રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાની શંકા
- Advertisement -
તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સમાજના યુવાનોએ કર્યા ધરણા
રાજકોટમાં માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ છે આ બનાવમાં આર્થિક સંકળામણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. સાંજે રઘુવંશી પરિવારના મોભી અને પીડબલ્યુડીના નિવૃત ક્લાર્ક એવા વૃધ્ધે પત્ની અને પુત્ર સાથે પોતાના ઘરે સોડા સાથે ઝેરી દવા ગટગટાવી આત્મઘાતી પગલું ભર્યું હતું મૃતક નિશ્ચિતને વ્યાજખોરોની ધમકી મળતી હોવાનું પણ પરિવારજનોએ જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સામુહિક આપઘાતની પ્રાપ્ત માહિતી મુજબ સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે યોગેશ્વર પાર્ક નજીક અંજતા પાર્કમાં રહેતા પીડબલ્યુ ડીના નિવૃત ક્લાર્ક દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર ઉ.72 તેમના પત્ની સ્મિતાબેન ઉ.65 અને પુત્ર નિશીત ઉ.32 એ ગત સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે સોડા સાથે જ સેલફોરની ઝેરી દવા ભેળવી પી લેતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રથમ સ્મિતાબેન, બાદ દિલીપભાઈ અને ત્યાર બાદ નિશિતનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા યુનિવર્સીટી પોલીસે તત્કાલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર દિલીપભાઈ આર એન્ડ બી માં ફરજ બજાવી નિવૃત થયા હતા. તેમને સંતાનમાં બે દીકરા મોટો નિશિત અને નાનો પરાગ હતો પરાગનું વર્ષ 2018માં અકસ્માતે મોત થયું હતું. આ તરફ નિશિત કંઈ કામ ધંધો કરતો નહોતો. તેણે અનેક વ્યક્તિ પાસેથી પૈસાની લેતી દેતી કરી હતી. જેથી ઉઘરાણીઓ પણ થતી હતી. પરિવાર આર્થિક સંકળામણમાં હતો. કદાચ વ્યાજખોરોની હેરાનગતિ પણ હોય શકે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. બનાવને પગલે રઘુવંશી સમાજના યુવાનો રાત્રે સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આપઘાત કર્યાના ગણતરીના કલાકો પહેલા મૃતક નીશીતના બેંક ખાતામાં 90000 ક્રેડિટ થયા હતા. આ રકમ કોણે અને કયા કારણોસર મોકલી હતી તે દિશામાં રહસ્ય ઘેરાયું છે થોડા સમય પહેલાં યુવાનને નાણાંની તાકીદની જરૂરિયાત ઊભી થતાં તેણે તેના મિત્ર પાસે મદદ માગી હતી. મિત્રએ તેને સોનાના દાગીના આપ્યા હતા, જે ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને સાડા ત્રણ લાખ રૂપિયા વ્યાજે લેવાયા હતા. તાજેતરમાં મિત્રએ સોનાના દાગીના પરત કરવા અંગે વાત પણ કરી હતી. તેમજ મૃતક નીશીતે કેટલાક વ્યાજખોરો પાસેથી પણ ઉંચા વ્યાજે નાણા લીધા હોય જે અંગે પઠાણી ઉઘરાણી અંગે ફોન આવતા હતા. તેમજ વ્યાજખોરો પણ ઘેર આવી ધમકી આપતા હતા આ મામલે વ્યાજખોરોનું દબાણ હોય તો તેમની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને અટકાયત કરવામાં આવે તેવી રઘુવંશી સમાજ દ્વારા માંગ ઉચ્ચારવામા આવી છે.
