સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂનાં આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયાનો વળતો પ્રહાર : વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યુ
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ સંજય પીપળીયાના અધ્યક્ષસ્થાને એક ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતની બાકી રહેલી વિવિધ કુલ 8 જેટલી મહત્વની સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ નવી સમિતિઓની રચના થવાથી જિલ્લાની વહીવટી અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળશે. સામાન્ય સભા બાદ સાસણ પ્રશિક્ષણ વર્ગમાં દારૂ પીધો હોવાના આક્ષેપો મામલે પ્રમુખ સંજય પીપળીયા દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. અને આવી ખોટી વાત ફેલાવાને વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયાએ પોતાના પર લાગેલા કથિત આક્ષેપો અંગે ખુલીને નિવેદન આપ્યું હતું. સાસણ ગીર પંથકમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગ દરમિયાન તેમના પર દારૂ પીધા હોવાના જે આક્ષેપો સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા લગાવવામાં આવ્યા હતા, તેને પ્રમુખે સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. તેમણે આ મામલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ માત્ર અને માત્ર વિરોધીઓની ચાલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે તે સમયે આયોજનમાં મારો આખો પરિવાર, ધારાસભ્યો અને આશરે 350 જેટલા કાર્યકરો રૂબરૂ ઉપસ્થિત હતા. હું કોઈપણ પ્રકારની કથિત હાલતમાં ન હતો. આ તમામ બાબતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. મને અને મારી રાજકીય છબીને સમાજમાં બદનામ કરવા હિતશત્રુઓ દ્વારા આ એક મોટી સાજિશ ઘડવામાં આવી છે. જોકે, આવા કોઈ પણ વિરોધ કે ખોટા આક્ષેપો વચ્ચે પણ અમે ડગ્યા વગર સતત લોકોની સેવા કરતા રહીશું.
બીજી તરફ, ચોમાસાની ઋતુ અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું હતું કે જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી અને જળાશયો માટે હજુ વધુ વરસાદની જરૂર છે. ચોમાસા દરમિયાન ખરાબ થયેલા રોડ-રસ્તાના મામલે તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ અગવડતા પડે નહીં તે અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું નાગરિકો ચુસ્તપણે પાલન કરે અને કટોકટીના સમયે એકબીજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.
આ બેઠકમાં માત્ર સમિતિઓની રચના ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2022-23થી વર્ષ 2025-26 દરમિયાન મંજૂર થયેલા વિવિધ વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કુલ 86 કામો સમયસર પૂર્ણ કરી શકાય તે માટે 31-03-2027 સુધીનો મુદત વધારો આપવાનો મોટો નિર્ણય લેવાયો હતો. આ 86 કામોમાં વર્ષ 2022-23ના 15 કામો, વર્ષ 2023-24ના 3 કામો, વર્ષ 2024-25ના 15 કામો અને વર્ષ 2025-26ના 59 કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જૂન-2025માં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન ટેકનિકલ રીતે સમરસ થયેલી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપતો અભિનંદન પ્રસ્તાવ સભામાં રજૂ કરાયો હતો. સરકારની સમરસ ગ્રામ યોજના હેઠળ સર્વસંમતિથી ચૂંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઈ મુજબ, રાજકોટ જિલ્લાની આવી ટેકનિકલ સમરસ થયેલી 7 ગ્રામ પંચાયતો માટે રાજ્ય સરકાર તરફથી રૂ. 34.75 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવનાર તમામ 7 ગ્રામ પંચાયતોના સરપંચોને સામાન્ય સભામાં પ્રોત્સાહક અનુદાનની રકમ એનાયત કરી અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર જિલ્લામાં નાણાપંચની ગ્રાન્ટના કામો 100% પૂર્ણ કરનારા અન્ય 3 સરપંચોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
બીજા એક મહત્વના પ્રસ્તાવમાં, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવા માટે અમલમાં મૂકાયેલી ‘MAIN_KEY_START મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાMAIN_KEY_END’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ નિબંધ સ્પર્ધા અને શ્રેષ્ઠ વક્તૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ગ્રામ્ય વિસ્તારના કુલ 66 વિદ્યાર્થીઓની પ્રોત્સાહન ઈનામ માટે પસંદગી કરવામાં આવી છે અને તેના માટે કુલ રૂ. 5,60,000ની ગ્રાન્ટ ફાળવાઈ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર 6 વિદ્યાર્થીઓને જિલ્લા કચેરી ખાતેથી તેમજ તાલુકા કક્ષાના વિજેતાઓને તાલુકા મથકેથી પુરસ્કાર રાશી એનાયત કરવામાં આવશે. તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત વતી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરતો પ્રસ્તાવ સભામાં મંજૂર કરાયો હતો.
આ સાથે જ, જસદણની વિખ્યાત અને ભવ્ય હસ્તકલા ‘જસદણ પટારી’ને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત GI ટેગ (Geographical Indication) મળવા બદલ સભામાં ભારે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જસદણની આ વર્ષો જૂની વિરાસત, લાકડા અને તાંબા-પિત્તળના અદ્ભુત મીનાકારી કામને વૈશ્વિક ઓળખ મળવી એ સમગ્ર જિલ્લા અને ગુજરાતની સંસ્કૃતિ માટે ખૂબ ગૌરવની બાબત છે. આ ઐતિહાસિક સિદ્ધિથી સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મોટો વેગ મળશે, જેથી આ જીવંત વારસાને સાચવી રાખનાર તમામ કલાકારો, કારીગરો અને નગરજનોને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
વિવિધ 8 સમિતિઓ અને નવ નિયુક્ત ચેરમેનોની યાદી
1) કારોબારી સમિતિ ચેરમેન : નરશીભાઈ શંભુભાઈ સોજીત્રા
2) સામાજીક ન્યાય સમિતિ ચેરમેન : જગદીશભાઈ દેવજીભાઈ પરમાર
3) શિક્ષણ સમિતિ ચેરમેન : નીલેશભાઈ અમરશીભાઈ હીરપરા
4) આરોગ્ય સમિતિ ચેરમેન : વિલાસભાઈ વલ્લભભાઈ ઢાંકેચા
5) બાંધકામ સમિતિ ચેરમેન : ભારતીબેન મજબુતભાઈ હુંબલ
6) અપીલ સમિતિ : ચેરમેન સંજયભાઈ પોલાભાઈ પીપળીયા
7) મહિલા અને બાળવિકાસ સમિતિ ચેરમેન : કુંદનબેન વિજયદાન માવલ
8) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન : દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા



