કરવામાં આવશે.
ખાડા-ખાબોચિયામાં દવા અને ઓઇલનો છંટકાવ
રહેણાંક વિસ્તારો ઉપરાંત વોર્ડમાં આવેલા નાના-મોટા ખાડા, ખાબોચિયા અને અન્ય પાણી ભરાયેલા સ્થળો જ્યાં મચ્છરનું પ્રજનન થઈ શકે છે ત્યાં દવા તેમજ ઓઇલનો છંટકાવ કરીને મચ્છરના લાર્વાનો નાશ કરવામાં આવશે. જ્યાં મોટા પ્રમાણમાં ખુલ્લા પાણીના સંગ્રહ હોય અને તેને દૂર કરવું શક્ય ન હોય તેવા સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકીને મચ્છરના લાર્વાનું જૈવિક નિયંત્રણ કરવામાં આવશે. આ પદ્ધતિ પર્યાવરણમિત્ર અને અસરકારક માનવામાં આવે છે.
- Advertisement -
શાળા, હોસ્પિટલ અને બાંધકામ સાઇટોની પણ તપાસ
આ ઝુંબેશ માત્ર રહેણાંક વિસ્તારો સુધી મર્યાદિત નહીં રહે. શાળાઓ, બાંધકામ સાઇટો, હોટલો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ તેમજ અન્ય બિન-રહેણાંક સંસ્થાઓની મુલાકાત લઈને ત્યાં પણ વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવશે અને જરૂરી સૂચનો આપવામાં આવશે. લોકોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ વધે અને મચ્છરના ઉત્પત્તિ સ્થળો દૂર કરવા અંગે સમજ વિકસે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પત્રિકા, પોસ્ટર અને વ્યક્તિગત માર્ગદર્શન મારફતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.
વન ડે વન વોર્ડ કાર્યક્રમ
સેન્ટ્રલ ઝોન
તારીખ વોર્ડ
04-08-2026 2
07-08-2026 3
12-08-2026 7
17-08-2026 13
20-08-2026 14
25-08-2026 17
ઇસ્ટ ઝોન
તારીખ વોર્ડ
05-08-2026 4
10-08-2026 5
13-08-2026 6
18-08-2026 15
21-08-2026 16
27-08-2026 18
વેસ્ટ ઝોન
તારીખ વોર્ડ
06-08-2026 8
11-08-2026 9
14-08-2026 10
19-08-2026 11
24-08-2026 12
31-08-2026 1