મિત્રની બહેનને ઈનસ્ટાગ્રામમાં મેસેજ કરતા યુવકને ઘરેથી ઉઠાવી જઈ ઢોર માર મારી ઢીમ ઢાળી દીધું
- Advertisement -
રૂખડિયાપરામાંથી ચા પીવાના બહાને લઇ જઈ મારકૂટ કરી બેભાન હાલતમાં ઘર પાસે ફેંકી ગયા
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે રૂખડીયા ફાટક પાસેથી યુવકને ઘરેથી ઉઠાવી જઈ ઢોર માર મારી ઘર પાસે ફેંકી દીધા બાદ મોટ નીપજ્યું હતું રાજકોટના રૂખડિયાપરામાં જૂની વાયરલેસ ઓફિસ પાસે રહેતો અને પિતા સાથે કલરકામ કરતો ઉમંગ રણજીતભાઈ જાખેલીયા ઉ.23 ગઈકાલે બપોરે ઘરે હતો ત્યારે નાઝીર ઉર્ફે ઘેટી નગામડા અને બીજા તેના મિત્રો ઘર પાસે આવીને ઉમંગને ચા પીવા લઈ ગયેલ અને સાંજે પાંચ વાગ્યે આસપાસ ઉમંગને ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં આસિફ અને અજાણ્યો શખ્સ ઘરે મૂકી જતો રહ્યો હતો બેભાન હાલતમાં ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ઇમર્જન્સીમાં દાખલ કરેલ. જેનું ચાલુ સારવાર દરમિયાન સાંજે 6:30 વાગ્યાં આસપાસ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બીએનએસ કલમ 103(1), 61(2), 3(5) મુજબ ગુનો દાખલ કર્યો હતો પ્રદ્યુમનનગર પોલીસે નાઝીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ બાવાજી અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચારેયને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પિતા રણજીતભાઈ પુનાભાઈ જાખેલીયા ઉ.48એ પ્રનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને કલર કામની મજુરીકામ કરું છું મારે સંતાનમાં બે દિકરા તથા બે દિકરીઓ છે. જેમાં સૌથી મોટી દિકરી કાજલબેન છે બાદ મરણજનાર દિકરો ઉમંગ છે તેનાથી નાની દિકરી ભુમીકા અને સૌથી નાનો દિકરો વિકાસ છે. મારા બંન્ને દિકરાઓ મારી સાથે કલરકામ કરે છે તા. 27/07/2026ના રોજ હું રેલ્વે હોસ્પિટલ રાજકોટ ખાતે કલર કામ કરવા ગયો હતો અને મારા દિકરા ઉમંગ તથા વિકાસ કામ ઉપર આવ્યા ન હતા બપોરનાં અઢી વાગ્યાનાં અરસામાં મારા પત્ની ભાનુબેનનો મને ફોન આવેલ મને જણાવેલ કે, આપણા લતામાં રહેતો નાઝિર ઉર્ફે ઘેટી નગામણા આપણા ઘરે આવ્યો હતો અને મને કહેલ કે ઉમંગને ચા પીવા લઇ જવો છે? તો મેં કહેલ કે તમે કોણ કોણ ચા પીવા જાવ છો ? તો નાઝિરે કહેલ કે હું તથા આસિફ તથા સુજલ બાવાજી તથા બીજો અમારો મિત્ર તથા ઉમંગ અમો ચા પીવા જવાનાં છીએ. એમ વાત કરી હતી અને આ નાઝિર ઉમંગને તેની સાથે લઇ ગયેલ છે. મેં મારા દિકરા વિકાસને ફોન કરીને જણાવેલ કે નાઝિર ઉમંગને કયા લઇ ગયેલ છે ? તેની તપાસ કરો. તેમ કહેલ હતુ અને મારા દિકરા વિકાસનો થોડી વાર બાદ મને ફોન આવેલ મને કહેલ કે નાઝિર અને ઉમંગ ભગવતીપરા મેઇન રોડ ઉપર આવેલ દેવકી નંદન ચાની હોટલે ચા પીવે તેમ મને વાત કરી હતી દરમ્યાન સાંજનાં સવા પાચેક વાગ્યે હું કલર કામ કરતો હતો તે દરમ્યાન મને મારા મોટા ભાઈ જગદિશભાઇનો દિકરો વિજય જે અમારા ઘરની બાજુમાં જ રહે છે તેનો મને ફોન આવેલ અને મને કહેલ કે, આપણા લતામાં રહેતો આસિફ તથા એક અજાણ્યો માણસ બંન્ને તમારા દિકરા ઉમંગને મારી દુકાન પાસે સફેદ કલરના એકસેસ મોટર સાઇકલમાં લઈ આવીને ફેંકીને જતા રહેલ છે. ઉમંગ બેભાન હાલતમાં છે તમો ઘરે ઝડપથી આવો. તેમ કહેતા હું મારી પાસે રહેલ ઓટો રિક્ષા લઇને મારા ઘરે જવા નિકળેલ હતો. મારા દિકરા ઉમંગને મારા ભાઇનો દિકરો વિજય તથા અમારા લતામાં રહેતો મોહસીન જેઓ એક મોટરસાયકલમાં લઇને સેન્ટ્રલ જેલની પાસે મળ્યા હતા અને આ વખતે 108 એમ્બ્યુલન્સ પણ આવેલ હોય મારા દિકરાને ઉમંગને 108 એમ્બ્યુલન્સમાં લઈને અમો સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં લઇને આવેલ હતા આ વખતે મારો દિકરો બેભાન હાલતમાં હતો. સરકારી હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ ત્યારે મે ઉમંગનાં શરીરે જોતા ઉમંગને આખા શરીરે માર મારવાથી લોહી ઉપસી ગયેલ લાલ કાળા ચાંભા પડેલ જોવામા આવેલ હતા અને સારવાર દરમ્યાન સાંજનાં આશરે સાતેક વાગ્યાનાં અરસામા મારો દિકરો ઉમંગનું મોત નીપજ્યું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓ અને મૃતક મિત્રો છે નાઝિરની બહેનને ઉમંગ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતો હોય આ અંગે નાઝિરને જાણ થઇ જતા તેણે ઉમંગને સમજાવ્યો હતો અને મેસેજ કરવાની ના પાડી હતી તેમ છતાં નહીં અટકતા આ જ કારણોસર હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું છે પ્રદ્યુમન નગર પોલીસે નાઝીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ તથા અજાણ્યા વ્યક્તિની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સેલવાસથી કોસ્મેટિક્સની બિલ્ટીની આડમાં ટ્રાન્સપોર્ટમાં મોકલેલો 1104 બોટલ દારૂ પીસીબીએ ઝડપી પાડ્યો
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે સેલવાસથી કોસ્મેટિક્સની બિલ્ટીની આડમાં ટ્રાન્સપોર્ટમાં પાર્સલ રૂપે આવેલો 2,74,464 રૂપિયાનો 1104 બોટલ દારૂ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાંથી ઝડપી લીધો છે આ દારૂ સૌરાષ્ટ્રના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ મોકલ્યો હોવાનું ખુલતા યાકુબ સહીત બે સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે સેલવાસથી કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ કોસ્મેટિક્સની બિલ્ટીની આડમાં દારૂનો જ્થ્થો ટ્રાન્સપોર્ટમાં પાર્સલ રૂપે મોકલ્યો છે આ બાતમી આધારે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી ત્યાંથી 2,74,464 રૂપિયાનો 1104 ચપલા દારૂ કબ્જે કર્યા હતા આ અંગે યાકુબ મોટાણી અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.
