હરિયાળું રાજકોટ – સ્વચ્છ રાજકોટના સંકલ્પ સાથે ત્રણેય ઝોનમાં જનજાગૃતિ અને વૃક્ષારોપણનો ભવ્ય પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા રાજકોટના સંકલ્પને સાકાર કરવા માટે શહેરના ત્રણેય ઝોનના તમામ વોર્ડ વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા 18 મોકાના સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પર્યાવરણ જાળવણી, હરિયાળી વધારવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ શહેરના વિવિધ જાહેર સ્થળો, બગીચાઓ, ખુલ્લી જગ્યાઓ, માર્ગ કિનારા તેમજ અન્ય યોગ્ય સ્થળોની પસંદગી કરીને સઘન વૃક્ષારોપણ કરાયું હતું.
આ અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્ષ સ્થિત કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડન, જામનગર રોડ પર વોરા સોસાયટી, રેલનગરમાં વુમેન પ્લાન્ટેશન પ્લોટ, કરણપરા ચોકમાં નરેન્દ્રકુવરબા સ્કુલ, સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર ગાર્ડન, 80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલ તેમજ કોઠારીયા રોડ પર ખોડિયાર સોસાયટી ગાર્ડન અને હુડકો સોસાયટી ખાતે વાવેતર થયું હતું. જ્યારે વેસ્ટ ઝોનમાં અટલ સરોવર રોડ પર સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સાઇટ, વોર્ડ નં. 8 ની ઓફિસ સામે સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે, સાધુ વાસવાણી રોડ પર ન્યુ બાલમુકુન્દ ગાર્ડન, યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન, જેટકો ચોકડી પાછળ 48 એવેન્યુ પ્લોટ અને મવડી 40 ફૂટ રોડ પાસે ન્યુ આકાશદીપ ગાર્ડન ખાતે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઈસ્ટ ઝોનમાં મોરબી રોડ સેટેલાઈટ ચોક, કેયૂર પાર્ક પાર્કિંગ પ્લોટ, ભાવનગર રોડ પર પુજીત રૂપાણી ટ્રસ્ટ બાળક્રીડાગણ, આજીડેમની બાજુમાં રામવન, કોઠારીયા રોડ નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના સિમેન્ટ રોડ અને કોઠારીયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ ભગીરથ કાર્યક્રમમાં ધારાસભ્ય, વોર્ડ કમિટીના સભ્યો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વહસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. મહાનુભાવોએ જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા નથી, પરંતુ હવામાન પરિવર્તનના પડકારો સામે લડવામાં, વાયુ પ્રદૂષણ ઘટાડવામાં, ભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને ભાવિ પેઢી માટે સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં પણ મહત્વનો ફાળો આપે છે. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણની સાથે સાથે પર્યાવરણ જાળવણી, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, પાણીનું સંરક્ષણ અને સ્વચ્છતા જાળવવા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.



