તેલની કંપનીઓની ચાલાકી ખતમ : સરકાર કડક નિયમ જાહેર કર્યા
ખાવાનું તેલ ખરીદતી ગ્રાહકો હવે તુલના કરીને ફાયદાનો સોદો કરી શકશે
- Advertisement -
નવા નિયમોનું પાલન કરવા માટે ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 3 મહિનાનો સમય અપાયો
ખાસ ખબર ન્યૂઝ દિલ્હી
ભારત સરકાર દ્વારા ખાદ્ય તેલના વેચાણને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી દેશમાં ખાદ્ય તેલ માત્ર સરકાર દ્વારા નિર્ધારિત કરેલી ચોક્કસ (સ્ટાન્ડર્ડ) સાઈઝના પેકિંગમાં જ વેચી શકાશે. ગ્રાહકો અલગ-અલગ બ્રાન્ડના તેલના ભાવની સરળતાથી સરખામણી કરી શકે અને છેતરપિંડીથી બચી શકે તે માટે આ નવો નિયમ લાગુ કરાયો છે. ગ્રાહક બાબતોના વિભાગે 6 જૂન, શનિવારના રોજ આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમોનું પાલન કરવા માટે ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 3 મહિનાનો સમય અપાયો છે. અત્યાર સુધી બજારમાં ખાદ્ય તેલ વિચિત્ર સાઈઝના પેકિંગમાં વેચાતું હતું, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે એ સમજવું મુશ્કેલ હતું કે કઈ બ્રાન્ડનું તેલ ખરીદવું વધુ ફાયદાકારક છે. કંપનીઓની આ પ્રાઈસિંગ ટેક્ટિક્સ (ભાવ નક્કી કરવાની વ્યૂહનીતિ) પર રોક લગાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. હવે સમાન કદના પેકિંગ હોવાથી ગ્રાહકો સીધી રીતે જ કિંમતોની સરખામણી કરી શકશે. આ નિયમ દેશમાં ઉત્પાદિત થતા તેમજ વિદેશથી આયાત કરાતા ખાદ્ય તેલ પર સમાન રીતે લાગુ થશે. તેમાં પામ ઓઇલ, સોયાબીન, સનફ્લાવર, સરસવ (મસ્ટર્ડ), સિંગતેલ (ગ્રાઉન્ડનટ), તલ, રાઇસ બ્રાન, કપાસિયા (કોટન સીડ), મકાઈનું તેલ તેમજ બ્લેન્ડેડ એડિબલ ઓઇલનો સમાવેશ થાય છે.
- Advertisement -
ગ્રાહક બાબતોના વિભાગે આ નિર્ણય લેતા પહેલા દેશના ખાદ્યતેલ ક્ષેત્રના આશરે 90% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એસોસિએશનો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ઈન્ડિયન વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિયેશને પણ આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે, ‘આ નિર્ણયથી રિટેલ બજારની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને તમામ કંપનીઓ માટે સમાન તકો ઊભી થશે. છેલ્લા ત્રણ વર્ષથી બિન-સ્ટાન્ડર્ડ પેકિંગના કારણે બજારની સ્થિતિ બગડી હતી અને ગ્રાહકોમાં ભારે મૂંઝવણ ઊભી થતી હતી, જેનો હવે અંત આવશે.’
સરકારે નક્કી કરેલા 9 સ્ટાન્ડર્ડ સાઈઝ
નવા નિયમ મુજબ, હવેથી ખાદ્યતેલ માત્ર નીચે મુજબના 9 નિર્ધારિત પેકિંગ કદમાં જ ઉપલબ્ધ કરાવી શકાશે. જેમ કે, 200, 500 મિલી/ગ્રામ, 1, 2, 3, 4, 5 લિટર/કિલોગ્રામ, 15, 20 લિટર/કિલોગ્રામ. જો કે, ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને પરવડે તેવા નાના પાઉચ મળી રહે તે માટે 200 મિલીના નાના પેકિંગ અને કેટલાક ગૌણ ખાદ્ય તેલોને આ નિયમમાંથી મુક્તિ અપાઈ છે.
વોલ્યુમની સાથે વજન લખવું કેમ ફરજિયાત કરાયું?
જે પેકિંગ પર માત્ર વોલ્યુમ (મિલી કે લિટર) લખેલું હશે, તેના પર તેનું વજન (ગ્રામ કે કિલોગ્રામ) પણ દર્શાવવું ફરજિયાત રહેશે. જેમ કે, કોઈ વાસણમાં 1 લિટર તેલ માપીને લઈએ અને પછી તે વજનના કાંટા પર મૂકીએ, તો તેનું વજન 1 કિલો નહીં પણ આશરે 910 થી 920 ગ્રામ જેટલું જ થાય. એટલે સરકારે નિયમ કર્યો છે કે જો કંપની પેકેટ પર ‘1 લિટર’ (વોલ્યુમ) લખે, તો તેની બાજુમાં કૌંસમાં ફરજિયાત લખવું પડશે કે ‘નેટ વજન: 910 ગ્રામ’.