લગ્નના ત્રીજા દિવસે જ દારૂ ઢીંચી પતિએ પત્નીને માર માર્યો : 112માં ફોન કરતા બચકા ભરી, વાળ ખેંચી લીધા
રાજકોટની અટિકા ફાટક પાસે અમરનાથ સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી ભાડાના મકાનમારહેતા અને રાજકોટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રિયંકાબેન રવિભાઇ આચાર્ય ઉ.30એ વિછિયા રહેતા પતિ રવિ આચાર્ય અને સસરા દીપકભાઈ આચાર્ય સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન 21 ઓગષ્ટ 2022ના રોજ થયા હતા મારા પતિએ લગ્નના ત્રીજા દિવસથી જ ઝઘડાઓ શરૂ કર્યા હતા મારા પતિ દારુ પીને માથાકુટ કરતા અને રાત્રે બાર જતા રહી ફોન બંધ કરી દેતા, અને સવારે ઘરે આવે ત્યારે હું પુછુ કે, ક્યા હતા તો મને કાઈ પણ જવાબ આપતા નહિ જેના લીઘે મારા સાસુ-સસરા મને ખીજાતા. લગ્ન બાદ મને મારા સાસુ ઘરેણા પહેરવા આપતા નહિ અને નાની નાની વાતમાં મેણા ટોણા મારતા અને મારા સસરા પણ અપશબ્દો બોલતા અને રોજ ઘરકંકાસ રહેતો હોવાથી મારા સસરાએ કહેલુ કે, હવે અમે ગામડે રહેવા જઇએ આપણે હવે રાજકોટ રહેવુ નથી, અને તમે પણ ગામડે રહેવા અમારી સાથે આવી જાવ ત્યારે મે મારા સસરાને ના પાડેલી કેમ કે અમારા લગ્ન પહેલા રાજકોટ રહેવા માટેની બોલી થયેલી હતી. ત્યાર બાદ મારા સાસુ સસરા અને નંણદ ગામડે જસદણ રહેવા જતા રહેલા. તે સમયે હું ગામડે ગઇ નહિ જેથી મારા પતિએ મને પૈસા આપવાનુ બંઘ કરી દીધેલુ અને ભાડુ ભરતા નહિ, લાઇટ બીલ ભરતા નહિ અને ઘરખર્ચ પણ આપતા નહી અને વીસ દિવસ સાથે રહ્યા ત્યાર બાદ તે મને એકલા મુકીને ઘરમા તોડ-ફોડ કરીને જસદણ જતા રહેલા હતા. અને આ બાબતની જાણ મે મારા સસરાને કરેલી તો તેઓએ કહેલુ કે અમારે તારી સાથે કોઇ લેવા દેવા નથી. ત્યારથી ત્રણ વર્ષ હુ એકલી રહેલી અને મારા પતિએ મારી કોઇ સારસંભાળ લીધેલી નહિ. અને તે દરમિયાન મારા સસરા મારા પપ્પાના ઘરે અવાર નવાર અલગ અલગ વ્યક્તિઓને લઇને છુટાછેડા કરાવવા માટે આવેલા અને અમોએ છુટુ કરવાની ના પાડતા મારા સસરાએ મારા પપ્પાને ફોન મા છુટુ કરી નાખો એમ દબામણી અને ઘમકી આપેલી. બાદ ત્રણ વર્ષ પછી મારા પતિનો ફોન આવેલો અને કહેલુ કે, મારે તને મળવુ છે અને સમાઘાન કરવુ છે. બાદ સમાધાન થતા અમો બન્ને પતિ-પત્ની રાજકોટ ખાતે ભાડાના મકાન મા રહેવા લાગેલા હતા ત્યારે પણ ઘરમા કાંઇ ધ્યાન આપ્યું ન હતું અને ઘર ખર્ચ પણ આપતા નહિ બાદ અમે બન્ને મારા સાસરીયા જસદણ પંદર દિવસ રોકાયેલી તે સમયે પણ મારા સાસુ સસરા મારા પતિને મારા વિરુધ્ધ ચડામણી કરતા અને અમારા વચ્ચે ઝઘડા ઓ કરાવતા હતા ગત 28 ફેબ્રુઆરીના રોજ મારા પતિએ દારૂ પીને આવીને મારા પપ્પાના ઘરે જઇ માથકુટ કરેલી અને ગામડે રહેવા જવા માટે ઝઘડો કરેલો અને ત્યારે પણ મારા પર હાથ ઉપાડ્યો હતો બાદ મે ભક્તિનગરમા અરજી કરી હતી ત્યારે વડીલોની