અમદાવાદમાં સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી ₹2 કરોડની નકલી નોટો મળી
પ્રદીપ ગુરુજી સહિત 6ની ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે.
સુરતમાં 2 કરોડની કરન્સી છાપી, પહેલી ડીલમાં અમદાવાદ આવ્યા ને ઝડપાયા
- Advertisement -
પ્રદિપ જોટાંગિયા સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી ફેક કરન્સી મળી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા, જેમાં યોગગુરૂ પ્રદિપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને હાલ મુકેશ પટેલની અટકાયત કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા છ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની ફેક કરન્સી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે જે અમદાવાદમાં બનાવટી ચલણી નોટનો જથ્થો આપવા માટે આવ્યા હતા.
વિવાદીત પ્રદીપ જોટાંગિયાના મોટી હસ્તીઓ સાથેના ફોટો થયા વાયરલ
પ્રદિપ ગુરુજીને રાજકીય નેતાઓ સાથે પણ સંબંધ હતા તેવું જાણવા મળી રહ્યું છે. કેમ કે ઘણી મોટી હસ્તીઓ તેમજ મોટા નેતાઓ સાથેના તેમના ફોટો સામે આવી રહ્યા છે. પોતે મોટા ભક્ત છે, મોટું નામ છે કોઈ તેમના પર કોઈ શંકા નહી કરે તેવું સમજીને પોતાની ગાડીમાં જ કરોડોની હેરાફેરી કરી રહ્યા હતા.
પ્રદીપની કારમાંથી નકલી નોટો સાથે સનાતન સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરતી ચિન્હવાળી ચરણપાદુકા પણ મળી આવી છે. આ ચરણપાદુકા પર સ્વસ્તિક, ગદા તેમજ દેવી-દેવતાના મુખારવિંદ જોવા મળ્યા છે. જ્યારે કોઈ આ ચરણપાદુકા પહેરે ત્યારે તેના પગનો સ્પર્શ પવિત્ર ચિન્હને થતાં હશે આથી તેને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરતી ચરણપાદુકા કહી શકાય.
પ્રદીપનું રાજકોટ કનેક્શન, અનેક લોકોનું ફુલેકું ફેરવ્યું
નકલી નોટોના જથ્થા સાથે ઝડપાયેલો પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ હેલ્થ સેન્ટરના નામે કલાસ ચલાવતો હતો. હાલ તેનો નાનોભાઈ અમિત જોટાંગીયા યોગ કલાસ ચલાવે છે. કોરોના પહેલા 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે ટ્રાન્સફર થઈ ગયો હતો. રાજકોટમાં પણ અનેક લોકોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.



