ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગાંધી અને સુદામાની નગરી પોરબંદરમાં ટૂંકા ગાળામાં જ લોકપ્રિય બનેલા કમલાબાગ પોલીસ મથકના પી.આઈ. આર.સી. કાનમિયાની એન્ટી કરપ્શન બ્યુરો (અઈઇ) માં બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ બેડામાં શક્તિશાળી અને ટેકનોસેવી અધિકારી તરીકે જાણીતા કાનમિયાની વિદાયથી જાગૃત નાગરિકોમાં દુ:ખની લાગણી છે, પરંતુ હવે તેઓ ભ્રષ્ટાચારીઓ સામે જંગ છેડવાના હોવાથી લાંચિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ રાજકોટ, જુનાગઢ, વડોદરા અને દાહોદ ક્રાઇમ બ્રાંચમાં કાબેલિયત સાબિત કરી ચૂકેલા આ અધિકારીએ કમલાબાગ પોલીસ મથકને રાજ્યનું પ્રથમ ’પેપરલેસ’ પોલીસ સ્ટેશન બનાવી ઈતિહાસ રચ્યો હતો. આ બદલ તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે રાજ્યના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનું બિરુદ મળ્યું હતું. રાજકોટમાં બલી ડાંગર જેવા કુખ્યાત શખ્સોને જેલ ભેગા કરનાર કાનમિયાએ પોરબંદરમાં નવરાત્રિ દરમિયાન છેડતી કરનારા તત્વોને ’ગલગોટો’ ટ્રીટમેન્ટ આપી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. વધુમાં, તેમની વ્યૂહરચનાને કારણે કમલાબાગ વિસ્તારમાં પ્રથમવાર હિંસા વગર શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થઈ હતી.



