ભાજપ સરકાર સામે ઉગ્ર આંદોલનની અપીલ નીંદનીય : ભાજપ લીગલ સેલ
ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ-સંયોજક અનિલ દેસાઈ, રાજકોટ મહાનગરના સંયોજક પિયુષ શાહ તથા સહ-સંયોજક કમલેશ ડોડીયાએ નિવેદનને અયોગ્ય ગણાવ્યુ
- Advertisement -
રાજકોટને ગુજરાત હાઇકોર્ટની બેંચ ફાળવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે હવે આ મુદ્દે રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર માંગણી અને જનઆંદોલનની ચેતવણી આપતા કરાયેલા નિવેદનને ભાજપ લીગલ સેલ, રાજકોટ મહાનગરે કડક શબ્દોમાં વખોડી કાઢ્યું છે. લીગલ સેલના આગેવાનોએ આ નિવેદનને “નીંદનીય” ગણાવી બાર એસોસિએશનના પ્રમુખને પોતાના શબ્દો પરત ખેંચી જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
ભાજપ લીગલ સેલ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, ગઈકાલે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને તેમના પ્રતિનિધિમંડળે રાજકોટના જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી રાજકોટ ખાતે હાઇકોર્ટ બેંચ સ્થાપવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. જોકે, ત્યારબાદ કલેક્ટર કચેરીના પરિસરમાં મીડિયા સમક્ષ કરાયેલા નિવેદનમાં ભાજપ સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન હજુ સુધી પૂર્ણ કર્યું નથી તેવી ટીકા કરવામાં આવી હતી. સાથે જ સરકાર સામે જનતાને સાથે રાખીને ઉગ્ર રજૂઆત કરવાની વાત પણ કરવામાં આવી હતી.
ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ-સંયોજક અનિલભાઈ દેસાઈ, રાજકોટ મહાનગરના સંયોજક પિયુષભાઈ શાહ તથા સહ-સંયોજક કમલેશ ડોડીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, બાર એસોસિએશનના પ્રમુખનું આ નિવેદન માત્ર અયોગ્ય જ નહીં પરંતુ નિંદનીય પણ છે. તેમણે જણાવ્યું કે હાઇકોર્ટ બેંચનો મુદ્દો સંવેદનશીલ અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના હિત સાથે જોડાયેલો છે, તેથી આ મુદ્દે બિનજરૂરી રાજકીય આક્ષેપો કરવાનું યોગ્ય નથી.
- Advertisement -
લીગલ સેલના જણાવ્યા મુજબ, અગાઉ ભાજપ કાર્યાલય ખાતે આશરે 300 જેટલા વકીલોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટને હાઇકોર્ટ બેંચ ફાળવવાની માંગ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે સહિત પક્ષના મહામંત્રીઓ હાજર રહ્યા હતા.
તે પ્રસંગે સાંસદ પરષોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેએ પોતાના સંબોધનમાં રાજ્ય સરકાર આ મુદ્દે હકારાત્મક અભિગમ ધરાવે છે અને યોગ્ય સ્તરે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હોવાનું પણ લીગલ સેલે યાદ અપાવ્યું છે.
ભાજપ લીગલ સેલે વધુમાં જણાવ્યું છે કે, સરકાર અંગે ગેરસમજ ફેલાય તેવા પ્રકારના નિવેદનો કરવાને બદલે સૌએ હાઇકોર્ટ બેંચની માંગ માટે એકજૂથ બની રચનાત્મક પ્રયાસો કરવા જોઈએ. બાર એસોસિએશનના પ્રમુખે ભાજપ સરકાર વિરુદ્ધ કરેલા નિવેદનો પરત ખેંચી જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી માંગ પણ સંયુક્ત નિવેદનમાં કરવામાં આવી છે.
હાઇકોર્ટ બેંચનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલો અને નાગરિકો માટે મહત્વનો રહ્યો છે. આ મુદ્દે વિવિધ સંસ્થાઓ દ્વારા સમયાંતરે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવતી રહી છે. હવે બાર એસોસિએશન અને ભાજપ લીગલ સેલ વચ્ચે નિવેદનબાજી શરૂ થતાં આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે.




