રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં પણ કૌભાંડ કર્યાની આશંકા
કૌભાંડની આશંકાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી
- Advertisement -
એક તરફ જંગલેશ્વરનું ડિમોલેશન ચાલતું હતું તો બીજી તરફ અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ કાજુકતરી ખાઈ રહ્યા હતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને લગતા વિવિધ આઇટમો પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કમિટી દ્વારા કુલ 2.04 કરોડની રકમના કામોને બહાલી આપવામાં આવી છે. બીજી તરફ જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ માટે નાસ્તા અને જમવાના ખર્ચની 27 લાખના ખર્ચની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ડિમોલિશન દરમિયાન કરાયેલી વ્યવસ્થા મુજબ ચા કોફી, બિસ્કિટ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, વેફર્સ, ગાંઠિયા, જલેબી, પૌઆ, અને સ્પેશ્યલ લંચ ડીસ તેમજ મસાલા છાશ પાછળ થયેલા રૂ. 27,20,946નો ખર્ચ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી.
- Advertisement -
ડિમોલિશનના અલગ અલગ દિવસો દરમિયાન 21,310 કપ ચા બિસ્કિટ, ઉપરાંત 150 નંગ કાજુ કતરી, ખજૂર રોલ ખમણ સમોસા, વેફર્સ 50 નંગ ગાંઠિયા જલેબી, પૌઆ, 360 નંગ બ્રેક ફાસ્ટ, લંચ મળીને રૂ. 6,30,946નો ખર્ચ થયો હતો. જ્યારે તો 21 થી તા. 27 ફેબ્રુઆરી દરમિયાન પ્રેમવતીમાંથી 13390 ડીસ સ્પેશ્યલ લંચ અને મસાલા છાશ તેમ ચાર હજાર નંગ લીંબુ આદુ સરબત બોટલ સહિત કુલ રૂ.20,68,500નો ખર્ચ થયો હતો. આ બન્ને મળીને કુલ રૂ. 27,20,946નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રૈયા STP ના મેઇન્ટેનન્સ (૧,૯૮,૧૬,૬૧૭/-), સોમનાથ સ્વાભિમાન પર્વ ખર્ચ (૪,૪૯,૯૭૫/-), પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ લોકાર્પણ ખર્ચ (₹૧,૬૫,૨૯૨/-) અને એપ્રેન્ટિસ તાલીમાર્થીઓના એલાઉન્સ (૨૧,૦૦૦/-) સહિતના અન્ય તમામ મહત્વના વિકાસ કાર્યોના બિલોને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠકના અંતે અધ્યક્ષસ્થાનેથી વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવા માટે એક મોટો નિર્ણય લેવાયો હતો. સરકારી કે જાહેર કાર્યક્રમો પૂર્ણ થયા બાદ બિલોના ચૂકવણામાં થતા વિલંબના નિરાકરણ માટે મોટો વહીવટી સુધારો સૂચવવામાં આવ્યો છે.હવેથી કોઈપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, તેના બિલોના સમયસર અને ઝડપી નિકાલ માટેની દરખાસ્તો (પ્રોપોઝલ) યોગ્ય સમયમર્યાદામાં જ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે, જેથી બિનજરૂરી વહીવટી વિલંબને ટાળી શકાય.
સંવેદનશીલ વાતાવરણ વચ્ચે મોંઘી મીઠાઈઓ ખાવાની શું જરૂર પડી?: પરેશ પીપળીયા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આવા સંવેદનશીલ વાતાવરણ વચ્ચે અધિકારીઓને આવી મોંઘી મીઠાઈઓ ખાવાની શું જરૂર પડી? આ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર કે કૌભાંડ અંગે તેમણે જણાવ્યું કે પુરાવા આવ્યા બાદ જ ચોક્કસ કહી શકાશે. આ દરખાસ્ત TP શાખા દ્વારા આરોગ્ય વિભાગને અને ત્યાંથી કમિશનર મારફત કમિટી સમક્ષ આવી હતી.