હાજરી મા સમાઘાન કર્યું હતુ અને ફરીથી અમો સાથે રહેવા લાગ્યા હતા. બાદ ગત 7 તારીખે પતિએ મને શેરબજાર માટે મારુ બેંક આકાઉન્ટ માંગેલુ અને પૈસા માંગેલા મે ના પાડતા, મારી સાથે ઝઘડો કરી જસદણ ખાતે જતા રહેલા. ત્યાર બાદ 9 તારીખે જસદણ જતા પતિ ત્યા પીધેલી હાલતમા હતા મારા પતિએ મારો હાથ ખેંચી ઘરની બહાર કાઢી મુકેલી અને ત્યારે મે 112માં ફોન કરતા મને અંદર બોલાવીને મારકુટ કરી હતી મને આખના ભાગે મારકૂટ કરી અને હાથમા અને પગમા બટકા ભરી લીધા હતા અને માથાના વાળ ખેંચી લીધા હતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
બામણબોર પાસેથી બે સગા ભાઈઓને 7.24 લાખના ગાંજા સાથે એસઓજીએ ઝડપી લીધા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીકથી એસઓજીએ બાતમી આધારે વોચ ગોઠવી 7.24 લાખની કિંમતના 14.485 કિલોગ્રામ ગાંજા સાથે સગીર સહીત બે સગા ભાઈઓને ઝડપી લીધા છે ઓરિસ્સાથી ખેપ મારીને આવતી બેલડી રાજકોટમાં ડિલિવરી આપે તે પૂર્વે જ એસઓજીએ બંનેને ઝડપી લઇ 7.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રીસીવરની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે શહેર એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ અને ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, વનરાજ હાંડા અને તેનો સગીર વયનો નાનો ભાઈ અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોરથી આગળ આવેલ હોટલ રામદેવ પાસે પહોંચવાના છે અને તેમના કબ્જામાં ગાંજાનો જથ્થો છે આ બાતમી આધારે તાત્કાલિક એસઓજીની ટીમે દરોડો પાડી બંનેને સકંજામાં લઇ 7,24,250નો 14.485 કિલોગ્રામ ગાંજો કબ્જે કરી નામઠામ પૂછતાં બાલાજી હોલ પાછળ ક્વાર્ટરમાં રહેતો વનરાજ ઉર્ફે ટકો રવજી ઉર્ફે સવજી હાંડા અને સાથે રહેલો તેનો સગીર ભાઈ હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી ગાંજો, મોબાઈલ મળી કુલ 7,34,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટના હિતેષ ગોહિલ નામના પેડલરે ટ્રેન મારફતે ઓરિસ્સાના કાંટાબાજી ખાતે રાધે નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લેવા મોકલ્યા હતાં. ત્યાંથી ગાંજો મેળવી તેઓ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. બાદમાં પોલીસથી બચવા તે વડોદરાથી બસમાં બામણબોર સુધી પહોંચ્યા હતા અહીં ઉતરી તેઓ પગપાળા ચાલી હોટેલ રામદેવ તરફ આવી રહ્યા હતા દરમિયાન એસઓજીએ દરોડો પાડી ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો પોલીસે રિસીવરની શોધખોળ શરૂ કરી છે ઝડપાયેલ બેલડી અગાઉ પણ ગાંજાની એક ખેપ મારી આવી હતી. રાજકોટનો પેડલરહિતેષ ગોહેલ નામનો શખ્સ બંને શખ્સોને ઓરિસ્સા ગાંજાનો જથ્થો લેવા મોકલતો હતો એક ખેપ માટે હિતેષ બંને શખ્સોને 20 હજાર ચૂકવતો હતો.
