સોમવારે મનપાની જનરલ બોર્ડ સાંજે 05.40 કલાકે પૂર્ણ થઇ, ૬3 પ્રશ્ન પૂછવામાં આવ્યા
ઓનલાઈન ફરિયાદનો આડેધડ થતો નિકાલ હવે અશક્ય, અરજદાર અધિકારીને ઓટીપી આપશે તો જ ફરિયાદનું નિરાકરણ થયું ગણાશે
- Advertisement -
મનપામાં જનરલ બોર્ડની સમયમર્યાદા એક માસની કરવામાં આવી છે જે અંતર્ગત પ્રથમ બોર્ડ બોલાવવામાં આવેલા જેમાં બન્ને પક્ષના કોર્પોરેટરો દ્વારા 63 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, મનપાના બોર્ડમાં એક લોકઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે દર્દીઓને શટલ બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે એઈમ્સની માહિતી સાથેના હોર્ડિંગ્સ લગાવી લોકોને જાણકારી પૂરી પાડવામાં આવશે. જેના માટે નવી 100 સિટી બસ આવ્યા બાદ અથવા નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું. ગત માસે પૂછાયેલા પ્રશ્નો માટે અધિકારીઓએ આપેલ ખાતરીનો રિવ્યૂ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે સભ્યોમાં નારાજગી જોવા મળી હતી, છતાં શહેરીજનોની વર્ષો જૂની સમસ્યા કે ફરિયાદોની ચોપડે કામગીરી બતાવી કામ ન થયું હોય તો પણ એસએમએસ મારફતે ફરિયાદ સોલ્વ થયાનો મેસેજ આવતો હતો તે હવે બંધ થયો છે. હવેથી ફરિયાદી ખાતરી કરી ઓટીપી આપશે તો જ ફરિયાદ સોલ્વ થયાનો મેસેજ અધિકારી દ્વારા મોકલવામાં આવશે જેના કારણે હવે ફરજિયાત લોકોની ફરિયાદ સોલ્વ કરવી પડશે. કોર્પોરેટરોએ રાજકોટ શહેરની જનતાને લાગુ પડે તેવા પ્રશ્નોના બદલે પોતાના વોર્ડના અને સોસાયટીના વધુ પ્રશ્નો પૂછી બોર્ડનો સમય બરબાદ કર્યો હતો અને બોર્ડની કાર્યવાહી 05.40 વાગ્યે પૂર્ણ કરી એજન્ડાની ચાર દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
કોર્પોરેટરો દ્વારા 63 પ્રશ્ન પૂછવામાં આવ્યા અને તમામના જવાબ આપવા માટે બોર્ડ સાંજ સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું. બોર્ડમાં મોટે ભાગે સ્વચ્છતા સબંધિત વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ ગેરકાયદેસર ચિકન-મટનના હાટડાઓ તથા પેચવર્કનો ખર્ચ અને હોકર્સ ઝોન અને જંગલેશ્વર ડિમોલિશન સહિતના મુદ્દાઓ કરવામાં આવી ત્યારે મ્યુનિ. કમિશનરે જંગલેશ્વર ડિમોલિશનનો હિસાબ રજૂ કરી ખોટું ક્યાંય નથી થયું છતાં કોઈ અધિકારીએ કૌભાંડ કર્યું હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જ્યારે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે કંટ્રોલ સરવે કરી માસ્ટર પ્લાન બનાવી કામગીરી કરવી જોઈએ તેમ જણાવ્યું છે. તેમજ સ્પીડબ્રેકરોની સાઇઝ બાબતે સવાલો ઉઠાવી એક સરખા સ્પીડબ્રેકરો કેમ નથી બનતા તેમ જણાવ્યું હતું, છતાં વધુ પડતા પેટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ પેટા પ્રશ્નોમાં મોટાભાગના કોર્પોરેટરોએ પોતાના વોર્ડના અને સોસાયટીને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તો અમુક કોર્પોરેટરોએ અગાઉ અનેક વખત પૂછાયેલા પ્રશ્નો પૂછી બોર્ડનો સમય બરબાદ કર્યો હતો.
સર્કલ અને બ્રિજનું નામકરણ
શહેરના વોર્ડ નં.૩માં પોપટપરા સ્મશાનની સામે, પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત E.W.S.-2 કેટેગરીની બનાવવામાં આવેલ જુદી-જુદી આવાસ યોજના ટાઉનશિપનું જનકભાઈ કોટક નામકરણ તથા વોર્ડ નં.10માં કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ક્રોસ સિદ્ધિ વિનાયક ગણપતિ રાજાના મંદિરની સામે આવેલ માર્ગનું નામકરણ તથા વોર્ડ નં.11માં મવડી ગામથી રામધણ આશ્રમ રોડ પર સાવન એપાર્ટમેન્ટ સામેના ચોકનું પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા નામકરણ અને વોર્ડ નં.2માં જામનગર રોડ ઉપર નવનિર્મિત 4-લેન રેલવે ફ્લાય ઓવરબ્રિજનું નામકરણ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
- Advertisement -
ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુક કેમ નહીં
ગેરકાયદેસર બાંધકામો માટે ટીપી વિભાગ દ્વારા સરવે કરવામાં આવતો હોય છે અને આસામીઓને નોટિસ આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારના બાંધકામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવતું હોવાથી તેમા છેડછાડ થવાની સંભાવના રહે છે. આથી સરર્વે દરમિયાન તમામ ગેરકાયદેસર બાંધકામો માટે મિનિટ્સ બુકની નિભાવણી કરવી જોઈએ તેમ ભાજપના કોર્પોરેટરે મેયરને રજૂઆત કરી છે.
જવાબ શંકાસ્પદ લાગે તો ઊલટ તપાસ કરવાની છૂટ: મેયર
મનપામાં કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શંકા ઉપજે અને અધિકારીઓ સાચો જવાબ ન આપતા હોય ત્યારે કોર્પોરેટરને આ પ્રશ્નનો અધિકારી પાસેથી સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી ઊલટ તપાસ કરી યોગ્ય જવાબ મેળવવાની મેયરે છૂટ આપી છે.
હોકર્સ ઝોનમાં નોનવેજ અને ચા, પાનના ધંધાર્થી ઊભા નહીં રહી શકે
મનપાના બોર્ડમાં હોકર્સ ઝોનમાં થતા ઉઘરાણા અને નવા હોકર્સ ઝોન મુદ્દે ચર્ચા થયા બાદ ભાજપના કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા હતા કે, હોકર્સ ઝોનમાં નોનવેજ, ઈંડાં, ચા, અને પાનના ધંધાર્થીઓને જગ્યા ફાળવવામાં આવતી નથી તો આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે. મેયરની સૂચના બાદ હવે હોકર્સ ઝોનમાં નોનવેજ અને ચા પાનના ધંધાર્થી ઊભા નહીં રહી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે.




