જૈવિક વૈવિધ્યનું અનોખું ધામ : રામપરા અભયારણ્ય
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલું રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય 15.01 વર્ગ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું જૈવિક વૈવિધ્યનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મોરબીથી આશરે 50 કિ.મી. અને વાંકાનેરથી 16 કિ.મી. અંતરે આવેલ આ અભ્યારણ્ય અંગે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનીલ કુમાર બેરવાલે જણાવ્યું હતું કે અહીં 100થી વધુ જાતનાં વન્યપ્રાણીઓ જોવા મળે છે. અહીં 20થી વધુ સસ્તન પ્રાણીઓમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલી ભૂંડ, શિયાળ અને સસલાનો સમાવેશ થાય છે. અજગર, નાગ, વાઇપર અને ધામણ સહિત 15થી વધુ સરિસૃપો તથા 10થી વધુ કરોળિયાં અને વિવિધ રંગીન પતંગિયાં અહીંના જૈવિક સમૃદ્ધિને વધુ સમૃદ્ધ બનાવે છે. જનજાગૃતિ માટે દર વર્ષે પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજાય છે, ચાલુ વર્ષે 17 શિબિરમાં 860 વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ભાગ લીધો હતો. સ્થાનિક ખેડૂતો માટે પણ માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આ રીતે રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય જૈવિક વૈવિધ્ય, ઐતિહાસિક વારસો અને સંવર્ધન પ્રયત્નોનું અનોખું સંકલન બની રહ્યું છે.
પક્ષી વૈવિધ્યનું કેન્દ્ર
અભ્યારણ્યમાં 150થી વધુ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ જોવા મળે છે. મોર, બ્રાહ્મણી મેના, બુલબુલ, તેતર, સુગરી, ચકકરખોરા જેવા પક્ષીઓ સાથે નાની સિસોટી, બતખ અને ટીલાવાળી બતક અહીં માળા બાંધે છે. ચોમાસામાં ચાતક અને નવરંગ (ઇન્ડિયન પીટ્ટા) મહેમાન બને છે, જ્યારે શિયાળામાં કુંજ, પેણ અને વિવિધ બતખો આવે છે. શિકરા અને બાજ જેવા શિકારી પક્ષીઓ પણ અહીં જોવા મળે છે.
- Advertisement -
એશિયાઈ સિંહ માટે ‘જીન-પૂલ’ પ્રોજેક્ટ
રામપરા અભ્યારણ્યને વર્ષ 2008માં એશિયાઈ સિંહોની જીન-પૂલ વસ્તી માટે પસંદ કરવામાં આવ્યું હતું. હાલમાં 12 સિંહો માટે 6 વિશાળ એન્કલોઝર કાર્યરત છે. ચિત્તલ, સાંભર અને ચિંકારા માટે બ્રિડીંગ સેન્ટર સાથે છાંયડા, ખોરાક અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે. દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, વાહન અને વોચ ટાવર જેવી વ્યવસ્થાઓ પણ ઉભી કરાઈ છે. વન્યપ્રાણીઓને બિનજરૂરી ખલેલ ન પડે તે માટે અભ્યારણ્ય જાહેર જનતા માટે પ્રતિબંધિત રાખવામાં આવ્યું છે.
વનસ્પતિ અને પર્યાવરણ
અહીં 400થી વધુ વનસ્પતિ જાતો જોવા મળે છે. ગુગળ, કેરડા, લોદરી, ખાખરો જેવી ઔષધિય વનસ્પતિઓ ઉપરાંત તાડ, રોહિડો, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે. ઉનાળુ આબોહવા ધરાવતા આ પરિસરમાં ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસનું દ્રશ્ય મનોહર બને છે.
ઐતિહાસિક મહત્વ અને ઈકો-ઝોન
રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચના જણાવ્યા અનુસાર, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીમાં હતો. 1988 સુધી અહીં ધાસ એકત્ર થતું હતું. જુરાસિક યુગના રેતાળ પથ્થરો અને ઉબડખાબડ ભૂપ્રકૃતિ ધરાવતો આ વિસ્તાર આજે સંવર્ધન માટે ઓળખાય છે. 1998માં વરસાદી પાણી સંગ્રહ માટે તળાવ બનાવાયું, જેમાં પક્ષીઓ માટે માઉન્ડ પણ બનાવાયા છે. ડિસેમ્બર 2017થી 31.08 વર્ગ કિ.મી. વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન જાહેર થયો છે.



