વેરાવળના જુના રબારીવાડા સ્થિત પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિરે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ માનસિંહ પરમારનું સન્માન કરાયું. આ કાર્યક્રમ મંદિરના મહંત કલ્પેશબાપુ, તેમના પરિવારજનો અને વોર્ડ નં. 10ના ભાજપ કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત જાગનાથ મહાદેવના પૂજન-અર્ચનથી થઈ હતી. સાંસદ માનસિંહ પરમારે મંદિરમાં વિશેષ પૂજા કરી મહાદેવના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમના હસ્તે મંદિર પરંપરા મુજબ ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મહંત કલ્પેશબાપુએ સાંસદ માનસિંહ પરમારનું શાલ, પુષ્પહાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પણ સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે, રાજ્યસભામાં ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવાની જવાબદારી માનસિંહ પરમાર પર છે. તેમના અનુભવ અને સંગઠનાત્મક કાર્યશૈલીનો લાભ પ્રદેશને મળશે તેવી આશા વ્યક્ત કરાઈ. આ કાર્યક્રમમાં ભાજપના વેરાવળ-પાટણ શહેર પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, શહેરના બંને મહામંત્રીઓ, ભાજપના આગેવાનો, કાર્યકરો, સમાજના અગ્રણી નાગરિકો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત કલ્પેશબાપુ દ્વારા શૈલેષભાઈ મેસવાણિયાનું પણ સન્માન કરાયું.ધાર્મિક વિધિઓ, સન્માન સમારોહ અને શુભેચ્છા સંદેશાઓ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. જાગનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ અભિવાદન સમારોહે ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો.