જેતપુરમાં દેશી દારૂ ભરેલી કાર ઝડપી લેનાર પોલીસ જવાન ઉપર બુટલેગરનો છરીથી હુમલો
જેતપુરમાં પોલીસ કર્મીને બુટલેગરએ ચરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે પોલીસે દારૂ ભરેલ કાર અટકાવતાં જ બુટલેગર દિલીપ ઉર્ફે દિલો બેફામ બન્યો હતો અને છરી ઝીંકી માર માર્યો હતો બાદ આરોપી ભાગવા જતાં જ પોલીસે ઝડપી લીધો હતો જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં બુટલેગર દિલીપ સહીત ત્રણ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ મકવાણાએ દિલીપ ઉર્ફે દિલો ભાણકુ શેખવા, દેશી દારૂ મોકલનાર જૂનાગઢના કાનો રબારી અને જેતપુરની રેખા ઉર્ફે ઢકુ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલ તેઓ હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ સાંભડા, વાસુદેવસિંહ જાડેજા, હિતેશભાઈ વરૂ તથા ચેતનભાઈ ઠાકોર, સંજયભાઈ પરમાર સાથે પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન નવાગઢ, ઇમ્પીરીયલ એપાર્ટમેન્ટની બાજુમાં આવતા ખાનગી રાહે હકીકત મળેલ કે, જેતપુર ભાદર સામાકાંઠામાં રહેતો દિલીપ ઉર્ફે દિલો શેખવા સફેદ કલરની સ્વીફ્ટ કારમાં દેશી દારૂ ભરી જૂનાગઢથી નવાગઢ બાજુ આવનાર છે જેથી ટીમ વોચમાં હતી દરમ્યાન રાત્રીના સ્વીફ્ટ કાર નં. GJ-03-PA-1117 વાળી આવતા તેને અટકાવતા કારમાંથી દિલીપ શેખવા હોય જે કાર મુકી ભાગવા જતા તેનો પીછો કરી તેને ઉભો રહેવા બુમો પાડતા તે ઉભો રહેલ નહિ અને તેને દોડીને પકડી પાડતા તેણે નેફામાંથી છરી કાઢી પોલીસ ટીમને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી છરીનો એક ઘા પેટના ભાગે મારવા જતાં હાથ આડો રાખતા છરીનો ઘા હાથમાં મારી દેતા લોહી નિકળવા લાગેલ અને તેઓ નીચે પડી જતા દિલીપના હાથમાં રહેલ છરી ત્યાં પડી જતાં તેણે ઢીકાપાટુથી માર માર્યો હતો જે બાદ આરોપી ભાગવા જતાં તે હાઇવે રોડની સાઈડના ડિવાઇડરની પાળી સાથે અથડાતા તે રોડ ઉપર પડી ગયેલ તે વખતે પોલીસની ટીમ દોડી આવતાં દિલીપ શેખવાને પકડી સ્વીફ્ટ કારમાં ચેક કરતાં તેમાં ડ્રાઇવર સીટ પાછળ તથા ડેકીમાં પ્લાસ્ટીકના બાચકાઓમાં કેફી પ્રવાહી દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ લીટર 200 અને સ્વીફ્ટ કાર સહિત 3.40 લાખનો મુદામાલ તેમજ છરી પણ કબ્જે કરી હતી આ દેશી દારૂ બાબતે પુછપરછ કરતા પોતે જૂનાગઢના રહીશ કાનો રબારી પાસેથી લઇ આવી જેતપુર ભાદર સામાકાંઠે રહેતી રેખા ઉર્ફે ઢફુ લલીત વેગડાને આપવાનો હતો. જે બાદ પોલીસ કર્મીને હાથમાં લોહી નિકળતુ હોય જેથી સારવારમાં ખસેડવમાં આવ્યાં હતા. તેમજ અન્ય આરોપીની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે.
