નામાંકિત સિનર્જી હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં સપડાઈ
પરિવારજનોએ જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કે હોસ્પિટલમાંથી ખસેડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
- Advertisement -
લાખો રૂપિયા લીધા છતાં ટ્રીટમેન્ટ કેમ ન થઈ? પરિવારે હોસ્પિટલના સત્તાધીશો સામે આકરા સવાલો ઉઠાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર અને રાજકોટની નામાંકિત ગણાતી સિનર્જી હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે, જ્યાં હોસ્પિટલ તંત્ર અને તબીબોની ઘોર લાપરવાહીના કારણે એક 42 વર્ષીય આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક તેના વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર કમાતો અને આશાસ્પદ દીકરો હતો. આ અકાળે અવસાનથી રોષે ભરાયેલા પરિવારજનોએ જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કે હોસ્પિટલમાંથી ખસેડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.
આ સામાન્ય દવાની દર્દી પર કોઈ અસર થઈ નહોતી અને ગણતરીના સમયમાં જ તેને છાતીમાં પણ અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. દર્દી આખી રાત છાતીના દુખાવાથી રીબાતો અને તડપતો રહ્યો હોવા છતાં, હોસ્પિટલના કોઈ સિનિયર ડોક્ટરે તેની ગંભીરતા સમજીને મુલાકાત લેવાની તસદી લીધી નહોતી. એટલું જ નહીં, રાત્રે આવેલા અન્ય સગા-સંબંધીઓને પણ દર્દીને મળવા દેવામાં આવ્યા નહોતા. આ આખી રાતની ઘોર ઉપેક્ષા બાદ, સવારે 5:00 વાગ્યે હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારને અચાનક એવું કહીને આંચકો આપવામાં આવ્યો કે, “દર્દીનું હૃદય બંધ થઈ ગયું છે અને તેનું મોત નીપજ્યું છે, તમે તમારા સગા-સંબંધીઓને બોલાવી લો.” પરિવારનો સીધો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલના ડો. કલ્પેશ સાહેબની મોટામાં મોટી બેદરકારી સામે આવી છે, જેમણે કટોકટીના સમયે દર્દીને યોગ્ય ટ્રીટમેન્ટ આપી નહોતી. હોસ્પિટલો દ્વારા સારવાર પેટે લાખો રૂપિયા વસૂલવામાં આવે છે, છતાં કટોકટીના સમયે દર્દીને આવી રીતે ભગવાન ભરોસે કેમ છોડી દેવામાં આવ્યો? તેવા આકરા સવાલો પરિવારે ઉઠાવ્યા છે. હાલ મૃતક યુવકના પરિવારજનો હોસ્પિટલની બહાર જ ન્યાયની માંગ સાથે અડિંગો જમાવીને બેઠા છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક પગલાં નહીં ભરાય અને તેમને યોગ્ય ન્યાય નહીં મળે, ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાંથી મૃતદેહને એક ઇંચ પણ ખસેડવા દેશે નહીં. આ ઘટનાને પગલે સ્થાનિક વર્તુળોમાં અને સામાન્ય જનતામાં ખાનગી હોસ્પિટલોની આવી જોહુકમી અને લાલિયાવાડી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
- Advertisement -
મારા સાળાને અસહ્ય દુખાવો હતો છતાં સ્ટાફે ધ્યાન ન આપ્યું: મૃતકના બનેવી
મીડિયા સમક્ષ પોતાની આપવીતી અને આક્રોશ ઠાલવતા મૃતક યુવકના બનેવીએ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાંજે 5:00 વાગ્યે દર્દી જ્યારે આઈસીયુ (ICU)ના બેડ પર હતો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં ફરિયાદ કરી હતી કે, “મને માથામાં અને ગરદનના ભાગે અસહ્ય દુખાવો થાય છે.” દર્દી સતત એક કલાક સુધી આ જ તકલીફથી પીડાતો રહ્યો હોવા છતાં હોસ્પિટલનો સ્ટાફ ગંભીર ન થયો અને છેક એક કલાક પછી, એટલે કે સાંજે 6:00 વાગ્યે સારવારના નામે દર્દીને માત્ર એક સામાન્ય દવા (ટીકડી) આપીને સંતોષ માની લેવાયો હતો.



