બીમાર સિંહોની તાત્કાલિક સારવાર અને રોગચાળાને નિયંત્રિત કરવા તાકીદે પગલાં લેવા માંગ: વન સ્ટાફ માટે ’ફિલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલ’ અમલી કરવા સૂચન
એક જ વિસ્તારમાં વધુ સિંહો બીમાર પડે તો ’હાઈ એલર્ટ’ જાહેર કરવા વિનંતી: વાયરસનું સંક્રમણ અટકાવવા આસપાસના ગામોમાં કૂતરાઓનું રસીકરણ કરવા પર ભાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (ઈઉટ) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ એશિયાઈ સિંહોના મૃત્યુ અંગે રાજ્યસભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિદ્ધ સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના અકાળે થતા મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત વન્યજીવોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને સંક્રમણને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખીને ખાસ વિનંતી કરી છે. પરિમલ નથવાણીએ સિંહોના મૃત્યુને અત્યંત ચિંતાજનક બાબત ગણાવી ઉમેર્યું હતું કે, “મને પૂર્ણ વિશ્વાસ છે કે ગિર નેશનલ પાર્ક મેનેજમેન્ટ તથા સરકારનો વન વિભાગ આ મુદ્દે પૂરતી સતર્કતા અને કાળજી રાખી રહ્યું હશે, તેમજ સિંહોના મૃત્યુ અટકાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે દિવસ-રાત કાર્યરત હશે.” તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ગિર અને બૃહદ્ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોની વધતી વસતિ સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઈઉટ તથા બેબીસીયા જેવા રોગો સિંહોની વસતિ માટે ગંભીર પડકારરૂપ બની શકે છે. આ વાયરસના વહેલા નિદાન, ઝડપી પ્રતિસાદ અને અસરકારક નિયંત્રણ માટે ફિલ્ડ સ્તરે સુવ્યવસ્થિત અવલોકન અને રિપોર્ટિંગ વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવી અનિવાર્ય છે.
ઈઉટનું સંક્રમણ સામાન્ય રીતે કૂતરાઓ મારફતે ફેલાવાની શક્યતા વધુ રહેતી હોવાથી, પરિમલ નથવાણીએ લાંબા ગાળાના ઉપાયો પર ભાર મૂક્યો છે. આ અંતર્ગત ગિર જંગલની આસપાસના રેવન્યુ ગામોના કૂતરાઓનું મોટા પાયે રસીકરણ કરવું, ટિક નિયંત્રણ કાર્યક્રમ ચલાવવો, નિયમિત આરોગ્ય મોનીટરીંગ, ઝડપી લેબ ડાયગ્નોસ્ટિક વ્યવસ્થા ઊભી કરવી અને ફિલ્ડ સ્ટાફ માટે વિશેષ તાલીમ કાર્યક્રમો યોજવાના સૂચનો પત્રમાં કરાયા છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે બેબીસીયા જેવી સ્થિતિમાં સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી ઈઉટ જેવો વાયરસજન્ય ચેપ વધુ ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે, તેથી વન વિભાગે બંને રોગોને એકબીજા સાથે સંકળાયેલા સંયુક્ત જોખમ તરીકે ધ્યાનમાં રાખીને વહેલી તકે વ્યુહરચના ઘડવી જરૂરી છે.



