આજી કાંઠાનાં 1400થી વધુ દબાણો દૂર થશે
શાળા નં.70 વાળો 80 ફૂટના રોડ પર 500 મકાનોનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરાશે
- Advertisement -
કલાસ1 અધિકારીની દેખરેખમાં એક કંટ્રોલ રૂમ કાર્યરત
વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17ના અધિકરી, સુપરવાઈઝર અને કોન્ટ્રાકટર કામગીરીમાં જોડાશે
21 જેસીબી
- Advertisement -
26 ટ્રેક્ટર
38 ગેસ કટર
18 ટ્રેક્ટર બ્રેકર
150 મજુર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર દબાણો સામે રાજકોટ મહાનગરપાલિકાએ હવે લાલ આંખ કરી છે. આજી નદીના પટ્ટા અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અંતિમ નોટિસ જાહેર કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં જો દબાણદારો પોતે જ બાંધકામ નહીં હટાવે, તો 23 ફેબ્રુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ડીમોલેશન હાથ ધરવામાં આવશે. જો નિયત સમયમાં અમલ નહીં થાય, તો મનપા દ્વારા તા. 23 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનની જવાબદારી જે-તે મિલકતધારકની રહેશે. આજે મનપાના અધિકારીઓએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ દબાણદારોને અંતિમ સૂચના આપી હતી. મનપાના વોટર વર્ક્સ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર ચેતનસિંહ મોરીએ જણાવ્યું હતું કે, કમિશનરના આદેશથી આગામી સોમવારથી જંગલેશ્ર્વર વિસ્તારમાં 15 મીટરના ટી.પી. રોડ પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વિસ્તારના રહીશો અને અસરગ્રસ્તોને અગાઉથી નોટિસો આપી દેવામાં આવી છે. આજે તંત્ર દ્વારા રૂબરૂમાં લોકોને સમજાવવામાં આવ્યા છે કે, જે માર્કિંગ કરવામાં આવ્યું છે (1.5 મીટર કે 1 મીટર), ત્યાં સુધીનું દબાણ તેઓ જાતે જ દૂર કરે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર શહેરના આજી કાંઠા વિસ્તારમાં આવેલા નદીના પટ્ટમાં તેમજ ટીપી રોડ પરના દબાણો દૂર કરવા માટે વિશાળ ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવશે. આજી નદીના પટ્ટા અને ટીપી રોડ પર આવેલા અંદાજે 1400થી વધુ મકાનો અને અન્ય બાંધકામો દબાણમાં આવે છે. એક અંદાજ મુજબ આ કાર્યવાહીથી 10,000 જેટલા લોકોને અસર થશે. સમગ્ર કામગીરીને સાત અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવી છે અને દરેક ભાગ પર કલાસ-1 અધિકારીની સીધી દેખરેખ રહેશે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને નાગરિકોની ફરિયાદો સાંભળવા માટે એક વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાશે. આ કામગીરીમાં અન્ય વિભાગોનો પણ સહકાર લેવામાં આવશે. ખાસ કરીને પીજીવીસીએલ દ્વારા લાઇટ અને વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળ પરથી દૂર કરવામાં આવશે જેથી ડિમોલિશન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને.
મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જંગલેશ્ર્વર વિસ્તારમાં અવરજવર સરળ બનાવવા ટીપી રોડને પહોળો કરવાની યોજના છે. તે માટે રસ્તા પર આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દબાણ હટાવવાનો બીજો મહત્વપૂર્ણ હેતુ ચોમાસા દરમિયાન ઊભી થતી પુર જેવી પરિસ્થિતિને રોકવાનો છે. દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આજી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મકાનોમાં પાણી ઘૂસી જાય છે અને સ્થાનિકોને રેસ્ક્યૂ કરવું પડે છે.