વિરપુરના ખોડીયાર ગેસ્ટહાઉસમાં ધમધમતું કૂટણખાનુ ઝડપાયું : એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો : માલિક-સંચાલકની ધરપકડ
રાજકોટ જિલ્લાનું પવિત્ર યાત્રાધામ વિરપુરમાં આવેલ ખોડીયાર ગેસ્ટહાઉસમાં ધમધમતું કૂટણખાનુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી ઝડપી લીધું છે પોલીસે ગેસ્ટ હાઉસના માલીક અને સંચાલકની ધરપકડ કરી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ જીલ્લામાં ચાલતી અનૈતિક દેહવેપાર સંબંધી ગુન્હાઓ શોધવા આપેલ સુચના અન્વયે એએચટીયું નોડલ ઓફિસર પીઆઈ એન.એ.શુક્લ અને એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરીમાં ટીમ વીરપુર પોલીસ મથક વિસ્તારમા પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ કળોતરા, કોન્સ્ટેબલ દિલીપસિંહ અને મનિષાબેન ખીમાણીયા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે વીરપુરના ચામુંડા ચોક સ્વામીનારાયણ મદિરવાળી શેરીમાં ખોડીયાર ગેસ્ટહાઉસમાં દરોડો પાડ્યો હતો ગેસ્ટહાઉસના સંચાલક વૈશ્યાવૃતિનો ધંધો કરતા અને ફુટણખાનુ ચલાવતા રંગેહાથ પકડાઈ જતાં ગેસ્ટ હાઉસના માલીક નિલેશ પરસોતમ ગુજરાતી અને સંચાલક અજય માધુ ભટ્ટી સામે ઇમોરલ ટ્રાફીક પ્રીવેન્શન એક્ટ તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ અને વૈશ્યાવૃતિ કુટણખાનુ ચલાવતા ધંધાની મળેલ રોકડ રકમ 4,200 મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પૌત્રને ખિજાવવાની ના પાડનાર પિતા પર પુત્રનો હુમલો
રાજકોટમાં આજી નદીના કાઠે નવા થોરાળામાં રહેતા દિલીપભાઈ મનજીભાઈ મકવાણા ઉ.55એ પુત્ર અનિલ દિલીપભાઈ મકવાણા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે હું ઘરે હતો ત્યારે મારો મોટો દિકરો અનીલ તેના દિકરાને ખીજાતો હોય જેથી મેં ખીજાવાની ના પાડતા મારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલ જેથી બોલાચાલી કરવાની ના પાડતા એકદમ ઉછકેરાઇ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા વધુ ઉછકેરાઇ જઇ પથ્થરના ઘા કરવા લાગેલ જેથી મને માથાના પાછળના ભાગે લાગી ગયેલ જેથી લોહી નીકળવા લાગતા મારો દીકરો અનીલ ત્યાથી ભાગી ગયો હતો અને મારો દીકરો અજય મને રીક્ષામા બેસાડીને સિવિલ હોસ્પીટલ ખાતે લઇ ગયો હતો સારવાર લીધા બાદ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયુબેલી ચોકી સામે દુકાનમાં બાકોરું પાડી બે તસ્કરો 25 હજાર ચોરી ગયા
રાજકોટની જયુબેલી પોલીસ ચોકી સામે આવેલ મહાદવ પેન ડેપોમાંથી 25 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે ભોમેશ્વર પ્લોટમાં રહેતા પ્રદીપભાઈ અમરશીભાઇ પરમારએ બે અજાણ્યા તસ્કરો સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 22 તારીખે સવારે હું દુકાને આવ્યો ત્યારે તાળું ખોલીને જોયું તો ઈંટો જોવા મળી હતી અને તિજોરી પણ તૂટેલી હતી દીવાલમાં બાકોરું હતું અને સમાન વેર વિખેર હતો ચેક કરતા તિજોરીમાંથી 1,2, અને 5ના 15 હજારના સિક્કા અને 10 હજારની રોકડ સહીત 25 હજારની રોકડ ગાયબ હતી સીસીટીવી ચેક કરતા બે અજાણ્યા તસ્કરો રાત્રે દીવાલમાં બાકોરું પાડીને પ્રવેશ કરતા દેખાતા હોય ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
કુખ્યાત હિસ્ટ્રીશીટર દિકુડો ત્રીજી વખત પાસામાં ધકેલાયો
રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં મારામારીના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન પ્રિતેશ ઉર્ફે દિકુડો ગોટેચાને ત્રીજી વખત પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. રાજકોટ ભક્તિનગ પોલીસ મથકના પીઆઇ પરમાર દ્વારા આરોપી પ્રિતેશ ઉર્ફે દિકુડો ગોટેચા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ મંજૂરી આપતા ભક્તિનગર પોલીસે આરોપી પ્રિતેશ ઉર્ફે દિકુડાની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી વિરુધ્ધ અગાઉ મારામારી અને ચોરી સહિતના કુલ 17 ગુના નોંધાઈ ચુક્યા છે તેમજ બે વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જુગારના 3 દરોડામાં 4 મહિલા સહીત 13 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પ્રનગર પોલીસ મથકના તૌફિકભાઈ મંઘરા, ચાંપરાજભાઈ ખવડ સહિતના સ્ટાફે બાતમી આધારે સિંધી કોલોની પરસાણાનગર નાલા પાસે દરોડો પાડી જુગાર રમતા સંજય ધનજીભાઈ વાઘેલા, ગોપી ભગુભાઈ મેરાણ અને હરેશ નારણભાઇ વાઘેલાની ધરપકડ કરી 1080 કબ્જે કર્યા છે તેમજ પીએસઆઈ એ પી રતન, ભગીરથસિંહ રાણા સહિતના સ્ટાફે બાતમી આધારે પોપટપરામાં દરોડો પાડી જુગાર રમતા રાજુ ધરમશીભાઈ ગેડાણી, રવિ બીજલભાઈ લાલવાણી, નિલેશ દેવજીભાઈ વાવેચા, અમિત મુનાભાઇ રાઠોડ અને અજય ધનજીભાઈ પાટડીયાની ધરપકડ કરી 12,400 કબ્જે કર્યા છે તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકના રવિભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી સહિતના સ્ટાફે બાતમી આધારે ઘંટેશ્વર 25 વારિયામાં દરોડો પાડી જુગાર રમતા ગીતાબેન અરવિંદભાઈ મકવાણા, પિન્કીબેન સવજીભાઈ નકુમ, આરતીબેન વિકીભાઇ વાહનીકીયા, રજિયાબેન સરીફભાઇ પમા અને બબરસીંગ સજશેરસીંગ રાજુનીની ધરપકડ કરી 12,300 કબ્જે કર્યા છે.
રામનાથપરામાંથી દારૂના 240 ચપલા સાથે બુટલેગર બેલડી ઝડપાઇ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઉમેશભાઈ ચાવડા, વિશાલભાઈ દવે અને દિલીપભાઈ બોરીચાને મળેલી બાતમી આધારે રામનાથપરામાં આવેલ ચિસ્તીયા એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી 32,400 રૂપિયાના દારૂના 240 ચપલા સાથે ફિરોજ હાજીભાઇ સોઢા અને મોરબી રોડ ગોપાલ રેસિડેન્સીમાં રહેતા રાજેશ ઉર્ફે ભોપલો કિશોરભાઈ ચાવડા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી પકડાયેલી બેલડી પૈકી ફિરોજ સામે દારૂના બે ગુના અને રાજેશ સામે હત્યા, દારૂ સહીત 7 ગુના નોંધાઈ ચુક્યા છે.
પાટીદાર ચોકમાં સ્કૂટર સ્લીપ થતા વૃદ્ધ મ્યુઝિક ટીચરનું મોત
રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક પાટીદાર ચોકમાં સ્કૂટર સ્લીપ થતા મ્યુઝિક ટીચર 69 વર્ષીય વૃદ્ધનુ મોત નીપજ્યું હતું. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોકમાં વેસ્ટ વ્યુમાં રહેતા મિલનભાઈ શશીનભાઈ વ્યાસ ઉ.69 આજે સવારે 11.30 વાગ્યાં આસપાસ પોતે એક્ટિવા લઈને જતા હતા ત્યારે ઘર નજીક પાટીદાર ચોક પાસે અચાનક સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું. જેમાં મિલનભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં ફરજ પર રહેલા તબીબોએ વૃદ્ધને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મિલનભાઈનો એક પુત્ર મુંબઈ રહેતો હોય તેને જાણ કરાઈ હતી યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી મિલનભાઈ ઇન્દિરા સર્કલ પાસે પોતાના મ્યુઝિક ક્લાસીસ ચલાવતા હતા. તેઓ મ્યુઝિક ટીચર હતા બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.




