ગિર-સોમનાથના જગતિયા ગામે કુદરતનો ચમત્કાર
કોડીનારથી 12 કિલોમીટર દૂર શેઠ જગડુશાના આશ્રમમાં જમીનમાંથી નીકળતા કુદરતી ગેસ પર બને છે રસોઈ, છતાં જ્વાળા દઝાડતી નથી!
- Advertisement -
હરસિધ્ધિ માતાજીના વરદાનની લોકવાયકા ધરાવતી અદ્ભૂત જગ્યા: અખંડ જ્યોત પર પ્રગટાવવા છતાં ચલણી નોટો સળગ્યા વગર આખી નીકળે છે
ગિર સોમનાથ જિલ્લાનાં કોડીનારથી બાર કિલોમીટરના અંતરે જગતિયા ગામ આવેલું છે. જગતિયા ગામે આવેલા શેઠ જગડુશાના આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય જોવા મળે છે. દાયકાઓ પહેલાથી આ સ્થળ પર જમીનમાંથી જ્યોત નીકળે છે. આશ્રમમાં ચાલતી અખંડ જ્યોત ક્યાંથી અને કેવી રીતે થાય છે તેના સંશોધન માટે ઘણા વૈજ્ઞાનિકો આવી ગયા છે પરંતુ અફસોસ તેમને કાંઈ હાથ લાગ્યું નથી.
કોડીનાર નજીકના જગતિયા ગામ પાસે શેઠ જગડુશાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે. આ ગેસ સળગે છે છતાં આ ગેસની જ્વાળા દઝાડતી નથી. અહીં હરસિધ્ધિ માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંના શેઠ જગડુશાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે.
કોડિનાર આસપાસનાં લોકો તો આ જગ્યાથી વાકેફ છે પરંતુ દૂરનાં પર્યટકો આ જગ્યાથી અજા છે. આ સ્થળ રમણીય અને પર્યટનીય તો છે જ પરંતુ આ જગ્યાની વિશિષ્ટ ખાસિયત એ છે કે અહીંની જમીનમાં કુદરતી ગેસનો ભંડાર આવેલો છે. સેંકડો વર્ષોથી અહીંની જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. જે ગેસનો ઉપયોગ અહીં જગ્યા પૂરતો ચા બનાવવા તેમજ રસોઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગિર સોમનાથનાં જગતિયા ગામે આવેલી શેઠ જગડુશાની જગ્યાનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. અહીં શેઠ જગડુશા અને હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. નાનકડો આશ્રમ પણ છે. જ્યા સાધુ સંતો આવીને રોકાઈ શકે છે. અહીંથી નીકળતા ગેસનો ઉપયોગ માત્ર આ જગ્યા પૂરતો જ કરી શકાય છે તેવી માન્યતા પ્રવર્તે છે. અહીં દર્શનાર્થે આવતા લોકો પોતાની સાથે લાવેલા સામાનમાંથી ભોજન પ્રસાદ અખંડ જ્યોત પર બનાવીને ગ્રહણ કરી ધાર્મિક આસ્થા સાથે અખંડ જ્યોતનું પૂજન પણ કરે છે.
1921માં અંગ્રેજ ઈજનેરે સંશોધન માટે 3થી 7 બોર કરેલા
- Advertisement -
જ્યોત હાથ વડે ઠારવા છતાં દઝાતું નથી એ જ અહીંનું સત છે. હિમાલયમાં રહેલા જ્વાલાજીની જ્યોત સાથે આ જ્યોતને સરખાવવામાં આવે છે. થોડા વર્ષ પૂર્વે આ વિસ્તારમાં 70 ઇંચ જેટલો વરસાદ થયેલો ત્યારે પણ આશ્રમમાં કેડસમા પાણીમાં આ જયોત પ્રગટતી હતી. 1921માં સયાજીરાવ ગાયકવાડના વખતમાં અંગ્રેજ ઈજનેર કેપ્ટન પાર્મરે આ જગ્યાના સંશોધન માટે 3થી 7 બોર કર્યા હતા. તેમને આ જમીનમાંથી ગેસ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને જેટલો ગેસ જોતો હતો તેટલો મળ્યો નહોતો. ત્યારબાદ સરકારી એજન્સીઓએ પણ પ્રયત્ન કરી જોયા પણ તેઓ નિષ્ફળ રહ્યા. કહેવાય છે કે, આ જ્યોત અને તેના ગેસને આશ્રમ બહાર લઈ જઈ શકાતું નથી.
શેઠ જગડુશા આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય
જગતીયા ગામનાં શેઠ જગડુશા આશ્રમ ખાતે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને પોતપોતાની આસ્થાથી કોઇ પણ બીમારીને દૂર કરવા માનતાઓ માને છે. માનતા પૂર્ણ થતા આસ્થા અનુસાર જ્યોતમાં જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે. શેઠ જગડુશાની જગ્યામાં સાક્ષાત હરસિધ્ધિ માતાજી બિરાજમાન છે. અહીં મહાલક્ષ્મીની પણ કૃપા છે. શ્રદ્ધાળુઓ આ જ્યોત પર ચલણી નોટો રાખીને જ્યોત પ્રગટાવે છે. થોડીવાર પ્રગટેલી જ્યોત નીચેથી ચલણી નોટ સહેજ પણ સળગ્યા વગર આખી નીકળે છે.



